રાજકોટ,તા.26
આજીડેમમાં આરકે કોલેજના ગેઈટ નજીક ગઈકાલે સાંજે લિવઈનમાં રહેતું યુગલ ડુબી જતાં યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે મહિલાને લોકોએ બચાવી લીધી હતી. દરમિયાન હોસ્પિટલના બિછાનેથી પત્નિએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, તેને પતિ ઘરેથી ન્હાવા માટે લઈ ગયા બાદ તરતાં શીખડાવું તેમ કહી ઉંડા પાણીમાં લઈ ગયો હતો અને પગ પકડી ઉંધી કરી ડુબાડી દેવાનો પ્રયાસ કર્યો હતો. દેકારો મચાવતાં લોકોએ પોતાને બચાવી લીધી હતી. જ્યારે ફાયરબ્રિગેડની ટીમે 24 કલાકની જહેમત બાદ યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, રૈયાધારમાં રહેતી હિનાબેન અરવિંદભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.37) ગત સાંજે તેની સાથે મૈત્રી કરનાર શખ્સ અરવિંદભાઈ કેશુભાઈ ચૌહાણ (ઉ.વ.41) આજીડેમ ખાતે લઇ ગયો હતો. જ્યાં માંડાડુંગર વિસ્તારમાં આર.કે.ના ગેઈટ નજીક ડેમ ખાતે લઈ ગયો હતો. જ્યાં બંને ન્હાવા જતાં ડુબી ગયા હતાં.
બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના સ્ટાફે હીનાબેનને બહાર કાઢી લીધા હતાં. પણ અરવિંદભાઈને શોધવા મહેનત કરવામાં આવી હતી. મહિલાને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ફાયરબ્રિગેડની ટીમે આજે સવારે હોડી સહિતના સાધનો સાથે પહોંચી ફરીથી શોધખોળ શરૂ થઇ હતી. આજે બપોરે ફાયરબ્રિગેડના સ્ટાફને યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
જ્યારે સારવારમાં રહેલ હીનાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, તેણીના પતિનું વર્ષો પહેલા અવસાન થયું છે. તેમને ત્રણ સંતાન છે. ચારેક વર્ષ પહેલા અરવિંદ ચૌહાણ પડોશમાં રહેતો હોઈ તે તેમની ઘરે પાળેલુ કુતરૂ હોઈ તે રમાડવા આવતો હોઇ અમારી વચ્ચે ઓળખાણ થઈ હતી. બાદમાં બંનેએ મૈત્રી કરાર કરી લીધા હતાં.
હાલમાં અરવિંદની માનસિક સ્થીતી બરાબર લાગતી ન હોઈ તે અવાર-નવાર તેણીને છોડી જીલ્લા ગાર્ડન પાસે જતો રહેતો હતો અને ગમે ત્યારે ફરી આવતો હતો. ગઈકાલે તે આજીડેમે ન્હાવા જવાનું કહ્યું હતું તેમજ તેણીને તરતાં ન આવડતું હોય જેથી તેને તરતાં શીખવાડવાનું કહીં આર કે કોલેજના ગેઈટની સામેના ભાગના પાણીમાં લઇ ગયો હતો. જ્યાં તરતાં શીખવવાનું કહીને આગળ લઈ ગયો હતો. પરંતુ બાદમાં તેણીના પગ પકડી ઉંધી કરી ડુબાડવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન તેણીએ દેકારો કરતાં લોકો ભેગા થઈ જતાં તેને બચાવી લીધી હતી. પરંતુ અરવિંદ પોતે ડુબી ગયો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે હીનાબેનનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી. દરમિયાન આજે સવારે ફરીથી ફાયર બ્રિગેડના તરવૈયાઓએ પાણીમાં ગરકાવ થયેલ અરવિંદભાઈને શોધવા કવાયત આદરી હતી ત્યારે તેનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
નિયમિત બંને સાથે કપડાં ધોવા ડેમ પર જતાં હતાં: યુવકના પરિવારજનો
રાજકોટ. તા.25
જ્યારે પાણીમાં ગરકાવ થયેલ અરવિંદના પરિવારજનોએ જણાવ્યું હતું કે, તેઓ દંપતી સાથે આજીડેમ નજીક રહેતાં હતાં. યુવક મહિકમાં કલરકામ કરતો હતો. તે સાંજે ઘરે આવે ત્યાં બંને ન્હાવા માટે અને કપડાં ધોવા સાથે ડેમ નજીક જતાં હતાં. ગઈકાલે પણ બંને કપડાં ધોવા સાથે ગયાં ત્યારે અરવિંદભાઈ ઊંડા પાણીમાં ગરક થતાં હિના તેને બચાવવા જતાં તે પણ ડૂબવા લાગી હતી. પરંતુ ત્યાં હાજર લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરતાં તેને બચાવી લીધી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy