ક્ષત્રિય સમાજ બાદ વધુ એક જ્ઞાતિમાં ભાજપ સામે રોષની લાગણી : મતદાનના આગલા દિવસો સુધી વિવાદો ગાજતા જ રહ્યા

નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ કોળી સમાજ પર ટીપ્પણી કરતા ફરી ભડકો : ભાજપ વિરૂધ્ધ મતદાનનું એલાન

Gujarat, Saurashtra, Politics | Rajkot | 04 May, 2024 | 04:09 PM
ભાજપના વધુ એક નેતા પર રોષ વરસ્યો : તત્કાલ માફી અને પગલાની માંગ : તડકામાં મત આપતો સમાજ ભાજપને હરાવવા સવારથી નીકળી પડે : પત્રકાર પરિષદમાં આહવાન : ગઢડામાં સુત્રોચ્ચાર સાથે હવન
સાંજ સમાચાર

રાજકોટ, તા. 4
રાજકોટ ભાજપના ઉમેદવાર દ્વારા ક્ષત્રિય સમાજ પર કરાયેલી ટીપ્પણીનો વિવાદ મતદાનના દિવસો પૂર્વે પણ શાંત ન થયો ત્યારે નાણામંત્રી કનુભાઇ દેસાઇએ નવસારીમાં કોળી સમાજ પર ટીપ્પણી કરતા રોષ ભડકયો છે. રાજકોટ સહિતના શહેરોમાં વિરોધ ઉઠયો છે અને મંગળવારે ભાજપના ઉમેદવારને હરાવવા જય ભવાની, જય માંધાતાના નારા સાથે ભાજપ વિરૂધ્ધ મતદાન કરવાના એલાન અપાયા છે. 

આજે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત રાજય ઉપાધ્યક્ષ યુવા પાંખ (ભૂતપૂર્વ) મુન્નાભાઇ બાવળીયા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી હતી. તેઓએ જણાવ્યું હતું કે કોળી સમાજે જ્ઞાતિના અને ભાજપના સેંકડો પ્રતિનિધિઓને ધારાસભા અને સંસદ સુધી પહોંચાડયા છે. ભાજપને કાયમ સમર્થન આપ્યું છે.

પરંતુ નાણામંત્રી કનુભાઇ દેસાઇએ જ્ઞાતિ પર કરેલી ટીપ્પણીથી સમાજની લાગણી દુભાય છે. જ્ઞાતિ દ્વારા પાર્ટી પાસે કોઇ અપેક્ષા રાખવામાં આવતી નથી અને મજુરી કરીને પેટ ભરતો સમાજ કયારેય હાથ ફેલાવતો નથી. 

આ સંજોગોમાં ક્ષત્રિય બાદ ભાજપના નેતાએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ છે. જ્ઞાતિઓના અપમાનનું જાણે લીસ્ટ બનાવ્યું હોય તેવું લાગે છે. આથી કનુભાઇ દેસાઇ માફી માંગે અને ભાજપ તેના પર કડક પગલા લે તે જરૂરી છે. કોળી સમાજના મતદારો ભાજપને જીતાડવા તડકામાં મત આપવા તૈયાર હોય છે. તો અપમાન બદલ મતદાનના દિવસે સવારથી જય ભવાની અને જય માંધાતાના સુત્રો સાથે ભાજપના ઉમેદવારને હરાવવા પણ તૈયાર થઇ જશે તેવું જાહેર કર્યુ હતું. 

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે નિવેદન આપ્યું તે બાદ  હવે ભાજપના બીજા એક નેતાનો વાણીવિલાસ સામે આવ્યો છે. કનુભાઈ દેસાઇનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.  જેમાં તેઓ કોળી સમાજને લઈને વાણીવિલાસ કરી રહ્યા છે. 

હવે આ બધાની વચ્ચે કોળી સમાજને લઈને કનુભાઈ દેસાઇએ નવસારીમાં જે વાણીવિલાસ કર્યો ત્યારબાદ કોળી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. કોળી સમાજના લોકો રોષે ભરાયા છે અને કહી રહ્યા છે કે આ નિવેદનને લઈને હવે કનુભાઈ દેસાઇએ કોળી સમાજની માફી માંગવી પડશે. નહીં તો રાજીનામું આપવું પડશે. 

આમ આદમી પાર્ટી
દરમ્યાન નાણાંમંત્રી કનુ દેસાઈએ નવસારીમાં આપેલા નિવેદન બાદ આપ અને કોળી સમજમાં રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી રાજુભાઈ સોલંકીએ એક વીડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપના અહંકારી નેતાઓ જાહેર મંચ પરથી અવારનવાર અલગ અલગ સમાજ માટે, જ્ઞાતિ માટે અને ધર્મ માટે બફાટ કરતા હોય છે અને લોકોની લાગણી દુભાઈ તે પ્રકારના નિવેદનો કરતા હોય છે.

ભાજપ સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જાહેર મંચ પરથી પોતાના ભાષણમાં કોળી સમાજ વિશે એક ટિપ્પણી કરી છે, જેના કારણે સમગ્ર ગુજરાતના કોળી સમાજના લોકોની લાગણી દુભાઈ છે.

સમગ્ર ગુજરાતમાં તેમના નિવેદન વિરૂદ્ધ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. કોળી સમાજ વિરૂદ્ધ કોઈપણ ટિપ્પણી કરીને તેમની લાગણી દુભાવવામાં આવે તે બિલકુલ યોગ્ય નથી. માટે કનુભાઈ દેસાઈ તાત્કાલિક ધોરણે કોળી સમાજની માફી માંગે. નહિતર આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો કોળી સમાજ મેદાને ઉતરશે અને આંદોલન કરશે.

ગઢડામાં હવન
બીજી તરફ ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં કોળી સમાજના યુવાનો દ્વારા હવન કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કોળી સમાજ વિરૂદ્ધ કરેલ બફાટ ના વિરોધમાં હવન કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માતાજી કનુભાઈ દેસાઈને સદબુદ્ધિ આપે તે માટે હવન કરી યુવાનો દ્વારા કનુ દેસાઈ હાય હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. ભાજપ મોવડી મંડળ દ્વારા તાત્કાલિક કનુ દેસાઈ વિરુદ્ધ પગલા ભરવા કોળી સમાજના યુવાનોએ માંગ કરી છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj