રાજકોટ, તા.24
સુર્યા ઓઈલ મીલના કવિતા ચૌહાણ હત્યા કેસમાં આરોપી ધીરજ જીવા સોલંકીને આજીવન કેદની સજા થઈ છે. વર્ષ 2019માં વાંકાનેર-મોરબી હાઈ-વે પરની ઓઈલ મીલમાં ચકચારી ઘટના બનેલી હતી. ફરિયાદી પક્ષના સિનિયર ધારાશાસ્ત્રી લલિતસિંહ શાહી, અને સરકારી વકીલ સંજય દવેની દલીલો મોરબી સેશન્સ કોર્ટે માન્ય રાખી ચુકાદો આપ્યો છે.
કેસની વિગત મુજબ, વઘાસીયા ગામની સીમમાં સુર્યા ઓઈલ એન્ડ એગ્રો ઈન્ડસ્ટ્રીઝમાં કવિતાબેન કેતનભાઈ ચૌહાણ (મૃતક) તથા આરોપી ધીરજ બંને સાથે નોકરી કરતા હતા. દરમિયાન બંને વચ્ચે પ્રેમ સંબંધો બંધાયા હતા. જોકે, આરોપી પરિણીત હતો. આ સંબંધ જાહેર થવાથી પોતાનું લગ્નજીવન બગડશે અને સમાજમાં બદનામી થશે. તેવું વિચારી કવિતાને સબંધો મુકી કહ્યું હતું.
જોકે કવિતા સબંધ છોડવા તૈયાર નહોતી. જેથી છુટકારો મેળવવા માટે તા.7/2/2019 ના રોજ પૂર્વ નિર્ધારીત રીતે પોતે છુપાવેલ કુહાડી રસોડામાં રાખી સહકર્મચારીઓને કામના બહાને ઓફીસ બહાર મોકલી કવિતાને રસોડામાં બોલાવી. બોલાચાલી કરી ઝપાઝપી કરી ફ્રીઝ પર રાખેલ કુહાડી કવિતાના ગળાના ભાગે, માથામાં ઈજાઓ કરી મૃત્યુ નિપજાવેલ હતું.
મૃતકના પિતાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં આરોપી ધીરજ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તપાસનીશ પોલીસ અધિકારી દ્વારા આરોપીની ધરપકડ કરી તેઓ વિરૂધ્ધ ગુન્હાને સાંકળતો પુરતો પુરાવો મળી આવતા ચાર્જશીટ કરેલ હતું.
કેસ ચાલતા સરકાર પક્ષે કુલ - 18 સાહેદોને તપાસવામાં આવેલ. 42 જેટલા દસ્તાવેજી પુરાવાઓ ઉપર આધાર રાખવામાં આવેલ. સરકારી વકીલ તથા મુળ ફરીયાદીના વકીલે એવી રજૂઆત કરવામાં કરેલી કે, ફરીયાદ પક્ષે કેસ નિ:શંકપણે પુરવાર કરેલ છે. સાહેદો નેચરલ વીટનેશ છે. સાહેદોથી ફરીયાદ પક્ષના કેસને સમર્થન મળેલ છે.
આરોપી પાસેથી કબ્જે થયેલ મોબાઈલ ફોનમાં મરણજનારના સ્થળ ઉપરના ફોટોગ્રાફસ મળી આવેલ છે. જે ફોટોગ્રાફસમાં આરોપીના પગ દેખાય આવે છે. આરોપી દ્વારા મરણજનારને નિદર્ય રીતે મારી નાખી તેના ફોટોગ્રાફસ પોતાના મોબાઈલમાં પાડી સેવ કરેલ છે. તેના ઉપરથી આરોપીની મનોવૃતીનો ખ્યાલ આવી શકે તેમ છે,. આરોપી તરફે એવી રજુઆત કરવામાં આવેલ હતી.
બંને પક્ષોની લેખીત તથા મૌખીક રજુઆતો, વિવિધ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ મોરબીના સેશન્સ જજ વી. એ. બુધ્ધએ આરોપી ધીરજ સોલંકીને તકસીરવાન ઠેરવી આજીવન કેદ તથા રૂ. બે લાખનો દંડ કરતો હુકમ કર્યો છે. દંડની રકમ મૃતકના કાયદેસરના વારસોને વળતર પેટે આપવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં સરકાર પક્ષે એ.પી.પી. સંજયભાઈ સી. દવે તથા મુળ ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ લલિતસિંહ જે. શાહી, ભુવનેશ એલ. શાહી, કૃણાલ એલ. શાહી, ચંન્દ્રકાંત એમ. દક્ષીણી, યોગેશ બારોટ, સુરેશ આર. ફળદુ, મનીષ આર. ગુરૂંગ, નિશાંત એમ. જોષી તથા મોરબીના એડવોકેટ જીતેન અગેચાણીયા તથા જીતુ સોલંકી રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy