ગઢડા (સ્વામી) તા.16
સુરત ખાતે સનાતન ધર્મના મહત્વપૂર્ણ જગદગુરુ શંકરાચાર્ય, સંતો અને મહામંડલેશ્વરોની વિશાળ હાજરીમાં શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા શ્રી સનાતન ધર્મ જ્ઞાનગોષ્ટિ કાર્યક્રમ બેઠક યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સનાતન ધર્મ માટે કુચેષ્ટા કરનારા મૂળ સિદ્ધાંતો થી વિરુદ્ધ ચાલનારા કથિત ધાર્મિક વિવાદો મુદ્દે મંથન કરી એક સૂરથી વખોડી કાઢવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શારદાપીઠ દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજ, મુક્તાનંદજી મહારાજ ચાપરડા, વડતાલ લાલજી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ, કણીરામ બાપુ દુધરેજ, હરિહરાનંદભારતી બાપુ જુનાગઢ, લલીતકિશોર ચરણદાસજી લીમડી, વિજય બાપુ સતાધાર, મુળદાસ બાપુ રામમઢી, નિજાનંદજી વિગેરે સુપ્રસિદ્ધ સાધુ સંતોની ઉપસ્થિતિમાં સરદાર સ્મૃતિ ભવન, મીની બજાર સુરત મુકામે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સનાતની સંતો અને વડતાલ ગાદીના ભાવીઆચાર્ય નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે આદેશો કર્યા તે આદેશો પ્રમાણે મૂળ સંપ્રદાયના આચાર્ય કામ કરી રહ્યા હોવાનુ પરંતુ જેઓએ મૂળ સંપ્રદાય છોડીને પોતાના અલગ વાડાઓ કર્યા છે અથવા મૂળ સંપ્રદાયની આચાર્ય પરંપરા ને જે લોકો સ્વીકારતા નથી તેવા લોકો સનાતન વૈદિક પરંપરાને નુકસાન કરી રહ્યા હોવાનુ જણાવ્યુ હતુ.
તેમજ સનાતન વૈદિક સંપ્રદાયના સંતો મહંતો અને જગદગુરુ સદાનંદ સરસ્વતીજીએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજને જ પરંપરા અને સનાતન વૈદિક રીત રિવાજ અને સ્વામીનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર પ્રમાણેના આચાર્ય તરીકે સ્વીકાર્ય હોવાનુ જણાવ્યુ હતુ. ઉપરાંત મૂળ સંપ્રદાયના બંધારણથી અલગ પડીને શાસ્ત્રો અને સનાતન ધર્મના સિદ્ધાંતોથી વિપરીત જે લોકો દેવી-દેવતાઓનું અપમાન કરી રહ્યા છે .
તેઓને દરેક સનાતની સંતો - મહામંડલેશ્ર્વરો અને આચાર્યોએ વખોડી કાઢેલ. અગાઉ સનાતન ધર્મના સંતો દ્વારા લીંબડી તથા જૂનાગઢ મુકામે ધર્મ સભામાં નિર્ણય કરીને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવીને ગાંધીનગર મુકામે સંસ્થાની સ્થાપના કરીને સંસ્થાના બધા અધિકારીઓની મીટીંગ યોજી નિર્ણય કરવામાં આવેલ કે સનાતન ધર્મના દેવી-દેવતાઓ સંતો શાસ્ત્રોના વિષયમાં જે પણ વ્યક્તિ અભદ્રવાણી કે લખાણ કરશે તેની સામે બધા એક થઈને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે. તેમજ સનાતન ધર્મના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત કરી રાષ્ટ્રની ઉન્નતી થાય અને ભારતીય સનાતન સંસ્કૃતિનો દેશ અને વિદેશની ધરતી ઉપર ડંકો વાગે તેવી રીતે કાર્ય કરવા માટે જગતગુરુ શંકરાચાર્ય અને ઉપસ્થિત દરેક સંતોએ સમાજને હાંકલ કરી હતી. આ બેઠકમાં સુરત સહિતના અસંખ્ય સનાતની સમર્થકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમનુ સંકલન એસ. પી. સ્વામી - ગઢડા અને રામેશ્વર શાસ્ત્રીએ કર્યું હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy