ઉત્સાહ, જનજાગૃતિ, વિવાદો પર ગરમી ભારે પડી : સૌરાષ્ટ્ર-કચ્છમાં મતદાનમાં ગાબડુ

Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 08 May, 2024 | 10:52 AM
હિટવેવ વચ્ચે ગત વખત કરતા મતદાનમાં 4% જેવો ઘટાડો : મોદીની સભા સિવાય કયાંય મોટો પ્રચાર ન દેખાયો : ભારે તાપમાં ચોકકસ વર્ગ મત આપવા ન પહોંચતા રાજકીય પક્ષોમાં ચિંતા : પોરબંદર વિધાનસભામાં 57.60 અને માણાવદર વિધાનસભામાં 58.87 ટકા જેવું મતદાન
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8

સૌરાષ્ટ્ર-કચ્છની લોકસભાની આઠ બેઠકની ચૂંટણી કાળઝાળ ગરમી વચ્ચે પ્રમાણમાં ઠંડી રહી છે. મતદાન માટેના  ઉત્સાહ, જનજાગૃતિ માટે લાખ પ્રયાસો અને ક્ષત્રિય સમાજના વિરોધ સહિતના વિવાદો હીટવેવમાં ભારે પ્રભાવિત થયા છે. ગુજરાતની જેમ સૌરાષ્ટ્ર-કચ્છની આઠ બેઠકો પર ગત લોકસભાની ચૂંટણી કરતા ચાર ટકા જેવું મતદાન ઘટના હવે 27 દિવસ રાજકીય પક્ષો માટે સસ્પેન્સભર્યા બની રહેશે.

સૌરાષ્ટ્રમાં પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે 57.60 ટકા અને માણાવદર વિધાનસભા બેઠક પર 58.87 ટકા જેવું મતદાન નોંધાયું હતું. ભાવનગરમાં આપ અને ભાજપ વચ્ચે મુકાબલો હતો. તો આ સિવાયની તમામ સાત બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટકકર થઇ છે.

રાજકોટમાં પરસોતમ રૂપાલા અને પોરબંદરમાં ડો. મનસુખ માંડવીયા એમ બે કેન્દ્રીય મંત્રીએ ચૂંટણી લડી છે. અમરેલી જિલ્લામાં પૂરા રાજયનું સૌથી નીચુ મતદાન થયું છે. તો પોરબંદરમાં પણ પ્રમાણમાં સામાન્ય મતદાન રહ્યું છે. 

સૌરાષ્ટ્ર અને કચ્છની 8 બેઠકોનું મતદાન એકંદરે સાધારણ રહ્યું હતું કુલ 12 જિલ્લાઓની રાજકોટ,જામનગર, અમરેલી, પોરબંદર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ અને ભાવનગર 8 બેઠકો પર ગત સાંજે છ વાગ્યા સુધીમાં એકંદરે સરેરાશ અને અંદાજિત 54.94 ટકા મતદાન થયું છે જે 2019ની લોકસભા ચૂંટણીમાં 58.94 ટકા કરતા 4 ટકા ઓછુ છે.

સૌરાષ્ટ્રમાં કૂલ 1.50 કરોડ મતદારોમાં 82.50 લાખ નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે જ્યારે 67.50 લાખ મતદારોએ ગરમી કે નિરાશા કે અન્ય કોઈ પણ કારણોસર મતદાન કરવાનું ટાળ્યું છે.

વડાપ્રધાનની જ્યાં સભા થઈ હતી અને ક્ષત્રિય આંદોલનની અસર ઓછી હતી તે જુનાગઢમાં સૌથી વધારે 58.87 ટકા અને બીજા નંબરે જામનગર કે જ્યાં ક્ષત્રિય આંદોલનની અસર હતી ત્યાં 57.67 ટકા મતદાન થયું છે જે સરેરાશ કરતા 4 ટકા જેટલું વધારે છે. પરંતુ, સુરેન્દ્રનગર કે જ્યાં પહેલેથી જ ક્ષત્રિય આંદોલન વધુ તેજ બન્યું હતું ત્યાં માત્ર 52.22 ટકા મતદાન થયું છે. 

અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું મતદાન માત્ર 50.07 ટકા થયું છે. પક્ષપલ્ટાને કારણે જ્યાં ચૂંટણી આવી પડી તે માણાવદરમાં પણ 53.93 ટકા જેવું પાંખુ મતદાન રહ્યું છે. 

સૌરાષ્ટ્રમાં ગત ધારાસભા-2022ની ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો ત્યારે આ વખતે ભાવનગરમાં ભાજપ અને આપ વચ્ચે તથા અન્ય તમામ બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો. કુલ 92 ઉમેદવારોનું રાજકીય ભાવિ આજે ઈ.વી.એમ.માં સીલ થયું છે. 

આ ચૂંટણીમાં વિકાસની વાતો, લોક સમસ્યા કરતા ક્ષત્રિય સમાજના આંદોલન, પક્ષપલ્ટા, ઉમેદવારો સામે છુપી નારાજગી, આયાતી ઉમેદવારોના મુદ્દા હોટ ટોપીક બની રહ્યા હતા. તો વડાપ્રધાનની સભા સિવાય કોઇ મોટા પ્રચાર  પણ થયા ન હતા. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj