રાજકોટ તા.8
લોધીકા તાલુકાના આઈશ્રી જાહલમાઁ મોગલધામ આશ્રમ-ખરેડા દ્વારા ગૌધામ, માખાવડનું પાટીયું, રીબડા-લોધીકા મેઈન રોડ ખાતે આવતીકાલ તા.9થી તા.17 સુધી રામચરિત માનસ કથાનું દિવ્ય આયોજન કરવામાં આવેલ છે. વકતાપદે ડો. મહાદેવપ્રસાદ મહેતા બિરાજીને સંગીતમય સૂરો સાથે કથાનું રસપાન કરાવશે. કથાનું આયોજન ગૌશાળાના લાભાર્થે કરવામાં આવેલ છે. ગૌશાળામાં લુલી લંગડી, નિરાધાર ગાયોની સાર સંભાળ લેવામાં આવે છે.
આવતીકાલથી શરૂ થતી રામકથાનો સમય સવારના 9થી 12-30નો રાખવામાં આવેલ છે. કથાના દિવસો દરમ્યાન આઠથી દસ હજાર લોકો મહાપ્રસાદનો લાભ લેશે.
કાલે સવારે 7 વાગે હાથીની અંબાડીએ, ઘોડા ગાડી, ખુલ્લી જીપો, મોટરકાર, બાઈક સહિત ઢોલ નગારા, બેન્ડના સૂરો સાથે ભવ્ય પોથીયાત્રા નીકળશે. વિશ્ર્વ વિખ્યાત કથાકાર પૂ. મોરારીબાપુના વરદ હસ્તે દીપ પ્રાગટય થશે.
આઈશ્રી જાહલમાઁના સાંનિધ્યમાં કથાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવેલ છે. કથા દરમ્યાન ઉત્તરપ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ, રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ભાજપ અગ્રણી ચેતન રામારી સહિત સાંસદો, ધારાસભ્યો, તાલુકા, જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહેશે.
તદ્ ઉપરાંત ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, રાજકોટ પોલીસ કમિશ્ર્નર રાજુ ભાર્ગવ, રેન્જ આઈજી અશોક યાદવ, કલેકટર પ્રભવ જોશી, મ્યુ.કમિશ્ર્નર આનંદ પટેલ, ડીવાયએસપી જયપાલસિંહ રાઠોડ વગેરે ઉપસ્થિત રહેનાર છે. કથા દરમ્યાન પૂ.મહંતશ્રી શેરનાથ બાપુ, શ્રી ઈન્દ્રભારતી બાપુ, અમદાવાદથી અખિલેશ્ર્વરદાસજી બાપુ, કબરાઉ ધામના મહંત, શ્રી કરશનદાસ બાપુ, શ્રી રાજેન્દ્રદાસ બાપુ, શ્રી નિર્મળા બા (પાળીયાદ) જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ.રાધારમણ સ્વામી, બાલાજી હનુમાનજી મંદિરના મહંત શ્રી વિવેકસાગર સ્વામી, ભકિત સ્વામી, શ્રીજીપ્રકાશ સ્વામી, આર્યન ભગત (ગઢપુર ધામ) વગેરે હાજરી આપશે.
►સાંસ્કૃતિક કાર્યક્રમ
કથા દરમ્યાન રાત્રીના સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે. કાલે તા.9મીના મોગલધામ રામા મંડળ ખરેડા દ્વારા કાર્યક્રમ, તા.10મીના શુક્રવારે લોકડાયરો વનીતાબેન પટેલ, તા.11ના દાંડીયા રાસ (ઉમેદ ગઢવી), તા.12ના દાંડીયા રાસ (મુનમબેન, ગોવિંદભાઈ ગઢવી), તથા તા.13ના દાંડીયા રાસ (કુલદીપદાન ગઢવી), આમ ત્રણ દિવસ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જયારે તા.14ના વિશ્વ વિખ્યાત માયાભાઈ આહિરનો લોકડાયરો તથા હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવેલ છે. કથા સ્થળ પર બાળકો માટે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
કથામાં તા.10મીના શિવ વિવાહ, તા.11ના રામ જન્મોત્સવ, તા.13મીના રામ વિવાહ, તા.16ના સુંદરકાંડના પાઠ તથા તા.17ના રામ રાજયાભિષેક સાથે કથાનું સમાપન થશે. દરેક પ્રસંગો ભવ્ય રીતે ઉજવાશે. આયોજકો દ્વારા તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
ઉપરોકત કથાની માહિતી આપવા ‘સાંજ સમાચાર’ કાર્યાલય પર કિશોરભાઈ ગજેરા, હરિકૃષ્ણ રામાણી તથા વેલજીભાઈ દોંગા વગેરે આવેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy