◙ આજે અમરેલીમાં ભાજપના ઉમેદવારના નોમીનેશનમાં હાજરી આપ્યા બાદ સાંજથી ફરી રાજકોટ મતક્ષેત્રમાં પ્રચાર કાર્ય શરૂ કરી દેશે: વિજયનો વિશ્વાસ
રાજકોટ,તા.18
ગુજરાતમાં હોટટોપીક બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધના પગલે સર્જાયેલા રાજકીય તોફાનમાં હવે શ્રી રૂપાલાએ તેમની ઉમેદવારી પાછી ખેંચવા મોવડીમંડળ પાસે મંજુરી માંગી છે તેવા ગઈકાલ સાંજથી પ્રસરી રહેલા અહેવાલ બાદ આજે શ્રી પરસોતમ રૂપાલાએ આ પ્રકારના અહેવાલ અફવા હોવાનું સ્પષ્ટપણે જણાવ્યું હતું.
તેઓ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી જ રહ્યા છે તેવું જણાવ્યું હતું. શ્રી રૂપાલાની ટિકીટ રદ કરવાની અથવા તો તેઓ ખુદ ઉમેદવારી પાછી ખેંચે તેવી ક્ષત્રિય સમાજની માંગણી અને છેલ્લા કેટલાક દિવસથી આ અંગે ચાલી રહેલા આંદોલન બાદ એક અંગ્રેજી અહેવાલ સહિત સોશ્યલ મીડીયામાં એવા અહેવાલ ગઈકાલથી શરૂ થયા હતા કે રૂપાલાએ ખુદે ફોર્મ પાછુ ખેંચવા મોવડીમંડળ પાસે મંજુરી માંગી છે.
હવે ભાજપ પાર્લીયામેન્ટ્રી બોર્ડ તેના પર નિર્ણય કરશે. આ અંગે ‘સાંજ સમાચાર’ સાથેની એક ખાસ વાતચીતમાં શ્રી પરસોતમભાઈ રૂપાલાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ પ્રકારની અફવા ગઈકાલ સાંજથી ફેલાવવામાં આવી રહી છે પરંતુ મે ફોર્મ પાછુ ખેંચવા કોઈ મંજુરી મોવડીમંડળ પાસે માંગી નથી અને હું રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યો છું તે નિશ્ચિત છે.
શ્રી રૂપાલાની આ સ્પષ્ટતાથી તમામ અટકળો અને અફવાઓનો અંત આવે છે. આજે શ્રી રૂપાલા અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરતભાઈ સુતરીયાના નોમીનેશન પુર્વેના રોડ-શોમાં હાજરી આપવા પહોંચ્યા છે અને સાંજે જ તેઓ રાજકોટ પરત આવીને ફરી એક વખત તેમનો પ્રચારકાર્ય રાજકોટ સંસદીય મતક્ષેત્રમાં શરૂ કરી દેશે. શ્રી રૂપાલાએ અગાઉ જ તેમના આ વિધાનો અંગે બે વખત માફી માંગી છે.
હાલમાં જ ઉમેદવારી પુર્વેની સભામાં તેઓએ ફરી એક વખત ક્ષત્રિય સમાજને રાષ્ટ્રનિર્માણ માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યમાં જોડાઈ જવા અપીલ કરી હતી અને હવે આજે જ તેઓએ ફરી એક વખત રાજકોટ લોકસભા બેઠક પર ચુંટણી લડવા મકકમ હોવાનું સ્પષ્ટ કરી દીધુ છે.
રૂપાલા વિવાદ: ક્ષત્રિય સમાજની કાલે બેઠક
કાલે બપોરે ચિત્ર સ્પષ્ટ થઈ ગયા બાદ સંકલન સમિતિ અમદાવાદમાં મીટીંગ કરશે: આંદોલનની ભાવિ રણનીતિ ઘડશે
રાજકોટ તા.18
રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ સાથે અડગ રહેલા ક્ષત્રિય સમાજે આંદોલનના નવા તબકકાની રણનીતિ તૈયાર કરવા આવતીકાલે અમદાવાદમાં બેઠક બોલાવી છે. રૂપાલા વિવાદમાં હવે 24 કલાક નિર્ણાયક સાબીત થવાનું માનવામાં આવી રહ્યું છે.
ક્ષત્રિય સમાજની સંકલન સમીતીના ક્ધવીનર રમજુભા જાડેજાએ આજે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આવતીકાલે બપોર બાદ સમાજની સંકલન સમીતીની બેઠક યોજાશે અને તેમાં આંદોલનની ભાવિ રણનીતિ ઘડાશે.
ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ વિધાનો સામે રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગ કરવામાં આવી રહી છે અને તેમાં પીછેહઠનો કોઈ સવાલ નથી. એમ માનવામાં આવી રહ્યું છે કે કાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં રૂપાલા વિશેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને તેના આધારે ક્ષત્રિય સમાજ નવી રણનીતિ નકકી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે અને 3 વાગ્યે સમય પૂર્ણ થતા સુધીમાં પાર્ટીનો મેન્ડેટ પહોંચાડવાનો હોય છે. ભાજપ દ્વારા રૂપાલાના નામનો મેન્ડેટ આપી દેવામાં આવશે એટલે તેમની ઉમેદવારી સ્પષ્ટ થઈ જશે અને અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ જશે. આ સંજોગોમાં ચિત્ર સ્પષ્ટ થવા સાથે ક્ષત્રિય સમાજ રણનીતિ ઘડશે.
રૂપાલાની ટિકીટ રદ ન થાય તો ભાજપનો બહિષ્કાર કરવા, ચુંટણીમાં ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરવા, માત્ર ગુજરાત જ નહીં, ક્ષત્રિયોની વસતી ધરાવતા મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉતરપ્રદેશ સહિત 22 રાજયોમાં આંદોલન વિસ્તારવા સહિતની ચેતવણી આપવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy