જામનગર તા.8
ગઈકાલે જામનગર સહિત ગુજરાતભરમાં લોકસભા ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. જો કે જામનગરમાં મતદાન પૂર્ણ થયાની ગણતરીની કલાકોમાં જ માથાકૂટનો મામલો સામે આવ્યો હતો. જેમાં કોંગી કાર્યકર પર હુમલો કરાયો હતો. આ બનાવને લઈને શહેરભરમાં ખળભળાટ મચી ગયો હતો. જેને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં જામ થતા જ કોંગી ઉમેદવાર સહિતના અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા. જોકે આ પ્રકરણમાં તેજ વોર્ડમાં રહેતા ભાજપના એક પૂર્વ કોર્પોરેટરની સંડોવણી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જેને લઈને જ પોલીસ પણ ભાજપના દબાણથી ફરિયાદ નોંધવામાં ઢીલાઢોળ કરતી હોવાના ચોંકાવનારા આરોપ લાગી રહ્યા છે.
ગઈકાલે સાંજના સમયગાળા દરમિયાન જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં માથાકૂટની ઘટના સામે આવી હતી. જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મહાલક્ષ્મીના ચોક વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 9 ના કોંગ્રેસના વોર્ડ પ્રમુખ પિયુષ પરમાર પર હુમલો કરાયો હતો, કોઈ કારણસર મામલો બીચકયા બાદ યુવાન પર હુમલો કરાતા તેને ઇજા થઈ હતી. જેને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મતદાનની પ્રક્રિયા દરમિયાન રકઝક થયા બાદ મોડી સાંજે હુમલાનો બનાવ બન્યો હતો. આ બનાવને લઈને પોલીસ તંત્ર દોડતું થયું હતું.
આ બનાવની જાણ થતાં જામનગર લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જે.પી. મારવીયા ઉપરાંત જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલભાઇ નંદા સહિતના અન્ય કોંગી અગ્રણીઓ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયા હતા, તેમજ હુમલાના બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા કાર્યવાહી ચાલી રહી છે. જોકે હજુ સુધી પોલીસ દ્વારા કોઈ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી નથી. લોકોમાં એવું ચર્ચા રહ્યું છે કે આજ વોર્ડમાં રહેતા ભાજપના એક પૂર્વ કોર્પોરેટરની આ હુમલા મામલે સંડોવણી હોય અને આ સંડોવણીના આધારે જ પોલીસ દ્વારા ફરિયાદમાં પાછીપાની કરાઈ રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy