જામનગર, તા. 19
જોડીયા તાલુકાના તારાણા સીમ પંથકમાં મોડીરાત્રે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ બહાર આવ્યો છે. સંભવત ચોરીના ઇરાદે આવેલા બે શખસોએ આ જીવલેણ હુમલો કર્યો હોવાનુ પોલીસે અનુમાન દર્શાવી હત્યાના બનાવમાં બાઈકસવાર શકમંદ બેલડી સામે ગુનો નોંધી પોલીસે તેની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગત મુજબ જોડીયા નજીક તારાણા ગામે રહેતા ભુપેન્દ્રસિંહ નિમુભા જાડેજા (ઉ.વ.40) નામનો યુવાન રાત્રે તેની હાઈવે રોડ પાસે આવેલી વાડીએ સુવા માટે ગયા હતા.જે. દરમિયાન વાડી આગળ દુકાન પણ આવેલી હોય, જયાં મોડી રાત્રે બે અજાણ્યા શખ્સો ધસી આવ્યા હતા. જેઓને સંભવત પડકારતા ચોરીના ઇરાદે ધુસેલા મનાતા આ શખસોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવી નાશી છુટયા હોવાનો બનાવ સામે આવ્યો છે.
સવારે દુકાને અમુક વસ્તુઓ વેરવિખેર જોવામાં આવતા પરીજનોએ ત્યાંના પાછળના ભાગે તપાસ કરતા ભુપેન્દ્રસિંહ (ઉ.વ. 40) લોહીલુહાણ હાલતમાં પડયા હતા જેઓના આંખ પાસે હથિયારના ઘા ઉપરાંત શરીરના અમુક ભાગે પણ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા હોવાનુ સામે આવ્યુ હતુ.આ બનાવની જાણ થતા પીએસઆઈ ઝાલા સહિતની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે જામનગરની સરકારી જી.જી. હોસ્પીટલમાં ખસેડયો હતો.આ બનાવ મામલે મૃતકના મોટાભાઈ જગુભા ઉર્ફે જગદિશસિંહ નિમુભા જાડેજાની ફરીયાદ પરથી પોલીસે બે અજાણ્યા શખસો સામે હત્યાનો ગુનો નોંધીને તેની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
બનાવ સ્થળ નજીકના વિસ્તારમાં લગાડાયેલા સીસીટીવી કેમેરામાં મધરાતે લગભગ સાડા બાર વાગ્યાના સુમારે શંકાસ્પદ બાઈક પર ધસી આવેલા બે શકમંદ શખસોએ વાહન દુકાન નજીક ઉભુ રાખ્યાનુ ખુલ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.સંભવત શકમંદ શખસો સામે કોઈ ઝપાઝપી બાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સાથે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy