માધવપુર (ઘેડ)માં શ્રી કૃષ્ણ પ્રભુના ત્રણેય ફૂલેકા રંગેચંગે સંપન્ન: મધુવનમાં ઉજવાશે વિવાહ ઉત્સવ

Local | Porbandar | 20 April, 2024 | 10:40 AM
આજે કડછ ગામથી મહેર સમાજના ભાઈઓ રૂક્ષ્મણીજીના મામેરીયા બની મોંઘેરા મામેરા પુરશે: જાન મધુવનમાં પહોંચશે ત્યારે રૂક્ષ્મણી માતાના પિયર પક્ષના નાના-મોટા ભાઈ-બહેનો શ્રીકૃષ્ણ પ્રભુને જાનની સામૈયા વિધિ કરશે: આજે રાત્રે માયાભાઈ આહિરનો કાર્યક્રમ
સાંજ સમાચાર

(તસ્વીર/અહેવાલ: આશીષ પોપટ-માધવપુર/ઘેડ) માધવપુર (ઘેડ) તા.20 માધવપુર ઘેડમાં આજે બારસના દિવસે કડછ ગામેથી મહેર સમાજના ભાઈઓ રૂક્ષ્મણીજીના મામેરીયાત બની મોંઘેરા મામેરા પુરવા આવશે. શ્રીકૃષ્ણના ત્રણેય ફુલેકા સંપન્ન થયા. મામેરા પુરવા કડછથી વાજતે ગાજતે શણગારેલા બળદ ગાડા, ઘોડા, ઉંટ સાથે અબીલ ગુલાલની છોળો ઉડાવતા માધવપુર માધવરાય મંદિરે પહોંચશે સાથે ડીજે લઈ નાચતા કુદતા હર્ષઘેલા બનેલા મામેરીયાતો આવી શ્રી રૂક્ષ્મણીનું મામેરૂ પુરશે અને માધવરાયજીની ધજા રાજભોગમાં ધરાવશે. ત્યારબાદ પોતાની આગવી શૈલીના પ્રદર્શન જેવા કે તલવારબાજી, ઘોડાબાજી, ઉંટબાજી, તથા દુહા વગેરે કરામતનું પ્રદર્શન કરી માનવ મહેરામણને મંત્રમુગ્ધ કરશે પછી કડછા ભાઈઓ માધવપુરમાં આવેલ મહેર સમાજના વંડીમાં ભોજન, ભજન અને વિશ્રામ કરશે. ત્યારબાદ આજે બપોરના 4 વાગ્યે માધવરાયના મંદિરેથી શ્રીકૃષ્ણ પ્રભુની જાન નિકળશે. મધુવનમાં રૂક્ષ્મણીજી સાથે પરણવા જાન જશે. ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુને વિધિવત તિલક, હારતોરા, શ્રીફળ આપી પસ ભરાવી ગજરો હાથમાં આપી એન્ટીક રથમાં બિરાજમાન કરવામાં આવશે ત્યારે પોલીસ જવાનો ‘ગાર્ડ ઓફ ઓનર’ આપશે. કિર્તનકારો કિર્તનો કરશે. બહેનો લગ્ન ગીતો ગાશે. દાંડીયા રાસની રમઝટ સાથે લગ્નનો રથ તથા જાનૈયાઓ મેળા ગ્રાઉન્ડમાં પહોંચશે ત્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરજોશમાં પવનવેગે રથ દોડાવવામાં આવશે. પાછળ જાનૈયાઓ પણ દોડશે. આ દ્દશ્ય જોવું એ પણ જીવનનો એક લ્હાવો છે. શ્રીકૃષ્ણ પ્રભુ પોતાના વિવાહ સમયે ચોઘડીયા ચાલ્યા ન જાય તે માટે શિશુપાલ અને રૂકમૈયા સાથે યુધ્ધ ન કરવા માટે રથ દોડાવી લગ્ન મંડપમાં જાનૈયા સાથે સમયસર પહોંચી જશે. જાન મધુવનમાં પહોંચશે ત્યારે રૂક્ષ્મણી માતાના પિયર પક્ષના નાના-મોટા ભાઈ બહેનો શ્રીકૃષ્ણ પ્રભુને જાનના સામૈયા વિધિવત કરશે. ત્યારબાદ પ્રભુના પોખણા થશે પછી જાન લગ્ન માટે મધુવનમાં આવેલ ચોરી માયરામાં આવશે પછી ગાંધર્વ વિધીથી વિધિવત શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન થશે. લગ્ન થઈ ગયા બાદ શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીને મંડપ મધ્યે કંસાર જમાડવામાં આવશે. કહેવાય છે કે કંસાર કોઈ વખત ઘટતો જ નથી ગમે તેટલી માનવ મેદનીમાં વાપરવામાં આવે છતાં પણ ઘટતો નથી. આમ વિધિવત લગ્ન થયા બાદ કૃષ્ણ-રૂક્ષ્મણી મધુવનમાં જ રાતવાસો કરશે અને સવારના 8 વાગ્યાથી 11 વાગ્યા સુધી યુગલ સ્વરૂપને તિલક તથા (હાથઘરેણુ) એટલે કે હથોહથ વધાવો કરવાનો લાભ તે દિવસે સવારે મળશે. મેળા દરમ્યાન કિંજલ દવે સ્ટેજ કાર્યક્રમ કરવા આવેલ. લોકોએ કિંજલ દવેનો પ્રોગ્રામ માણ્યો હતો. માનવ મેદની ઉભરાણી હતી, આજે રાત્રીના માયાભાઈ આહિરનો કાર્યક્રમ લોકોને માણવા મળશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj