(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. ર6
સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે કાળજી રાખવા અંગે નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) દ્વારા વિવિધ સૂચનો જાહેર કર્યા છે. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ, પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ, પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારેય પણ બિયારણની ખરીદી કરવી નહીં. જેથી છેતરપિંડીથી બચી શકાય.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનો લાયસન્સ નંબર, પુરું નામ, સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થયાની વિગતો દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગઈ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થઈ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહીં.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા 4જી અને 5જી જેવા જુદા-જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં તેમજ આ જ પ્રકારના બિયારણો વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત તાલુકા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) સુરેન્દ્રનગરને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવું જરૂરી છે એમ વધુમાં યાદીમાં જણાવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy