રવિવારે અષાઢી બીજ: રાજકોટના રાજમાર્ગો પર ગુંજી ઉઠશે જય જગન્નાથનો જયઘોષ: રથયાત્રા

Local | Rajkot | 03 July, 2024 | 03:50 PM
નાનામવા કૈલાસધામ આશ્રમ-જગન્નાથ મંદિરે શુક્રવારે પ્રતિષ્ઠા, નેત્રોત્સવપૂજન, ધ્વજારોહણ સહિતના અનુષ્ઠાનો: શનિવારના રથ પ્રતિષ્ઠા, શણગાર પૂજન વિધિ સહિત ક્રિયાઓ કરાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા.3

આગામી તા.7મીના રવિવારે પુણ્યવંતો દિવસ અષાઢી બીજ છે. આ દિવસે જગન્નાથપુરીમાં ભવ્યાતિભવ્ય ભગવાન જગન્નાથ, બળદેવ તથા બહેન સુભદ્રાના વિરાટકાય રથ સાથે યાત્રા નીકળશે. અમદાવાદમાં પરંપરાગત જગન્નાથજીની રથયાત્રા યોજાશે, ભાવનગરમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજવામાં આવેલ છે.

રાજકોટમાં શ્રી જગન્નાથજી મંદિર, આઇશ્રી ખોડીયાર માતાજીનું મંદિર, કૈલાસધામ આશ્રમ, નાનામવા, રાજકોટ ખાતેથી રવિવારે સવારે 8-30 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ થશે અને નગર પરિક્રમા કરી સાંજે 7 વાગે નીજ મંદિરે પરત આવશે.રથયાત્રા શુભારંભની વિધિ રાજકોટના રાજવી ઠાકોર માંધાતાસિંહજી મનોહરસિંહજી જાડેજાના શુભ હસ્તે થશે. રથયાત્રા મહોત્સવના મુખ્ય યજમાન સમસ્ત નાના મોવા ગામ, જ્યારે મામેરાવિધિના યજમાન સ્વ. અભયભાઇ ભારદ્વાજ તથા નીતિન ભારદ્વાજ પરિવાર સાંજે પાંચ વાગે ઉપસ્થિત રહેશે. 

ઇસ્કોન મંદિર દ્વારા બપોરના સાડા ચાર વાગે કોટેચા ચોકથી રથયાત્રાનો પ્રારંભ થશે: રામચરિતમાનસ મંદિરે ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન

 

તા.5મીના શુક્રવારે સવારે 8 વાગ્યે ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી તથા બલદેવનું ગર્ભગૃહમાં રત્નવેદી પર પ્રતિષ્ઠા થશે. જેના યજમાન ઉદયભાઇ નારણભાઇ લોહાર (મારવાડી પરિવાર) છે. નેત્રોત્સવ પૂજનવિધિ, ધ્વજારોહણ તથા મહાઆરતી સવારે 8 થી 12 રહેશે.તા.6ના શનિવારે નીજ મંદિરના પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા, પૂજા, આરતી, ભગવાનનો સોનાવેશમાં શણગાર પૂજન વિધિ વગેરે સવારે 10-30 કલાકે, બપોરના 11-30 કલાકે મંદિર પ્રાંગણમાં રથ પ્રતિષ્ઠા, બપોરે 3 વાગે રથપૂજન અને આરતી, સાંજે 7 વાગે વિશિષ્ટ પૂજન-સંધ્યા તથા સાંજે 3 વાગે ભગવાન વાઘા (વસ્ત્ર) પૂજન થશે. રથયાત્રામાં સાંસદ પરષોતમભાઇ રૂપાલા, રામભાઇ મોકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાજકોટ જીલ્લા કલેક્ટર પ્રભવ જોષી, પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા મ્યુ. કમિશનર ડી.પી. દેસાઇ સહિતના વિવિધ સમાજના આગેવાનો જોડાશે.

ઇસ્કોન મંદિર
દર વર્ષની જેમ આ વર્ષે પણ કાલાવડ રોડ પર આવેલ ઇસ્કોન મંદિર દ્વારા શ્રી જગન્નાથ રથયાત્રા મહોત્સવનું તા.7મીના રવિવારના આયોજન કરવામાં આવેલ છે.તા.7મીના રવિવારે ઇસ્કોન મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રા બપોરના 4-30 વાગે રામકૃપા ડેરી કોટેચા ચોકથી ઇન્દીરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાળી ચોક, જે.કે. ચોક, પુષ્કરધામ ચોક, એ.જી. ચોક, જડુસ રેસ્ટોરન્ટ થઇને મોટામવા ચોક, કટારીયા ચોકથી ઇસ્કોન મંદિરે જગન્નાથ રથયાત્રાનું સમાપન થશે.રથયાત્રા પ્રસંગે રાજકીય અગ્રણીઓ તથા વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમ ઇસ્કોન મંદિરના પ્રમુખ વૈષ્ણવ સેવાદાસ સ્વામીએ જણાવેલ છે. રથયાત્રા સંપન્ન થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે

શ્રી રામ ચરિત માનસ મંદિરરાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર ખાતે સુપ્રસિદ્ધ દર્શનીય યાત્રાધામ શ્રીરામ ચરિતમાનસ મંદિર દ્વારા આ વર્ષે રવિવારે તા.7ના અલૌકિક મધુમય ભક્તિભીના અષાઢી બીજ ઉત્સવનું પ્રતિવર્ષ અનુસાર મંગળ આયોજન કરેલ છે 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj