રાજકોટ. તા.03
1 જુલાઈથી દેશભરના પોલીસ તંત્રએ સુવર્ણ યુગમાં પ્રવેશ કર્યો હતો. અંગ્રેજો વખતના કાયદાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં આઈપીસી અને સીઆરપીસીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યાં છે. 1 જુલાઈથી નવા કાયદા અમલીકરણ ફરજીયાત કરવામાં આવ્યું છે. ત્યારે શરૂઆતના ત્રણ દિવસમાં ઘણાં ગુના આઈપીસી મુજબ નોંધાતા અસમંજસ ઉભી થઇ હતી. જે મામલે ડીસીપી જગદીશ બાંગરવાએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં 1 જુલાઈ બાદ આઈપીસી મુજબ નોંધાયેલ ફરીયાદોના બનાવ જૂન માસ કે પહેલાં બનેલા હોય છે, નવા બનાવના ગુના બીએનએસ એક્ટ મુજબ જ નોંધાશે તેવું જણાવ્યું હતું.
વધુમાં નવા કાયદા અંગે વાત કરતાં ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, 1 જુલાઈથી નવા કાયદા લીગલી દેશભરમાં લાગુ પડી ગયાં છે અને તેની રાજકોટ શહેરમાં પણ અમલવારીની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં ત્રણ દિવસમાં જૂના એક્ટ આઈપીસી મુજબ ગુના નોંધાયેલ હોવાનું સામે આવતાં લોકોમાં ચર્ચા જાગી હતી. જેમાં 1 જુલાઈ પહેલાં બનેલ બનાવના ગુનામાં આઈપીસી કલમ હેઠળ જ ગુનો નોંધવાનું પ્રાવધાન છે. જો બનાવ 1 જુલાઈ કે તે બાદ બન્યો હોય તો નવા બીએનએસ એક્ટ મુજબ નોંધવામાં આવશે.
વધુમાં ડીસીપીએ ઉમેર્યું કે, નવા કાયદાની જોગવાઈ માટે શહેર ભરના તમામ પોલીસ કર્મીઓને તાલીમ પણ લીધેલ છે. જેથી નવી કલમ અંગે કોઈપણ અસમંજસ રહેતી નથી. તેમજ હવે શહેરમાં નવા કાયદા હેઠળ જ ગુનો નોંધવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, ઘણાં એવા ગુના બનતાં હોય છે કે, જેમાં મોડે મોડે ગુના નોંધાતા હોય છે. જેમાં છેતરપિંડી, ચોરી, સાયબર ફ્રોડ, દુષ્કર્મ જેવા બનાવોમાં મોડી ફરીયાદ થતી હોય છે. જેથી હજું પણ ઘણી એફઆઈઆર જૂની આઈપીસીની કલમ હેઠળ પણ જોવા મળશે.
1 જુલાઈ બાદ આઈપીસી મુજબ નોંધાયેલ ફરીયાદોના બનાવ જૂન માસ કે પહેલાં બનેલા હોય છે, નવા બનાવના ગુના બીએનએસ એક્ટ મુજબ જ નોંધાશે: ડીસીપી જગદીશ બાંગરવા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy