રૂ.50 લાખના ચેક રિટર્ન કેસમાં કારખાનેદારને નિર્દોષ છોડ્યા સામે કરેલી અપીલ હાઇકોર્ટે ફગાવી

Crime | Rajkot | 18 April, 2024 | 04:21 PM
ફરિયાદી પાસે રૂ. 50 લાખની રકમ હોવાની હકીકત જ શંકાસ્પદ છે: એડવોકેટ ગોકાણીની દલીલોને હાઇકોર્ટની મહોર
સાંજ સમાચાર

રાજકોટ, તા.18
સને- 2017ના રૂ.50 લાખના ચેક રીર્ટનના કેસમાં અદાલતે પાટીદાર કારખાનેદાર મહેશ શીવાભાઈ ટીલારાને નિર્દોષ ઠરાવી છોડી મુકવાના ચુકાદાને પડકારતી અપીલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવેલ છે.

આ કેસની વિગત મુજબ, રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા ફરિયાદી મનીષ બાબુલાલ મહેતાએ શિવમ મશીન ટુલ્સના નામથી કારખાનુ ધરાવતા પાટીદાર અગ્રણી મહેશ ટીલારાને મિત્ર મયુર ધાંધીયા મારફતે રૂા.50,00,000 રોકડા આપેલ. રકમ પરત આપવા ચેક આપ્યો હતો.

જે રિટર્ન થતા રાજકોટની કોર્ટમાં ફરિયાદ થઈ હતી. કેસ ચાલતા આરોપીના વકીલે દલીલ કરેલી કે, ફરીયાદી તથા તેના મળતીયા મયુર ધાંધીયા દ્વારા જે-તે સમયે પોલીસ કમીશ્નરને અરજી કરેલી. ક્રાઈમ બાંચના જે તે સમયના પી.એસ.આઈ. અતુલ સોનારા દ્વારા આરોપી મહેશ ટીલારાને બોલાવી નિવેદન લઈ, અલગ અલગ ચેકો પોલીસની હાજરીમાં ફરીયાદી તથા તેના મળતીયાઓને અપાવેલ. જે ચેકો પૈકી રૂ.50 લાખનો ચેક ફરીયાદી મનીષભાઈએ મેળવેલ હતો. સમગ્ર વ્યવહાર મયુર ધાંધીયાની હાજરીમાં થયેલ હોવાનું ફરીયાદમાં જણાવેલ છે પરંતુ મયુર ધાંધીયાને સાહેદ તરીકે તપાસવામાં આવેલ નથી.

ફરીયાદી પોતે રૂ.50 લાખ જેવી રકમ કયાંથી લાવેલા અને આટલી મોટી રકમ આપવા સારૂ નાણાકીય રીતે સક્ષમ હતા કે કેમ ? તે સંદર્ભે અસંખ્ય તક આપવામાં આવેલ છતા સોર્સ ઓફ ઈન્કમ પોતાની આવકના સ્ત્રોતનો કોઈ જ પુરાવો રજુ કરી શકેલ નથી. ફરીયાદી પોતે જ કબુલ કરે છે કે તમામ ચેકો ક્રાઈમ બ્રાંચની ઓફીસના પી.એસ.આઈ. દ્વારા અરજીના કામે પોતાની રૂબરૂના નિવેદનમાં ખોટી કબુલાતો ઉમેરી લઈ લીધેલ છે.

તમામ હકીકતોની નોંધ લેવી જોઈએ તેવી રજુઆતો કરી તે સંદર્ભેનો પુરાવો ન્યાયાલય સમક્ષ મુકેલ હતો તેથી આરોપીને કેસમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકેલ હતો. જે ચુકાદામાં અદાલત દ્વારા મનીષ મહેતાએ દાખલ કરેલ ફરીયાદ કાયદાની પરીભાષા મુજબ ફરીયાદ જ ન હોય અને ક્ષતિયુકત ફરીયાદ હોય ત્યારે ફરીયાદી માત્ર ચેકનો ધારણકર્તા હોવાથી તેની તરફેણનું અનુમાન કરી સજા કરી શકાય નહી ખાસ કરીને જયારે ફરીયાદી પોતાની પાસે રૂપીયા 50 લાખ જેવી માતબર રકમ કયાંથી આવી તે દર્શાવી શકતા ન હોય ત્યારે આરોપી તરફે કરવામાં આવેલ ઉલટ તપાસ અને પુરાવા ગ્રાહય રાખેલ હતા.

જે ચુકાદા સામે ફરીયાદી મનીષ બાબુલાલ મહેતાએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાની પરવાનગી માંગતી અરજી તથા અપીલ રજૂ કરેલ હતી જે સુનાવણી અર્થે આવતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજકોટની અદાલતે આપેલ ચુકાદો માન્ય રાખી ફરીયાદીની અરજી તથા અપીલ ડીસમીસ કરતા આ લાંબી કાનુની પ્રક્રિયામાં પાટીદાર કારખાનેદારનો વિજય થયેલ હતો. આ કેસમાં આરોપી મહેશ ટીલારા વતી પ્રખ્યાત ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, જયેન્દ્ર ગોંડલીયા, રીપન ગોકાણી, પરેશ પટોળીયા, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદીમ ધંધુકીયા, વિશાલ કૌશીક તથા ભુમિકા નંદાણી રોકાયેલ હતા.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj