♦ અમિત શાહે જ મોરચો ખોલ્યો: કોંગ્રેસ હવે તમારી સંપતિ પણ હડપવા માંગે છે: રાહુલ ગાંધી પર સીધો પ્રહાર: કોંગ્રેસ પ્રવકતા જયરામ રમેશે કહ્યું એ વિચારો પિત્રોડાના અંગત: કોંગ્રેસને કંઈ લેવા દેવા નથી
નવી દિલ્હી,તા.24
લોકસભા ચુંટણીમાં કોંગ્રેસના ચુંટણી ઢંઢેરામાં અને પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા જાહેરસભાઓમાં સંપતિની વહેંચણી અંગે જે વચન અપાયુ છે તે મુદે હવે કોંગ્રેસ વધુ મુશ્કેલીમાં આવી છે. એક તરફ રાહુલના વિધાનો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જબરુ આક્રમણ કરીને હવે તમારા ઘરના સોનાની તપાસ પણ સરકાર કરશે અને જો બે ઘર ધરાવતા હો તો એક ઘર સરકાર લઈ લેશે અને તમારુ મંગલસૂત્ર પણ સલામત નથી તેવા પ્રચારનો જવાબ હજુ કોંગ્રેસ આપી શકી નથી.
તે સમયે જ અમેરિકામાં રહેતા કોંગ્રેસના સીનીયર નેતા અને ટેકનોક્રાફટ સામ પિત્રોડાએ અમેરિકામાં પણ 55 ટકા વારસદાર ટેકસ છે તેવું જણાવીને કોંગ્રેસના ચુંટણી ઢંઢેરાને યોગ્ય ઠેરવવા પ્રયાસ કર્યો હતો પણ આ મુદે ભાજપે નવુ આક્રમણ કરતા કોંગ્રેસના પ્રવકતાએ વારસદાર ટેકસ અંગે પિત્રોડાના વિધાનો તેમના અંગત હોવાનું જણાવીને તેનાથી કોંગ્રેસને દુર રાખવા પ્રયાસ કરી રહી છે.
રાહુલ ગાંધીના મેન્ટર મનાતા સેમ પિત્રોડાએ અમેરિકાથી એક વિડીયો મેસેજમાં એવો દાવો કર્યો હતો કે અમેરિકામાં જો કોઈ પાસે 100 મીલીયન ડોલરની મિલ્કતો હોય અને તે વ્યક્તિનું મૃત્યુ થાય પછી તેના પર વિરાસત ટેકસ એટલે કે વારસદાર ટેકસ લાગે છે અને 55 ટકા મિલ્કત સરકાર લઈ લે છે અને 45 ટકા જ તેના વારસદારોને મળે છે.
સામ પિત્રોડાના આ વિધાનો પર ભારતમાં હવે રાજકીય લડાઈ શરુ થઈ છે અને ભાજપે જબરુ આક્રમણ કરતા કહ્યું કે હવે તમારી સંપતિના 55 ટકા પણ લઈ લેવા કોંગ્રેસ કહી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે સીધુ રાહુલ ગાંધી પર તોપનું નાળચુ ફેરવ્યુ હતું અને કોંગ્રેસે તુર્તજ બચાવમાં આવવું પડયું હતું. કોંગ્રેસના પ્રવકતા જયરામ રમેશે તાત્કાલિક નિવેદનમાં કહ્યું કે, વારસદાર ટેકસ અંગે સામ પિત્રોડાના વિધાન તેમના પોતાના છે.
કોંગ્રેસ પક્ષ તેની સાથે કોઈ સંબંધ ધરાવતી નથી. બીજી તરફ રાહુલ ગાંધીએ પણ સંપતિની વહેંચણી અંગે તેમના વિધાનો અને કોંગ્રેસની ચુંટણી ઢંઢેરાનું ખોટુ અર્થઘટન થઈ રહ્યું હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે અમે કોઈની સંપતિ છીનવી લેવા માંગતા નથી.
કોંગ્રેસ કી લુંટ: જીંદગી કે સાથ ભી જીંદગી કે બાદ ભી: મોદીએ જબરો પ્રહાર કર્યો
નવી દિલ્હી,તા.24
કોંગ્રેસ પક્ષનો ચુંટણી ઢંઢેરો ભાજપ માટે નવા નવા મુદાઓ લઈને આવ્યો હોવાના સંકેત છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ ભાજપના ટોચના નેતાઓ હવે ચુંટણી પ્રચારમાં કોંગ્રેસના આ ઢંઢેરાના વચનો અને રાહુલ ગાંધીને નિશાન બનાવી રહ્યા છે તે સમયે જ અમેરિકામાં વારસદાર ટેકસ અંગે સામ પિત્રોડાએ કરેલા વિધાનો હવે કોંગ્રેસ માટે વધુ મુસીબત લાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે જ કલાકમાં પિત્રોડાના આ વિધાનો પર છતીસગઢની એક સભામાં પ્રહાર કરતા કહ્યુ કે કોંગ્રેસ હવે તમને જીવનભર તો લુંટે જ છે પણ મૃત્યુ બાદ પણ કોંગ્રેસની લુંટ ચાલુ રહેશે. તેમણે આ માટે એલઆઈસીના વિખ્યાત જીંગલનો કોંગ્રેસ પર પ્રહાર કરવામાં ઉપયોગ કર્યો હતો.
જણાવ્યું હતું કે, કોંગ્રેસ કી લુંટ જીંદગી કે સાથ ભી જીંદગી કે બાદ ભી, હવે કોંગ્રેસ એમ કહે છે કે તમારા માતા-પિતાની સંપતિ પર પણ ટેકસ લાગશે અને તમને તેમાં બહુ ઓછો વારસ મળશે. કોંગ્રેસ અત્યાર સુધી વધુ ટેકસથી તમને મારતી જ હતી હવે તમે જીવતા ન હો તો પણ ટેકસ વસુલાશે અને તે ઈચ્છતી નથી કે ભારતીય બાળકોને તેમના માતા-પિતાની સંપતિ મળે.
કોંગ્રેસ ખુલ્લી પડી રહી છે: અમિત શાહ
નવી દિલ્હી તા.24
સામ પિત્રોડાના નિવેદન મુદે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ પ્રહારો શરુ કરી દીધા છે અને કહ્યું કે કોંગ્રેસ ધીમે ધીમે ખુલ્લી પડી રહી છે તે તમારી સંપતિ આંચકી લેવા માંગે છે અને તે રીતે તમારી મહેનતની કમાણી બીજાને આપી દેશે. આ કોંગ્રેસની માનસિકતા બની છે પરંતુ જયાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સતામાં છે ત્યાં સુધી તે થવા દેશે નહી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy