મુંબઈ,તા.4
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ સ્ટોક બ્રોકર્સ માટે સંસ્થાકીય મિકેનિઝમ બનાવવા માટે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે, જેના પછી હવે માર્કેટમાં થતી અનિયમિતતાઓને શોધવા અને અટકાવવાની જવાબદારી સ્ટોક બ્રોકર્સની રહેશે. અત્યાર સુધી સ્ટોક બ્રોકર્સ માટે આવી કોઈ જોગવાઈ નહોતી.
સેબી અનુસાર, બ્રોકર્સ માટેની સંસ્થાકીય વ્યવસ્થા હેઠળ બ્રોકિંગ ફર્મ્સ અને તેમના સિનિયર મેનેજમેન્ટને કંટ્રોલ સિસ્ટમ્સ સાથે છેતરપિંડી ઓળખવા અને અટકાવવા માટે જવાબદાર બનાવવામાં આવશે. બ્રોકરોએ પણ રિપોર્ટિંગ સિસ્ટમ તૈયાર કરવી પડશે.
સેબીએ છેતરપિંડી અથવા બજારના દુરુપયોગના સંભવિત ઉદાહરણોની યાદી બહાર પાડી છે જેના પર નજર રાખવાની જરૂર પડશે. આ ઉદાહરણોમાં ડીલની ભ્રામક છબિ બનાવવી, ભાવમાં હેરાફેરી, ફ્રન્ટ રનિંગ (સંવેદનશીલ માહિતીના આધારે લાભ ઉઠાવવો), ઇનસાઇડર ટ્રેડિંગ, મિસ-સેલિંગ અને અનધિકૃત ટ્રેડિંગના કિસ્સાઓ સામેલ હોઈ શકે છે.
આ નોટિફિકેશનમાં સેબીએ કહ્યું છે કે સ્ટોક બ્રોકર્સે કોઈપણ શંકાસ્પદ ગતિવિધિની જાણ થયાના 48 કલાકની અંદર સ્ટોક એક્સચેન્જને જાણ કરવી પડશે. આ ઉપરાંત, તેઓએ શંકાસ્પદ પ્રવૃત્તિ, છેતરપિંડી અને બજારના દુરુપયોગના મામલાઓના વિશ્લેષણ સાથે લેવામાં આવેલી કાર્યવાહી સબમિટ કરવાની રહેશે.
નોટિફિકેશન મુજબ, સ્ટોક બ્રોકિંગ કંપનીઓએ શંકાસ્પદ છેતરપિંડી, અયોગ્ય અથવા અનૈતિક પ્રવૃત્તિઓના કેસ ઊભા કરવા માટે કર્મચારીઓ અને અન્ય હિસ્સેદારોને એક ગોપનીય માર્ગ પ્રદાન કરતી વ્હીસલબ્લોઅર નીતિ સ્થાપિત કરવી પડશે અને તેનો અમલ કરવો પડશે.
સેબીની પોલિસી અનુસાર, વ્હીસલબ્લોઅરને પૂરતું રક્ષણ સુનિશ્ચિત કરવું પડશે. આ ફેરફારોને અસરકારક બનાવવા માટે સેબીએ શેર બ્રોકર્સ અને છેતરપિંડી અને PFUTP ના ધોરણોમાં સુધારો કર્યો છે જે 27 જૂનથી અમલી બન્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy