ગામડાઓમાં પહેલા મુખી પ્રથા હતી જ... પંચ પણ રહેતું... ગામ તે સહુની આમન્યા પણ રાખતું. ને કોઈ એ નાનકડો ગુનો કર્યો હોય તો ચબૂતરે અમુક મણ દાણા કે પછી અબોલ જીવને ઘાસચારો નાખવાની સજા કરી અને તે વ્યક્તિને સુધરવાની તક આપવામાં આવતી. ટૂંકમાં માણસ જે ભૂલો કે ગુન્હો કરતો તેનો લાભ અન્ય જીવ સૃષ્ટિ ને મળતો.
આ અભણ કહેવાતા ગામડાની અદભુત વ્યવસ્થાનો પુરાવો છે. ઘેર ઘેર ફાળા ઉઘરાવી ને નિયમિત ગામ કૂવા અને હવાડા નિયમિત સાફ કરાવતા. પરોઢીયે પ્રભાતીયા ગાતા ગાતા ફેરી લઈને નીકળતા હરી હરી બોલની ધૂનની મંડળીઓ. સહુને વહેલા જગાડતાને બદલામાં પ્રભાત ફેરીમાં જે અનાજ મળતું એ ચબૂતરે નાખી દેતા... આ કોઈ ચૂંટાયેલા નહોતા કે નહોતી તેમને કોઇ એ તાલીમ આપવી પડતી ...
સહુ કોઈ પોતાનું કર્તવ્ય ગણીને સેવા કરતા. પંચાયતી રાજ આવ્યું અને ધીમેધીમે ચૂંટણીની આડમાં ગામડાઓ ખરડાયા. આજે શું સ્થિતિ છે એ કઈ લખવાની જરૂર નથી. ગ્રામ સભાઓ કેવી ખાલીખમ હોય છે. જાણે કે ગ્રામસભાએ અગિયારસ કરી હોય. ગામડાને તો તેના અસલ મિજાજમાં જીવવા દેવામાં આવે એજ ઇચ્છનીય છે.
બાકી તો આપણા ગામડાઓની સંસ્કૃતિની તોલે એકેય વ્યવસ્થા ન આવે. ગામડું મજબૂત જ હતું એ ગામડાંને મજબૂત કરવાના નામે જાતભાતના નિષ્ણાતોની બેઠકો અને શિબિરોમાં એ નિષ્ણાતોને બોલતા સાંભળીયે એટલે એવું લાગે કે મિનરલ વોટરની બોટલ ‘ગાગર’ની સમસ્યા ઉપર બોલે છે...શબ્દોનો સારાંશ અંબુ પટેલ ખારાઘોડાના શબ્દોમાં.. (તસ્વીર : ફારૂક ચૌહાણ - વઢવાણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy