મતદાન બાદ જામનગર બેઠક ઉપર પરિણામ અંગે મંથનનો દોર

જ્ઞાતિ સમીકરણો, ક્ષત્રિય આંદોલનની અસર અને કમિટેડ મતબેંકમાં ગાબડાથી સરસાઇ સાંકડી રહેવાના એંધાણ

Gujarat, Saurashtra, Lok Sabha Election 2024 | Jamnagar | 08 May, 2024 | 03:01 PM
♦ જામનગર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ થતી સાત વિધાનસભા બેઠકો ઉપર થયેલ મતદાનના આંકડા જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસના રાજકીય પંડિતો ગણતરી માંડવામાં જોતરાયા: શરત બજારમાં મતદાન પછી પણ પૂનમબેન માડમ હોટફેવરીટ: જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર વિધાનસભા બેઠકમાં ધીંગી સરસાઇની અપેક્ષાએ કોંગ્રેસ જીત માટે આશાવાદી: ભાજપની જીતનો મદાર અન્ય બેઠકો ઉપર પરંતુ જામનગર શહેરની બે વિધાનસભા બેઠકો બનશે નિર્ણાયક
સાંજ સમાચાર

(ડોલરરાય રાવલ)
જામનગર તા.8

જામનગર લોકસભા બેઠક ઉપર ગુજરાતની અન્ય 24 બેઠકોની સાથે ગઇકાલે યોજાયેલા મતદાનમાં 57.67 ટકા મતદાન યોજાયું છે. આ ચૂંટણીમાં જ્ઞાતિવાદે અજગરી ભરડો લીધો હતો. જ્ઞાતિ સમીકરણો અને રાજકીય પક્ષોની સામસામી મત મેળવવાની ગોઠવણો જોતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વચ્ચેની મતોની ખાઇ એવી રહેશે કે, જેમાં ખાસ કરીને ભાજપ માટે જીતનો મદાર જામનગર શહેર ઉપર રહેશે. જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર બેઠક ઉપર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા વિધાનસભા બેઠક ઉપર જ્ઞાતિ સમીકરણોના આધારે મતદાન કરાવવા બન્ને પક્ષે પ્રયાસ થયા હતા. ભાજપ માટે થોડી ચિંતાનો વિષય એ છે કે, દ્વારકા અને ખંભાળિયા વિધાનસભા બેઠકનું મતદાન અપેક્ષા કરતા ઓછું થયું છે.

જયારે જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર વિધાનસભા બેઠકમાં કોંગ્રેસની અપેક્ષા મુજબ મતદાનની ટકાવારી જોવા મળે છે. આથી ભાજપ માટે જામનગર લોકસભા બેઠકની જીતનો આધાર જામનગર શહેરની બે વિધાનસભા બેઠકો ઉપર રહી શકે છે. અત્રે નોંધનીય છે કે, 2019ની ચૂંટણીમાં જામનગર શહેરમાંથી ભાજપને કુલ એક લાખ જેટલી જંગી લીડ મળી હતી. એટલુ જ નહીં જામનગર લોકસભા બેઠકની સાતેય વિધાનસભા બેઠકો ઉપર 2019ની ચૂંટણીમાં ભાજપની લીડ હતી. પરંતુ આ વખતે ઉમેદવારની પસંદગીના જ્ઞાતિ સમીકરણ ઉપરાંત ક્ષત્રિય આંદોલનને લીધે પરિણામ અંગે ભારે સસ્પેન્સ જોવા મળે છે.

જામનગર લોકસભા બેઠક ઉપર ગઇકાલે મતદાન સંપન્ન થયા બાદ ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરાયેલ મતદાનના આંકડા મુજબ જામનગર બેઠક ઉપર સરેરાશ મતદાન 57.67 ટકા થયું હતું. વિધાનસભા બેઠક પ્રમાણે જોઇએ તો કાલાવડમાં 57.68 ટકા, જામનગર ગ્રામ્યમાં 60.78 ટકા, જામનગર ઉત્તરમાં 59.34 ટકા, જામનગર દક્ષિણમાં 59.13 ટકા, જામજોધપુરમાં 57.65 ટકા જયારે ખંભાળિયામાં 56.52 ટકા અને દ્વારકામાં 53.46 ટકા મતદાન થયું હતું. આ આંકડાની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસની છાવણીના રાજકીય પંડિતો પરિણામ અંગેની પરિસ્થિતિનો કયાશ કાઢવામાં કામે લાગ્યા છે. 

ખાસ કરીને ગત લોકસભા ચૂંટણી કરતા આશરે 3 ટકા જેટલું મતદાન આ વખતે ઓછુ રહ્યું હતું. ગરમી ઉપરાંત ક્ષત્રિય આંદોલન આ માટે કારણભૂત માનવામાં આવે છે. ખાસ કરીને ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો એક એ બાબત ઉડીને આંખે વળગી છે કે પુરૂષની સરખામણીએ મહિલા મતદારોનું મતદાન 9 ટકા જેટલું ઓછું થયું છે.

ખાસ કરીને જામનગરની બેઠક ઉપર ભાજપ દ્વારા મહિલા ઉમેદવારને ટિકીટ આપવામાં આવી હોવા છતા મહિલાઓના મતદાનનો ઘટાડો થોડો ચિંતાજનક ગણી શકાય. ખાસ કરીને ક્ષત્રિય સમાજની મહિલાઓનું મતદાન અગાઉની ચૂંટણી કરતા નીચું રહ્યું હોવાનું કહેવાય છે.

જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો આ વખતે જામનગર બેઠક ઉપર સૌથી ચર્ચામાં રહેલું ફેકટર ક્ષત્રિય આંદોલનનું ગણી શકાય. રૂપાલાના વિવાદીત નિવેદન મામલે વિરોધનું વાવાઝોડુ રાજકોટથી પસાર થયા બાદ જામનગર સીટ ઉપર કેન્દ્રિત થયું હોય તેમ મતદાન સુધી લાગ્યું હતું. કદાચ સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારનો સૌથી વધુ વિરોધ જામનગર બેઠક ઉપર દેખાયો હતો તેની સીધી અસર મતદાન ઉપર પણ જોવા મળી હતી.

રાજપુત સમાજના મતદારોમાં અગાઉ જે માત્રામાં ભાજપતરફી મતદાન થયું હતું તેમા મોટુ ગાબડું પડયું હોવાનું રાજપુત સમાજમાં ચર્ચાય છે અને તેની પૃષ્ટી ભાજપના અનેક લોકો ખાનગીમાં કરી રહ્યા છે.

બીજુ પરીબળ કે જે ભાજપ માટે સંજીવની ગણાય અને મોટી વોટબેંક મનાય છે તે પટેલ અને આહીર જ્ઞાતિના મતદારોનું છે. પરંતુ આ વખતે કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતર્યા હતા અને ભાજપે આહીર સમાજ ઉપર ત્રીજી વખત પસંદગીનો કળશ ઢોળ્યો હતો. વકિલ જે.પી.મારવીયા લેઉવા પટેલ હોવાના કારણે જામનગર બેઠક ઉપર આવેલ અંદાજે દોઢ લાખથી વધુ લેઉવા પટેલ મતદારો કે જેમાંથી મોટા પ્રમાણમાં ભાજપના કમિટેડ વોટ ગણાય તેમાં જબરૂ પરિવર્તન જોવા મળ્યું હતું. અનેક એવા પાટીદારો એવુ કહે છે કે, અમે કયારેય કોંગ્રેસને મત આપ્યો નથી પરંતુ આ વખતે અમે અમારા સમાજના ઉમેદવારને મત આપ્યો છે. 

જામનગર ગ્રામ્ય, કાલાવડ અને જામજોધપુર બેઠક ઉપર પાટીદાર સમાજના મતો મોટી સંખ્યામાં છે અને કદાચ આ જ કારણ છે કે કોંગ્રેસના જીતનો દાવો આ બેઠકો ઉપર થયેલા મતદાનને આધારે થાય છે. આ ત્રણેય બેઠકોની મળીને કોંગ્રેસને 80 હજારથી 90 હજાર જેટલી લીડની આશા છે. આ આશા કેટલા અંશે ફળીભૂત થાય છે તે જોવાનું રહ્યું. બીજુ આ ત્રણેય વિધાનસભા બેઠકો ઉપર રાજપુત સમાજના મત પણ મોટી સંખ્યામાં છે. આ ઉપરાંત જામનગર ઉત્તર બેઠક ઉપર પણ ક્ષત્રિય મતો નોંધપાત્ર સંખ્યામાં છે. પાટીદાર મત ઉપરાંત ક્ષત્રિય મતદારોનું મહદઅંશે મતદાન પોતાની ફેવરમાં થયું હોવાનું કોંગ્રેસનું માનવું છે. 

જામનગર દક્ષિણ હંમેશા ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ આ બેઠક ઉપર નોંધાયેલા 30 હજારથી વધુ પાટીદાર મતોમાંથી આશરે 20 હજાર કરતા વધુ પાટીદારોએ મતદાન કર્યુ છે. પરિણામે આ બેઠક ઉપર ભાજપની લીડમાં નોંધપાત્ર ઘટાડો થવાની કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષે ધારણા છે.

ખંભાળિયા અને દ્વારકા વિધાનસભા બેઠક ભાજપ માટે લોકસભાની ચૂંટણી જીતવા માટે અગત્યનો આધાર ગણાય છે. પરંતુ દ્વારકામાં અને ખંભાળિયા બેઠકમાં  પ્રમાણમાં ઓછું મતદાન થયું છે. ખાસ કરીને દ્વારકા બેઠકમાં સમગ્ર લોકસભામાં સૌથી ઓછા મતદાનને લીધે અહીં ભાજપની સરસાઇ ઘટી શકે છે. આ બે બેઠક ઉપરાંત જામનગર શહેરની બન્ને બેઠક ઉપર ભાજપની લીડ નિશ્ચિત મનાય છે. પરંતુ શહેરની આ બન્ને બેઠકની લીડ સમગ્ર બેઠકનું પરિણામ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમ મનાય છે.

છેલ્લે ચૂંટણી અંગેના સટ્ટાની વાત કરીએ તો જામનગરની સ્થાનિક શરત બજારમાં ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ હજુ પણ હોટ ફેવરીટ રહ્યા છે. મતદાન બાદ ગઇરાત્રે પૂનમબેનની જીતનો ભાવ 25થી 30 પૈસા બોલાતો હતો.

જેથી કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયાનો ભાવ ત્રણથી સવા ત્રણ રૂપિયા બોલાતો હતો. આ ઉપરાંત ગુજરાતની એક બિનહરીફ બેઠક બાદ બાકીની 25 સીટમાં ગઇકાલે મતદાન થયા પછી તમામ બેઠક ઉપર ભાજપની જીતનો ભાવ જે શરૂઆતમાં 40 પૈસા હતો તે વધીને 80 પૈસાથી સવા રૂપિયા સુધી બોલાતો હતો. આમ શરત બજારના અનુમાન મુજબ પૂનમબેનની જીતની શકયતા ખૂબ વધુ છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj