માધવપુર (ઘેડ) તા.18 ઉતર પૂર્વની રાજકુમારી શ્રીકૃષ્ણ પ્રભુની યશગાથા સાંભળી તન, મન, ધનથી શ્રીકૃષ્ણ પ્રભુને રૂક્ષ્મણી વરી ચૂકયા હતા તેથી શ્રીકૃષ્ણ પ્રભુએ તેમનું ઉત્તર પૂર્વ કુંદનપુરથી હરણ કરી ગુજરાતમાં દ્વારકા લાવ્યા બાદ માધવપુરમાં વિધિવત લગ્ન કર્યા હતા એટલે બે સંસ્કૃતિનો સમન્વય થયો હતો. ત્યારથી શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવની ઉજવણી માધવપુરમાં થાય છે. ગઈકાલે બપોરે રૂક્ષ્મણી માતાજીને વાજતે ગાજતે રૂક્ષ્મણી મઢે પીયર પક્ષના ભાઈ બહેનો હર્ષ ઉલ્લાસ પૂર્વક ધામેધુમે તેડી ગયા હતા અને રાત્રીના 9 વાગ્યે શ્રીકૃષ્ણનું પહેલું ફુલેકુ વિધિવત ગાર્ડ ઓફ ઓનર આપી, કીર્તનકારોના કીર્તન સાથે દાંડીયા રાસની રમઝટ સાથે લગ્ન ગીતોની રમઝટ સાથે શ્રીકૃષ્ણ પ્રભુના જયજયકાર સાથે મેઈન બજારમાં વિશ્રામ કરતા કરતા ભોગ, મેવો, મીઠાઈ આરોગતા બ્રહ્મકુંડે પહોંચ્યું હતું. રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ પરંપરાગત લોકમેળાનું ઉદઘાટન કરેલ હતું. રામનવમીના દિવસે નિકળેલ પહેલા ફુલેકામાં ભાવિકો ઉમટી પડયા હતા. શ્રધ્ધાળુઓ ત્રણ કલાક દાંડીયા રાસ રમ્યા હતા પરંતુ તેમના મુખ પર જરા પણ થાક દેખાતો ન હતો. બહેનોએ લગ્ન ગીતોની રમઝટ બોલાવી હતી, મેળો આજથી શરૂ થતા અનેક સંસ્થાઓ દ્વારા ભોજન તથા રહેવાની સગવડ ચાલુ થઈ ગઈ છે. શ્રીકૃષ્ણ પ્રભુને એન્ટીક રથમાંથી પાલખીમાં બેસાડવામાં આવ્યા હતા અને બ્રહ્મકુંડે વિશ્રામ કરાવવામાં આવ્યો હતો ત્યાં કિર્તનકારોએ કિર્તન કર્યા હતા અને શ્રી કૃષ્ણ પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી અને શીતલ જલ તથા લીલો સૂકો મેવો ધરાવવામાં આવ્યો હતો અને તે જલ તથા મેવો આવેલ સમગ્ર ભાવિક ભકતોને વહેચવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફરી શ્રી કૃષ્ણના ફુલેકાનો રથ માધવરાય મંદિરે પહોંચ્યો હતો ત્યાં શ્રીકૃષ્ણ પ્રભુના પોખણા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જનતા ફરી મેળાની મોજ માણવા મેળામાં શ્રી કૃષ્ણ પ્રભુના જયકારો બોલાવતા છુટી નીકળી હતી. પોલીસ બંદોબસ્ત ચુસ્ત છે. પોલીસ ભાઈ બહેનો સતત ખડેપગે ઉભા રહી પોતાની ફરજ બજાવી રહ્યા છે. મેળા દરમ્યાન કોઈપણ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સરકાર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાત્રે બીજું ફુલેકુ નીકળશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy