રાજકોટ, તા.1
માલવીયાનગર પોલીસ મથકના કસ્ટડીયલ ડેથ મામલે ભાગી છુટેલો આરોપી એએસઆઈ અશ્ર્વિન કાનગડ સામેથી હાજર થઈ ગયો હતો. આરોપીને ક્રાઈમ બ્રાંચે માલવીયાનગર પોલીસને સોંપ્યો છે. હવે તેની રિમાન્ડ માટે તજવીજ કરાશે.
બનાવની ટૂંકી વિગત મુજબ, ગત તા.14 એપ્રિલની રાત્રે પાડોશીની માથાકૂટમાં સમાધાન કરાવવા ઘર પાસે શેરીમાં ગયેલા હમીર ઉર્ફે ગોપાલ દેવજીભાઇ રાઠોડ(ઉ.વ.34)ને માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ ઉઠાવી ગયો હતો. તેની સાથે અન્ય એક યુવાને પણ પોલીસ મથકે લઈ ગયા હતા. હમીરને બેફામ માર મારવામાં આવેલો.
જ્યારે સાથેના યુવાન રાજેશ સોલંકીને પણ માર મારવામાં આવેલો. રાત્રે પરિવારના લોકો પોલીસ મથકે ગયા હતા. પોલીસે છોડી મુકતા હમીરને ઘરે લાવવામાં આવેલ. પોલીસ મથકે એએસઆઈ અશ્વિન જેઠા કાનગડે બેફામ માર માર્યો હતો. સવારે હમીર નીંદરમાંથી ન જાગતા તેને વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
15મીએ માલવીયાનગર પોલીસ દ્વારા જાણી જોયને આરોપી એએસઆઈના નામ વગરની એફઆઈઆર નોંધી હતી અને તેમાં આઇપીસી 307 અને 323ની કલમ દર્શાવી હતી. 16મીએ સવારે હમીરનું સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવના પગલે અનુસૂચિત જાતિ સમાજના લોકો રોષ ભેર એકત્ર થયા હતા.
એફઆઈઆરમાં આરોપીનું નામ ન હોય, અને આરોપીને પકડવામાં ન આવ્યો હોય મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરાયો હતો. હોસ્પિટલ ચોકમાં બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે મૃતદેહ રાખી દેખાવો કરાયા હતા. ત્યાં પથ્થર મારો અને તોડફોડ થઈ હતી. એટ્રોસિટી એકટ અને હત્યાની કલમો ઉમેરે એએસઆઈ અશ્વિનના નામ જોગ કોર્ટમાં રિપોર્ટ કરાતા અને 48 કલાકમાં આરોપીને પકડવા ખાતરી આપાતા મૃતદેહ સ્વીકારવામાં આવેલ.
જોકે ઘટનાના સપ્તાહ પછી પણ પોલીસ આરોપીને પકડી શકી નહોતી. સૂત્રોએ જણાવ્યું કે, આરોપી સામેથી ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થઈ ગયો હતો. ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ જણાવ્યું કે, આરોપી એએસઆઈને માલવીયાનગર પોલીસને સોંપવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છેકે, આરોપી એએસઆઈને ડિસમિસ કરવા, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી 6 મહિનામાં જ ચુકાદો લાવવા અને રાજકોટ ઘંટેશ્વર એસઆરપી જૂથના સેનાપતિ આઇપીએસ સુધા પાંડેને તપાસ સોંપવા અનુસૂચિત જાતિ સમાજના લોકોએ માંગ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy