હવે લોકસભા ચૂંટણી બાદ નવા ટર્મીનલનું કામ પૂર્ણ થશે

હિરાસર એરપોર્ટના નવા ટર્મીનલમાં ફરી મુદ્ત: ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધામાં વધુ ઢીલ થશે

Local | Rajkot | 16 April, 2024 | 05:51 PM
સાંજ સમાચાર

રાજકોટ, તા.16
રાજકોટનું આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ ખુલ્લું મુકાયાને મહિનાઓ વિતી જવા છતાં હજુ સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું નથી અને એક પછી એક મુદત પડી રહી છે. ટર્મીનલનું બાંધકામ હવે લોકસભા ચૂંટણી પછી જ પૂર્ણ થઇ શકે તેમ છે.

હિરાસર એરપોર્ટ કાર્યરત કરી દેવામાં આવ્યું હોવા છતાં હાલ કામ ચલાઉ ટર્મીનલ પરથી સંચાલન થાય છે. સ્થાયી ટર્મીનલનું નિર્માણ 31 માર્ચે પૂર્ણ થવાનો ટારગેટ હતો. પરંતુ તે શક્ય બન્યું નથી. હવે ચૂંટણી પછી જ તે શક્ય બને તેમ છે અને એટલે નવી ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવામાં વિલંબ થઇ શકે છે.

હિરાસરનું 1225 હેક્ટરમાં પથરાયેલું ગ્રીનફીલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ જુલાઇ-2023માં ખુલ્લું મુકાયું હતું અને 10મી સપ્ટેમ્બરથી કામચલાઉ ટર્મીનલ મારફત ફ્લાઇટ ઓપરેશન શરુ કરી દેવાયું હતું. આ કામ ચલાઉ ટર્મીનલમાં પ્રવાસીઓથી સંચાન ક્ષમતા જુના એરપોર્ટ જેટલી જ છે. હાલ એરપોર્ટથી દૈનિક 12 ફ્લાઇટનું સંચાલન થાય છે.

આ એરપોર્ટનું ખાત મુર્હુત ઓક્ટોબર-2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે તેનો શિલાન્યાસ કરાયો હતો. ડીસેમ્બર-2022માં તે કાર્યાન્વિત થઇ જવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ડોમેસ્ટીક તથા ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધા મળવાનો દાવો કરાયો હતો.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ કહ્યું કે એરપોર્ટનું સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થવામાં ઢીલ નિરાશાજનક છે. હાલત એવી છે કે નવી સુવિધા કે નવી ફ્લાઇટ મળતી નથી. લોકસભા ચૂંટણી પૂર્વે નિર્માણ પૂર્ણ થવાની તથા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરુ થઇ જવાની ગણતરી હતી પરંતુ તે પણ વાસ્તવિક બની નથી. હાલ હિારસર એરપોર્ટથી ડોમેસ્ટીક ફ્લાઇટ ઉડાન ભરે જ છે. પરંતુ જ્યાં પહોંચવામાં સમય અને ખર્ચ સામે લોકોમાં કચવાટ છે.

શહેરથી 30 કિ.મી. દુર સ્થિત એરપોર્ટ પર પહોંચવામાં ખોટો ખર્ચ થાય છે અને ટ્રાફિક જેવા અવરોધો વખતે કલાક જેવો સમય લાગે છે. આ ઉપરાંત ફ્લાઇટના ઉડાન સમયના 75 મીનીટ અગાઉ ચેકઇન કાઉન્ટર બંધ કરી દેવામાં આવે છે. વાસ્તવમાં નિયમ 45 મીનીટનો છે છતાં સવા કલાક વ્હેલું તે બંધ કરાતું હોવાથી પ્રવાસીઓનો સમય પણ બગડે છે.

તાજેતરમાં પાંચ મીનીટ મોડો થયેલા આઠ પ્રવાસીઓને બેસવા દેવાયા નહતા. તેઓની તો મુંબઇથી લંડનની કનેકટીંગ ફ્લાઇટ પણ હતી.
એરપોર્ટના ડાયરેક્ટર દિગંતા બોહારે કહ્યું કે ચૂંટણી પછી કેન્દ્રમાં નવી સરકારના ગઠન બાદ નવા ટર્મીનલને ખુલ્લું મુકવામાં આવશે. જાણકારોના કહેવા પ્રમાણે સ્થાયી ટર્મીનલ શરૂ થતાં પછી જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શક્ય બનશે.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj