રાજકોટ,તા.25
રાજકોટમાં 80 ફૂટ રોડ પર વિસ્તારમાંથી ઘરેથી કામે જવાનું કહીં નીકળી ગયાં બાદ ગુમ થયેલ 16 વર્ષના પુત્રને શોધવા ભક્તિનગર પોલીસે આકાશ પાતાળ એક કરી ત્રણ રાજ્યના સીસીટીવી કેમેરા ચેક કરી 4100 કિમીનું અંતર કાપી સગીરને શોધી કાઢી પરીવાર સાથે મિલન કરાવતાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક થયું હતું.બનાવ અંગે 80 ફૂટ રોડ પર વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય પ્રોઢે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે,
તેમના નાના ભાઈના 16 વર્ષનો પુત્ર આઈટીઆઈમાં આઈ.ટી. નો અભ્યાસ કરે છે અને સાથોસાથ એપ્રેન્ટીસ તરીકે પ્રેકટીસ કરવા માટે જાય છે. ગઇ તા.17/04/2024 ના સવારના આઠેક વાગ્યે તેમનો ભત્રીજાએ તેમને કહેલ કે, હુ એપ્રેન્ટીસની પ્રેકટીસ કરવા માટે જાવ છુ તેમ કહી ઘરેથી નીકળેલ હતો. ત્યારબાદ સાંજના સાડા છ વાગ્યા સુધી ઘરે આવેલ નહી જેથી તેના મોબાઇલ નંબર ઉપર ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવેલ ત્યારબાદ આજુબાજુમાં રહેતા તેના મીત્રો તેમજ શીક્ષકને ફોન કરી પુછેલ તો જણાવેલ કે, આજે રજા છે તો તેને આવવાનો કોઇ પ્રશ્ન નથી.
ત્યારબાદ તે એપ્રેન્ટીસનું શીખવા માટે જતો તે જગ્યાએ તપાસ કરવા ગયેલ પરંતુ ત્યા પણ બે દિવસથી તે શીખવા માટે ગયેલ ન હોય તેવુ જાણવા મળેલ ત્યારબાદ બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન તેમજ બધા સગા વ્હાલાને ત્યા પણ તપા લસ કરેલ પરંતુ તેનો કયાય પતો લાગેલ ન હતો. તેને પરિવારજનોએ ઠપકો આપેલ હોય કે ખીજાયેલ હોય તેવુ બનેલ નથી કે ભણતર બાબતે પ્રેશર કરેલ નથી. તે આધાર કાર્ડ સહીતના ઓરજીનલ ડોકયુમેન્ટ તેમજ એક જોડી કપડા નાઈટ ડ્રેસ તથા રૂ.6 હજાર સાથે લઇ ગયેલ છે. જે અંગેની ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ એમ.સરવૈયા અને ટીમે કિશોરના ગુમ થવા બાબતે ગંભીરતા લઇ ટેકનિકલ સેલના સ્ટાફને બનાવ સ્થળે મોકલી સી.સી.ટી.વી. ચેક કરતાં કિશોર રાજકોટ રેલવે સ્ટેશનથી જમ્મુતાવી ટ્રેનમાં ચડતા જોવા મળેલ જેથી આગળના રેલવે સ્ટેશનના સી.સી.ટી.વી ચેક કરી એક ટીમ અમદાવાદ તપાસ કરવા ગયેલ ત્યાં અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી જોયેલ અને ત્યાંથી ટેકનિકલ સોર્સથી માહિતી મળેલ કે ગુમ થનાર કિશોર હાલ ઉતર પ્રદેશ છે. તુરંત એક ટીમને ઉતર પ્રદેશ રવાના કરેલ અને ત્યાં અલગ અલગ જગ્યાના સી.સી.ટી.વી અને ત્યાંથી માહિતી મળેલ કે, કિશોર હાલ પંજાબના ધર્મક સ્થળો હોય શકે છે.
જેથી પંજાબના ધાર્મિક સ્થળોના સી.સી.ટી.વી. જોયેલ અને ત્યારબાદ જાણવા મળેલ કે, કિશોર હાલ અમૃતસર રેલવે સ્ટેશન પર છે અને ઉતર પ્રદેશ જવા માટે નિકડવાનો છે જેથી ટીમ રેલવે સ્ટેશન જઈને સંપૂર્ણ રેલવે સ્ટેશનમાં કિશોરને સર્ચ કરતાં ત્યાંથી મળી આવેલ જેને રાજકોટ લાવી તેના માતા-પિતા સાથે મીલાપ કરાવી આપતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતાં અને પોલીસ પ્રજાનો મીત્ર હોવાનુ સુત્ર સાર્થક કરેલ છે.
વધુમાં પીઆઇ એમ.એમ.સરવૈયાએ જણાવ્યું હતું કે, સગીરને શોધવામાં ભક્તિનગર પોલીસની ટીમે અલગ અલગ શહેર અને રાજ્યોના સી.સી.ટી.વી જોયેલ અને કુલ 4,100 કી.મી.નું ટ્રાવેલિંગ કરી કિશોરને ખુબ જ ટૂંકા સમયમાં શોધી કાઢી તેના માતા-પિતા સાથે મીલન કરાવ્યું હતું.
જે કામગીરીમાં પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં ટેકનિકલ સેલ હેડ કોન્સ્ટેબલ સંજય ચાવડા, કોન્સ્ટેબલ દેવાનંદ રામ અને પુષ્પરાજસિંહ ગોહિલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.
’તું કાંઈ કરતો નથી બીજા છોકરા જો’ પરિવારે કહેતાં મનમાં ઠામી લીધુંને નીકળી ગયો
રાજકોટ. તા.25
શહેરના 80 ફૂટ રોડ વિસ્તારમાંથી ઘરેથી નીકળી ગયેલ સગીરને ભક્તિનગર પોલીસે પંજાબથી શોધી પરત લાવી હતી. બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીર એકદમ સરળ સ્વભાવનો હતો. તેને પરિવારજનોએ અભ્યાસ બાબતે અને કામકાજ બાબતે ઠપકો આપ્યો હતો અને તું કાંઈ કરતો નથી બીજાના છોકરા જો તેવું કહેતાં તેને મનોમન લાગી આવ્યું હતું અને તે કંઈક કરી બતાવવા તે ઘરેથી નિકળી ગયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy