રાજકોટ, તા.17
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર અને રાજકોટના સિનિયર એડવોકેટ દિલીપ પટેલે બીસીઆઈના લેટરપેડનો દુરુપયોગ કર્યાની જાણ કરી તેમની સામે પગલાં લેવા હાઇકોર્ટની સમિતિએ બીસીઆઈને નિર્દેશ કર્યો છે. એડવોકેટ ડી. કે. પટેલ દ્વારા ઉઠાવવામાં આવેલી ફરિયાદો વ્યક્તિગત વધુ હતી તેવું માની ચીફ જસ્ટિસ અને અન્ય ન્યાયાધીશોના નિર્દેશથી વડી અદાલતના રજિસ્ટ્રારે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો છે.
વિસ્તૃત વિગત મુજબ, જામનગર રોડ પર નવી કોર્ટ બિલ્ડિંગમાં સુવિધાઓને લઈ રજુઆતો થતી રહી છે, ત્યારે નવી કોર્ટમાં વકીલોને પ્રાથમિક સુવિધાઓ આપવા માટે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપભાઈ પટેલે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના લેટરપેડ પર પત્ર લખ્યો હતો.
આ પત્રમાં નવી કોર્ટનું ઉદઘાટન ઉતાવળે થયાનું લખાયું હતું. કોર્ટના નવા બિલ્ડીંગમાં બે હજાર વકીલોને બેસવા માટે ટેબલ વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી. ઉપરાંત નવી બિલ્ડિંગમાં ચાર દિવસમાં લિફટ બંધ થઇ ગઇ, વકીલો અને અસીલો લિફ્ટમાં ફસાઈ ગયા, વકીલોને બેસવા ટેબલ ખુરશી કોર્ટે ફાળવવા માટે વચન આપ્યું હતું પણ શું થયું તે ધ્યાને લેવું જોઇએ અને વડોદરા કોર્ટનું આંદોલન ભુલાવું ન જોઇએ વગેરે લખાયું હતું.
આ અંગે હાઇકોર્ટમાં ન્યાયાધીશોની કમિટીએ એડવોકેટ ડી.કે. પટેલ આવા કોઈ પત્ર લખવા માટે અધિકૃત નથી. તેઓ રાજકોટ બારમાં પ્રતિનિધિત્વ કરતા નથી કે તે કરવા માટે પણ અધિકૃત ન હોવાનો ઉલ્લેખ કરી, દિલીપ પટેલે કરેલી ફરિયાદો વ્યક્તિગત પ્રકારની હોવાનું અને પોતાની જાતને ખોટી રીતે રજૂ કરી, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એડવોકેટ વેલ્ફેર કમિટીના ચેરમેન તરીકે પત્ર લખતા હોય તેવી છાપ ઊભી કરી છે.
લેટરપેડનો દુરુપયોગ કર્યો હોવાનું માની આ બાબતે પગલાં લેવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નિર્દેશ કરાયો છે. આ નિર્દેશમાં એવું પણ લખાયું છે કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ દિલીપ પટેલને આ માટે કોઈ સત્તા આપી નહોતી. જેથી તેની સામે યોગ્ય પગલાં લેવા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેનને સંબોધી હાઇકોર્ટના રજિસ્ટ્રાર દ્વારા પત્ર લખાયો છે.
મેં વકીલોના પ્રશ્નો ઉઠાવ્યા હતા : દિલીપ પટેલ
આ અંગે દિલીપ પટેલે સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો પ્રતિનિધિ છું. એ ઉપરાંત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં મેમ્બર છું. એ દ્રષ્ટિએ હું ગુજરાતભરના વકીલોનું પ્રતિનિધિત્વ કરું છું. જેથી વકીલોના કોઈ પણ પ્રશ્ને હું રજુઆત કરું છું. અહીં પણ મેં વકીલોના પ્રશ્નોને લઈ રજુઆત કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy