રાજકોટ તા.16
અગાઉ રાજકોટના રહેવાસી અને હાલ વડોદરા મુકામે રહેતા દમયંતીબેન મેતાએ રાજકોટનાં અક્ષણ માર્ગ ઉપર આવેલ પોતાની માલિકીનો અતિ કિંમતી ફલેટ રાજકોટના દિપકભાઈ સાંગાણીને વેચાણ દસ્તાવેજથી વેચાણ આપેલ જે દસ્તાવેજ રદ કરવા દમયંતીબેને રાજકોટ સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરતા કોર્ટે પ્રાથમિક તબકકે જ તે દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. કેસની વિગત મુજબ દમયંતીબેને રાતરાણી એપાર્ટમેન્ટમાં આવેલ ફલેટ દિપકભાઈને રૂા.1 કરોડમાં વેચાણ આપી દિપકભાઈ સાંગાણીની તરફેણમાં ગત તા.4/2/2013ના રોજ રજી. વેચાણ દસ્તાવેજ કરી આપેલ, પરંતુ દમયંતીબેન વૃધ્ધ ઉમરના હોય ખરીદનાર દિપકભાઈએ દમયંતીબેનને ફલેટમાં રહેવા માટે પરવાનગી આપેલ હતી.
જો કે તે પછી દમયંતીબેને તેમના પુત્ર દિનેશભાઈને પાવર ઓફ એટર્ની આપી દાવો દાખલ કરેલ કે, તેણીએ પોતાની અંગત લોન ભરપાઈ કરવા માટે થઈને દિપકભાઈ પાસેથી હાથ ઉછીની રકમ લીધેલ જેની સીકયુરીટી પેટે વેચાણ દસ્તાવેજ કરવામાં આવેલ હતો. પરંતુ તેણીએ કટકે કટકે રૂા.43 લાખ દિપકભાઈને રોકડા જ ચુકવી આપેલ હોવા છતાં તેમજ બાકીની રકમ પોતે ચુકવવા તૈયાર હોવા છતાં દિપકભાઈ ફલેટનો વેચાણ દસ્તાવેજ રદ કરી આપતા નથી. જેથી દિપકભાઈએ દાવો રદ કરવા અરજી કરેલી. સુનવણી વખતે પ્રતિવાદી તરફે રોકાયેલ એડવોકેટ શ્યામલભાઈ સોનપાલે દાવો રદ કરવા દલીલો કરેલ. બન્ને પક્ષોની દલીલો પૂર્ણ થતા રાજકોટના એડી.સીની. સિવિલ જજે દાવો લીમીટેશન એકટની જોગવાઈઓ મુજબ સમય મર્યાદા બહારનો હોય તેવું ઠરાવી વાદીનો દાવો રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ દાવામાં પ્રતિવાદી દિપકભાઈ વતી ધારાશાસ્ત્રી શ્યામલભાઈ સોનપાલ, મનોજભાઈ તંતી, નિલેષભાઈ વેકરીયા, મલ્હારભાઈ સોનપાલ તથા લીગલ આસીસ્ટન્ટ તરીકે કુ.ખુશી એ. પંડયા તથા કુ. દિવ્યા જાની રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy