રાજકોટ, તા.26
બીસીએ પેપર લીક કાંડમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે એનએસયુઆઇ તેમજ સીવાયએસએસ વિદ્યાર્થી સંગઠન દ્વારા આજે સૌરાષ્ટ્ર યુનિ.માં હલ્લાબોલ સાથે રામધુન બોલાવી સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ આ પ્રકરણમાં કાર્યવાહી કરવા યુનિ.ના રજીસ્ટ્રારનેે બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
બીસીએ પેપર લીક કાંડમાં વિદ્યાર્થી સંગઠનના આગેવાનોએ આજે સતત દોઢ કલાક સુધી સૌરાષ્ટ્ર યુનિ.માં હલ્લાબોલ કરી આ મામલે યુનિ.ના રજીસ્ટ્રાર પરમારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આ પ્રકરણમાં બે દિવસમાં કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે.
એનએસયુઆઇ અને સીવાયએસએસના આગેવાનો સર્વશ્રી સુરજ બગડા, બ્રીજરાજસિંહ રાણા, રીયાઝ સુમરા, પ્રણવ ગઢવી સહિતના આગેવાનોએ જણાવ્યું હતું કે બીસીએ સેમ-4ની યુનિ. દ્વારા લેવાયેલ પરીક્ષાના સમય અગાઉ જ વોટસએપ મારફત જ રપ ગુણના પ્રશ્ર્નો વોટસએપ ગ્રુપમાં વાયરલ થતા આ પેપર લીક કૌભાંડ ઉજાગર થવા પામ્યું હતું. આ ઘટનાને છ દિવસ વિતવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નથી.
યુનિ.ના આ છબરડાના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. યુનિ.ની શાખને પણ નુકસાન થવા પામ્યું છે ત્યારે આ પ્રકરણમાં યુનિ. દ્વારા તત્કાલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ પ્રકરણની તપાસમાં જે કોલેજનું નામ ખુલે તે કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવે તેવી પણ તેઓએ માંગણી કરી હતી.
આ રજુઆતમાં વિદ્યાર્થી આગેવાનો દ્વારા થાળી વગાડી ઘંટારવ કરવામાં આવેલ હતો તેમજ યુનિ. રજીસ્ટ્રારની ચેમ્બર સામે રામધુન અને સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતા. આ રજુઆતમાં વિદ્યાર્થી આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy