◙ મહિલા સ્વાભિમાનને ઠેસ પહોંચાડતા પરસોતમ રૂપાલાના ‘વેણ’ને કારણે લડાઈમાં ઉતર્યો છું, પરેશ ધાનાણી ભાવુક બન્યા: મહિલાઓ દ્વારા ‘વિજય’ના આશિર્વાદ આપ્યા
રાજકોટ,તા.6
રાજકોટની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચુંટણી પ્રચારના અંતિમ તબકકામાં બહુમાળી ચોકમાં મહિલા સ્વાભિમાન જયોત પ્રગટાવીને ઐતિહાસિક કાર્યક્રમ કર્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપીને સ્વાભિમાનની જયોત પ્રગટાવી હતી. આ તકે પરેશ ધાનાણીએ કહ્યું કે, અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ સ્વાભિમાનને દાગ લગાવવાનો પ્રયત્ન થશે કે કોઈ આંચ આવશે તો તેઓના રક્ષણ માટે પોતે સૌથી આગળ ઉભા રહેશે અને આવા કૃત્યો કરનારાઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
રાજકોટની બેઠક પર આવતીકાલે મતદાન થવાનુ છે અને રવિવારે સાંજથી પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે ત્યારે પરેશ ધાનાણીએ શનિવારે રેસકોર્ષ બહુમાળી ચોકમાં સ્વાભિમાન જયોત પ્રગટાવવાનો ઐતિહાસિક કાર્યક્રમ યોજયો હતો. તમામ સમાજ, જ્ઞાતિ-જાતિ અને ધર્મના લોકોની સાથે મળી એકબીજા પ્રત્યે સમર્પણ, સદભાવનાની ભાવના અને ‘મિલે સૂર મેરા તુમ્હારા’ની થીમ પરનો આ કાર્યક્રમ ઐતિહાસિક બની રહ્યો હતો.
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે તત્ર રમન્તે દેવતા: એટલે કે જયાં જયાં નારીઓનું પૂજન થાય છે ત્યાં ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણો દેશ તો નારીના પૂજનનો છે, અર્ચનનો છે, નારીનાં સન્માનને માનનારો છે. વર્ષો પહેલાં જયારે દાનવો પોતાની મર્યાદાઓ ભૂલ્યા ત્યારે ત્યારે તેનો વધ કરવામાં એ રણચંડી બનીને તેનો સંહાર કર્યો, અને ઈતિહાસ સાક્ષી છે કે જયારે જયારે નારીની અસ્મિતા જોખમાય છે, ત્યારે ત્યારે માત્ર ને માત્ર વિનાશ સર્જાયો છે.
દ્રૌપદીના ચીર હરણ કરવામાં દુર્યોધન અને દુ:શાસનનો હાથ હતો, પરંતુ ભરી સભામાં ઉપસ્થિત બધા એ સ્ત્રીના એ અપમાનને ચૂપચાપ જોતા રહ્યા, અને પરિણામે મહાભારત થયું અને તમામ કૌરવોનો નાશ થયો.
સમયાંતરે સ્ત્રીના અપમાન થતા આવ્યા છે અને હજુ પણ સ્ત્રીની અસ્મિતા જોખમાઈ રહી છે. મહિલાઓનું સ્વાભિમાન હણાઈ રહ્યું છે. સ્વાભિમાન શેનું? મહિલાઓના રક્ષણનું, મહિલાઓના આત્મસન્માનનું, મહિલાઓની મર્યાદાનું, મહિલાઓના ગૌરવનું, મહિલાઓના બલિદાનનું અને મહિલાઓના સમર્પણનું.
શાસ્ત્રોમાં લખ્યુ છે, નારી એટલે, માં નવદુર્ગા, માં ખોડલ, માં ઉમા, માં શક્તિ સ્વરૂપ આશાપુરા, માં બહુચર, માં મોમાઈ, માં જગદંબા, માં ચામુંડા, માં ચરસ્વતી નારીને છેડવાની અને ઓછું આંકવાની ભુલ કરનારને નારીના અનેક સ્વરૂપોનો સામનો કરવો પડે છે. નારી જરૂર પડે ત્યાં શક્તિનું તો કયાંક ચામુંડાનું સ્વરૂપ ધારણ કરવા સમર્થ છે.
પરસોતમ રૂપાલાએ કરેલા વેણ મહિલા સન્માન, બલિદાન, મર્યાદા અને ગૌરવને ઠેસ પહોંચાડે તેવા ઉચ્ચારણોને લીધે, પરેશભાઈ ધાનાણી, મહિલારઓના સ્વાભિમાનની રક્ષા કાજે લડી રહ્યા છે, ત્યારે શનિવારે સાંજે સરદાર સ્મારક બહુમાળી ભવન પાસે મોટી સંખ્યામાં મહિલાઓની હાજરીમાં મહિલાઓએ પરેશભાઈને મશાલ અર્પણ કરી મહિલાઓના સ્વાભિમાન કાજે રણ મેદાનમાં ઉતરેલ શ્રી પરેશભાઈ ધાનાણીને ખૂબ શુભેચ્છા અને આશીર્વાદ આપ્યા. મશાલમાંથી પ્રગટેલી જયોત માત્ર એક દિવસ નહીં પણ આવનાર લાંબા સમય સુધી મહિલાઓના રક્ષણ અને સ્વાભિમાન માટે પરેશ ધાનાણીને બળ પુરું પાડશે તેવું પરેશભાઈએ જણાવ્યું હતું.
પરેશભાઈ ધાનાણીએ ઉપસ્થિત બહેનોને વચન આપ્યું હતુ કે ભવિષ્યમાં તેમના સ્વાભિમાનને દાગ લગાવવાનો કોઈ પ્રયત્ન થશે તો પોતે હંમેશા મહિલા સ્વાભિમાનની રક્ષા કાજે બધાથી આગળ રહી જેવી રીતે જવાબ આપવાનો હશે તેવી રીત જવાબ આપશે. ઉપસ્થિત સૌ મહિલાઓને વંદન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો મહિલાઓ અબાલ વૃદ્ધ અને શહેરના શ્રેષ્ઠીઓ સાથે આજે લોકસભા સીટના ઉમેદવારે પહેલી જ વખત કોઈ ઉમેદવારે સદભાવનાની અને સર્વે સાથે મળીને એકબીજા માટે સમર્પણની ભાવના સાથે નારી શક્તિની અસ્મિતા માટે હજારો દીવડા પ્રગટાવ્યા હતા.
પરેશભાઈ ધાનાણીએ સ્વાભિમાન જયોત જલાવી હતી અને તેમાં ઉપસ્થિત સૌએ પોતાના દીપ પ્રગટાવ્યા હતા. પોતાના વકતવ્યમાં પરેશભાઈ ધાનાણીએ ખૂબ જ ભાવુક થયા હતા અને ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું હતું કે, આ દેશમાં નારી શક્તિએ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સીતા અને દ્રૌપદી એ પણ સામનો કરવો પડયો હતો ત્યારે મારે ઘરમાં બે બે દીકરી છે. હું દીકરી માતાઓ શક્તિ માનું છું, અને એ બધી શક્તિઓના ચરણોમાં આજે વંદન કરું છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy