(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
વઢવાણ તાલુકાના ખેરાળીથી માળોદ તરફ જતી નર્મદા કેનાલમાં મંગળવારે નમતી બપોરે ટ્રેકટર લઈને જતા દંપતી કેનાલમાં ટ્રેકટર સહિત ખાબકયા હતા. બનાવની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ દોડી ગઈ હતી અને શોધખોળ આદરી હતી. ત્યારે બુધવારે સવારે 11-30 કલાકે પતિની લાશ હાથ લાગી હતી. જયારે તરવૈયાઓની ભારે જહેમત બાદ મોડી સાંજે પત્નીની પણ લાશ મળી હતી.
વઢવાણ તાલુકાના ખેરાળી ગામના 37 વર્ષીય રમેશભાઈ ભોપાભાઈ કમેઝળીયા અને તેમના પત્ની 35 વર્ષીય અનસોયાબેન રમેશભાઈ કમેઝળીયા ટ્રેકટર લઈને માળોદના મારગે આવેલા પોતાના ખેતરે જતા હતા. ત્યારે ખેરાળીથી થોડે આગળ પાળી વગરની બોટાદ બ્રાંચ નર્મદા કેનાલમાં તેઓ ટ્રેકટર સહિત ખાબકયા હતા. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમના દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ દોડી ગયા હતા. બીજી તરફ જોરાવરનગર પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી. અને શોધખોળ આદરી હતી. સૌપ્રથમ તો ધોળીધજા ડેમમાંથી કેનાલમાં છોડવામાં આવતુ પાણી ઓછુ કરાયુ હતુ અને શોધખોળ કરાઈ હતી. જેમાં છેક બુધવારે સવારે 11-30 કલાક આસપાસ રમેશભાઈ કમેઝળીયાની લાશ મળી આવી હતી. જ્યારે પત્ની લાશ મોડી સાંજે મળી આવી હતી. આથી જોરાવરનગર પોલીસ મથકના બીટ જમાદાર વનરાજસીંહ જાદવ સહિતનાઓ દ્વારા ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને લઈ જવાઈ હતી.
સુરેન્દ્રનગર પાલિકા ફાયરબ્રિગેડની ટીમના જણાવાયા મુજબ મૃતકોની શોધખોળ માટે બોટાદ બ્રાંચ કેનાલમાં પાણી ઓછુ કરાતા ડેમમાં પાણીની વધી હતી. દુધરેજ તરફથી આવતી કેનાલમાંથી સતત પાણીની આવક રહેતા બુધવારના રોજ બપોરે ધોળીધજા ડેમ પણ થોડીવાર માટે ઓવરફલો થયો હતો અને પાણી ભોગાવામાં વહ્યુ હતુ. ડેમ ઓવરફલો થવાથી ફરી બોટાદ કેનાલમાં પાણી છોડવામાં આવ્યુ હતુ. આથી શોધખોળ કરવામાં તકલીફ પડતી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy