(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.23
વન વિભાગમાં કાયદાના ત્રાજવા સામાન્ય લોકો માટે અને તેના કર્મચારીઓ માટે જુદા જુદા છે. ધારી ડિવિઝનના ખાંભા રેન્જમાં ખુદ વન કર્મચારી જ રક્ષક મટી ભક્ષક બન્યો છે. અને જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી પાણીના પોઇન્ટ પર પાણી પી રહેલ સિંહની પજવણી કરી હતી. તેનો વિડીયો વાયરલ થયા બાદ તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. પરંતુ વન વિભાગના કર્મચારી સામે માત્ર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું નાટક કરવામાં આવી રહ્યું છે. જયારે તેની સાથે ગેરકાયદેસર જંગલમાં ઘૂસી સિંહની પજવણી કરતા શખ્સોને માત્ર સામાન્ય દંડ કરી જવા દેવામાં આવતા વન વિભાગની કામગીરી સામે વધુ એક વખત સવાલો ઊભા થયા છે.
ખાંભા રેન્જના પીપળવા વીડીમાં વાંદરીગાળા વિસ્તાર તરીકે ઓળખાતા જંગલના પાણીના પોઇન્ટ પર સિંહ પાણી પીતા હોય અને તેનો વિડીયો ઉતારી બચકારા કરતા હોય તેવી રીતે પજવણી કરવામાં આવી હતી. આ અંગેનો વિડીયો વાયરલ થયો હતો. બાદમાં વનવિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં આરોપી તરીકે ખુદ વન વિભાગનો કર્મચારી જ નીકળ્યો હતો.ખાંભા રેન્જના પીપળવા રાઉન્ડમાં અગાઉ ગાર્ડ તરીકે ફરજ બજાવી ચુકેલો અને હાલ અમદાવાદમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતો શૈલેષ ડોડીયા અને તેમના મિત્રો આ સિંહ દર્શનની ગેરકાયદેસર ઘટનામાં સંડોવાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તપાસ કરવામાં આવી તેમાં સામે આવ્યું કે અમદાવાદમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતો વનકર્મી અગાઉ ખાંભા પીપળવા રાઉન્ડમાં ગાર્ડ તરીકે ફરજ બજાવી હોવાથી ચૂકેલ છે. તેમજ આ વન કર્મી આ જ વિસ્તારમાં લાઇન શો, પાર્ટીઓ સહિત ગેર પ્રવુતિઓ અભ્યારણ વિસ્તારમાં કરેલ હોવાનુ સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું ત્યારે આ વિસ્તારથી સંપૂર્ણ માહિતગાર હતો.
વનકર્મી શૈલેષ ડોડીયા તેના મિત્ર સાથે થોડા સમય પહેલા કોર્ટની તારીખે ખાંભા આવ્યો હતો ત્યારે આ ગેરકાયદેસર કૃત્ય કર્યું હતું. આ ઉપરાંત જે વિસ્તારમાં ગયા ત્યાં વન વિભાગની ચેકપોસ્ટ આવે છે અને ત્યાં તાળું મારેલું હોય છે. પરંતુ આ તાળું ત્યાંના હંગામી કર્મચારી કૌશિક ઝાલાએ ખોલી અને તેને અંદર પ્રવેશ કરાવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાસમજી વનવિભાગે હંગામી કર્મચારી કેશિક ઝાલાને તાબડતોબ ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.
સિંહની પજવણી કરનાર ખુદ વન કર્મચારી જ શૈલેષ ડોડીયાની સામે વન વિભાગે કોઈકાર્યવાહી કરી નહીં. જયારે તેની સાથે રહેલા ચાર શખ્સોને ર1 હજાર રૂપિયાનો જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો દંડ ફટકારી સંતોષ માની લીધો છે. હકીકતે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ સિંહની વાત આવે તેવા કિસ્સામાં માંડવાણ કરવાની જોગવાઈ ન હોવા છતાં વન વિભાગ દ્વારા જંગલમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સિંહની પજવણી સહિતના મામલામાં માત્ર દંડ લઇ ભીનું સંકેલી લેવામાં આવ્યું છે.આ ઉપરાંત જંગલ અભ્યારણમાં ગેરકાયદેસર ઘુસી સિંહની પજવણી કરનાર વન કર્મચારી ડોડીયાર સામે માત્ર ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હોવાનું રટણ કરી તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવતા અનેક સવાલો ઊભા થયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy