♦ નાસતા-ફરતા 45 શખ્સોને પકડયા: નોન બેલેબલ 3699 વોરંટની બજવણી: હીસ્ટ્રીશીટરો પર વોચ રાખવા પોલીસ સતત કાર્યરત
રાજકોટ તા.6
રાજકોટ શહેર પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે આચારસંહિતા લાગ્યાના દિવસથી જ હીસ્ટ્રીસીટરો તેમજ ગુનાને અંજામ આપવામાં પંકાયેલા શખ્સો વિરૂધ્ધ કાર્યવાહી આદરી દીધી હતી અને ટુંકા સમયમાં જ અંદાજે 10,000 જેટલા શખ્સોની અટકાયત કરી હતી તેમજ 32 શખ્સોને પાસામાં તેમજ બે શખ્સોને તડીપાર કર્યા હતા. ઉપરાંત પ્રોહીબીશનના 1052 ગુના નોંધી રૂા.39.46 લાખનો દારૂ કબ્જે કર્યો હતો. તેમજ માદક પદાર્થ સાથે બે શખ્સોને દબોચી રૂ.3.15 લાખનો માદક પદાર્થ કબ્જે કર્યો હતો.
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને એડી. પોલીસ કમિશ્નર વિધિ ચૌધરીએ શહેરમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થતા જ અમલી થયેલ આચારસંહિતાના ભાગ રૂપે લોકશાહીના પર્વમાં કોઈપણ જાતની કાયદો વ્યવસ્થાનો ભંગ ન થાય તે માટે શહેરના તમામ પોલીસ મથકના અધિકારીઓને તેઓના વિસ્તારના માથાભારે શખ્સો અને હીસ્ટ્રીશીટરો પર નજર રાખી અટકાયતી પગલા ભરવા આપેલ સુચનાથી શહેરના અલગ અલગ પોલીસ મથકમાં હીસ્ટ્રીશીટરો તેમજ ગુનામાં મદદગારી કરનાર અને અન્ય ગુનામાં વારંવાર પોલીસ ચોપડે ચડતા અંદાજીત 10,000 શખ્સો સામે અટકાયતી પગલા ભરવામાં આવ્યા હતા. જયારે 32 શખ્સોને પાસામાં જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ઉપરાંત બે શખ્સોને તડીપાર કરેલ હતા.
ઉપરાંત પોલીસે વિદેશી અને દેશી દારૂના 1052 કેસ કરી બુટલેગરો પર ધોંસ બોલાવી હતી. જેમાં અંગ્રેજી દારૂના 77 કેસ કરી 13020 બોટલ મળી 37.07 લાખનો દારૂ કબ્જે કર્યો હતો. જયારે દેશી દારૂના 975 ગુના નોંધી 11919 લીટર દારૂ કબ્જે કરી રૂા.2.48 લાખનો દારૂ કબ્જે કર્યો હતો.
જયારે ડ્રગ્સના બે ગુના નોંધી રૂા.3.15 લાખનો માદક પદાર્થ કબ્જે કર્યો હતો. જયારે અનેક ગુનામાં સંડોવાયેલા અને પોલીસથી બચવા નાસતા ફરતા 45 શખ્સોને શહેર પોલીસે પકડી પાડયા હતા. તેમજ અંદાજીત 3600 જેટલા નોન બેલેબલ વોરંટોની પોલીસ દ્વારા બજવણી કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસે હીસ્ટ્રીશીટરો અને માથાભારે શખ્સો પર સતત વોચ રાખી છે.
♦ આદર્શ આચારસંહિતાના અમલ માટે કંટ્રોલરૂમ કાર્યરત
રાજકોટ: લોકસભાની ચૂંટણી દરમ્યાન આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે શહેર પોલીસ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. કંટ્રોલ રૂમમાં અધિકારીની નિમણુંક કરી 100 નંબર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં ચૂંટણીલક્ષી ફરીયાદો પર તાત્કાલીક કાર્યવાહી કરવા મોનીટરીંગ રાખવામાં આવી રહેલ છે.
♦ ગેરકાયદેસર હથીયાર રાખવાના 9 ગુના નોંધાયા: 2691 લાયસન્સવાળા હથીયારો જમા લેવાયા
શહેર પોલીસ દ્વારા આચારસંહિતાના અમલ સમયથી ગેરકાયદેસર હથીયાર રાખવાના નવ ગુના નોંધી નવ હથીયાર તેમજ 13 જીવતા કાર્ટીસ જપ્ત કર્યા હતા. ઉપરાંત શહેરમાં વિસ્તારમાં રહેતા લોકો પાસેથી કુલ 2691 લાયસન્સ વાળા હથીયારો જમા લેવાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy