(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.6
મોરબીમાં આવેલ માળીયા વનાળીયા સોસાયટીમાં યુવાન પાસે ખિસ્સા ખર્ચીના રૂપિયા માંગવામાં આવ્યા હતા ત્યારે યુવાનને ઝઘડો કરીને છરીના ઘા ઝીકી દઈને તેની હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની કોર્ટેમાં ચાલી જતાં તેમાં આરોપીને આજીવન કેદની સજા અને બે લાખનો દંડ કરવામાં આવેલ છે અને દંડની રકમ મૃતકના કાયદેસરના વારસદારોને આપવાનો આદેશ કરવામાં આવેલ છે.
હાલમાં આ કેસની મળી રહેલ માહિતી મુજબ તા.21/11/21 ના રોજ મોરબીમાં આવેલ રામદેવનગરમાં રહેતા પ્રદીપભાઈ વિનોદભાઈ મકવાણા (27) નામના યુવાનની માળીયા વનાળીયા સોસાયટીમાં રામાપીરના મંદિર પાસે કેવલદાસ નટવરદાસ રાબડીયાએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી જેની મૃતકના મોટા ભાઈ સંદીપભાઈ વિનોદભાઈ મકવાણાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
જેમાં ફરિયાદી જણાવ્યુ હતું કે, પ્રદીપભાઈ કમાતો ન હોવા છતાં આરોપી કેવળદાસએ તેની પાસે ખિસ્સા ખર્ચીના પૈસા માંગ્યા હતા અને તેને પૈસા આપવાની ના કહેતા કેવલદાસ રાબડીયાએ તેની સાથે ઝઘડો કરીને તેને છરીના ઘા ઝીકીને તેની હત્યા કરી હતી આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વિરાટ એ. બુદ્ધની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી. દવેએ રજૂ કરેલા 10 મૌખિક તેમજ 27 દસ્તાવેજી પુરાવાઓ અને દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપી કેવલદાસ નટવરદાસ રાબડીયાને આજીવન કેદની સજા કરેલ છે અને બે લાખનો દંડ કર્યો છે.
જે દંડની રકમ મૃતકના કાયદેસરના વાલી વારસોને કંપેન્સેશન રૂપે આપવાનો આદેશ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, હત્યાના ગંભીર બનાવોના કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યા છે જેમાં મોરબીના સરકારી વકીલે છેલ્લા બે અઠવાડિયામાં 6 આરોપીઓને સજાઓ આપવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy