ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં રાજકીય પક્ષોએ ઠેક ઠેકાણે મતદારોના ‘પેટ ઠાર્યા’

વિક એન્ડમાં શેરી-લતે ‘જમણવાર’ની ભરમાર: કાલે સવારે પણ સોસાયટીઓમાં ‘ગાંઠીયા પાર્ટી’

Saurashtra, Lok Sabha Election 2024 | Rajkot | 06 May, 2024 | 05:15 PM
► મતદારોની સંખ્યાના આધારે ‘મેનૂ’: નાની શેરીઓમાં આઇસ્ક્રીમ પાર્ટી, ક્યાંક ‘તાવા’તો ક્યાંક ચા-ગાંઠીયા; મોટી સોસાયટીઓમાં ‘ફૂલ ડીશ ભોજન’
સાંજ સમાચાર

► કાલે મતદાનના દિવસે મતદારોને વ્હેલા બહાર કાઢવા અનેક સોસાયટી-વિસ્તારોમાં જલેબી-ગાંઠીયાના આયોજનો: છેલ્લી ઘડી સુધી મતદારો ‘સર્વોપરી’

 

રાજકોટ, તા.6
ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાવાનું છે. રાજકોટમાં પણ ભાજપના પરસોતમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણીનો મુખ્યત્વે સીધો જંગ છે. અન્ય સાત ઉમેદવારો પણ મેદાનમાં છે. કાલના મતદાન પૂર્વેના છેલ્લા દિવસોમાં રાજકીય પક્ષો તથા નેતાઓએ લગભગ આખા શહેરમાં ઠેક ઠેકાણે જમણવારની ભરમાર સર્જી દીધી હતી. આઇસ્ક્રીમ, ગાંઠીયા, તાવાથી માંડીને ફુલ ડીશ ભોજન સુધીની પાર્ટીઓ રાખવામાં આવી હતી. અંદાજીત 400 જેટલી આવી પ્રચાર પાર્ટી થયાના સંકેત છે.

ભાજપનો ગઢ ગણાતી રાજકોટની બેઠક અગાઉ ‘વન-વે’ ગણાતી હતી પરંતુ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ વિધાનો કરતા અને ક્ષત્રિય સમાજે રાજ્ય વ્યાપી આંદોલન કરીને ભાજપ સામે મોરચો ખોલતા રાજકીય ચૂંટણી ગરમી આવી ગઇ હતી. માત્ર ગુજરાત જ નહીં, દેશભરની ‘હોટ સીટો’ પૈકીની એક બની ગઇ હતી.

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે કોંગ્રેસે પરેશ ધાનાણીને મેદાને ઉતારતા ચૂંટણી જંગ વધુ દિલધડક અને ઉત્તેજનાભર્યો બની ગયો હતો. બન્ને પક્ષો-ઉમેદવારોએ તમામ તાકાત લગાડી દીધી હોય તેમ જબરદસ્ત પ3ચાર કર્યો હતો અને તેના ભાગરૂપે છેલ્લા વિક એન્ડ અને અંતિમ સપ્તાહમાં સેંકડો જમણવાર-પ્રચાર પાર્ટી યોજવામાં આવી હતી.
નાણાં અને નેટવર્કની દ્રષ્ટિએ કોંગ્રેસ કરતાં ભાજપ ઘણું આગળ હોવાની વાત અછાજતી નથી છતાં કોંગ્રેસ દ્વારા પણ શક્ય એટલા સ્થળોએ ભોજન સાથેની પ્રચાર પાર્ટી કરવામાં આવી હતી.

રાજકીય સૂત્રોના કહેવા પ્રમાણે મતદારોની સંખ્યાના આધારે પાર્ટી-નેતાઓ દ્વારા મેનૂ સેટ કરવામાં આવતું રહ્યું હતું. એકાદ-બે શેરીના મતદારોને જ કવર કરવાના હોય તો આઇસ્ક્રીમ પાર્ટી રાખવામાં આવતી હતી. જ્યારે વર્ષોથી પડખે રહેનારા ચૂસ્ત સમર્થનના વિસ્તારો કે મધ્યમ સોસાયટીઓમાં ગાંઠીયા-જલેબી કે તાવા પાર્ટી રાખવામાં આવી હતી. સેંકડોની સંખ્યામાં મતદારો ધરાવતી મોટી સોસાયટી અથવા પાર્ટીના સમર્થનમાં જ્ઞાતિ સમાજ કે એસોસીએશનના સંમેલન કે સ્નેહમિલન રાખવામાં આવ્યો હોય તેવા કાર્યક્રમોમાં ફૂલ ડીશ ભોજન રાખવામાં આવ્યા હતા. સૂત્રોએ કહ્યું કે તમામ સ્થળોએ મતદારોની સંખ્યાના આધારે મેનૂ સેટ થયા હતાં.

આવતીકાલના મતદાન પૂર્વે ગુજરાતભરમાં જાહેર પ્રચાર પર પડદો પડી ગયો છે. કાલે મતદાન છે. આકરી ગરમી પડકાર બનવાની આશંકા છે. જ્યારે મતદારોને વ્હેલા બહાર કાઢવા મોટી સોસાયટી-વિસ્તારોમાં કાલે સવારે પણ ગાંઠીયા-જલેબીના આયોજનો ગોઠવાયાના સંકેત છે. ‘નાસ્તો કરીને આવીએ’ તેવા બહાના મતદારો બતાવી ન શકે અને તૈયાર થઇને સીધા જ મતદાન મથકે જાય તે માટે નાસ્તાની આવી ગોઠવણો કરવામાં આવી રહી છે.

જો કે, તે પણ મોટી સંખ્યામાં મતદારો ધરાવતી મોટી સોસાયટી-વિસ્તારોમાં જ છે અને તેમાં ‘સ્પોન્સર’ રાજકીય પક્ષો કે નેતાઓ જ હોવાનું માનવામાં આવે છે. ભૂતકાળની ચૂંટણીઓમાં પણ આવી ગોઠવણો થતી જ હતી.

 

ખોડલધામના કાર્યકરો તથા ક્ષત્રિયો પણ એક્ટીવ
► પત્રિકા કાંડમાં ખોડલધામ સાથે સંકળાયેલા યુવાનોની ધરપકડથી ખોડલધામનું નેટવર્ક મેદાને પડ્યાની ચર્ચા
► રૂપાલાના વિધાનોથી નારાજ ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂધ્ધ મતદાન કરાવવા ઉપરાંત સંભવિત બોગસ મતદાનનો ખેલ ઉંધો કરવા પ્લાનીંગ ગોઠવ્યું
રાજકોટ, તા.6

લોકસભાની ચૂંટણી માટે આવતીકાલે યોજાનારા મતદાન પૂર્વે છેલ્લી ઘડીના રાજકીય ખેલ ઉપરાંત કાવાદાવાનો દૌર ચાલી રહ્યો છે. મતદાન પૂર્વે જ સામાન્ય રીતે જાહેર રાજકારણથી દુર રહેતું લેઉવા પટેલ સમાજનું સંગઠન ખોડલધામના કાર્યકરો મેદાને આવ્યા છે.

એવી ચર્ચા છે કે ગત સપ્તાહમાં ફરતી થયેલી વિવાદિત પત્રિકાના મામલે પોલીસ ખોડલધામ સાથે સંકળાયેલા ચાર પાટીદાર યુવકોની ધરપકડ કરી હતી. વિવાદાસ્પદ પત્રિકામાં રૂપાલા તથા ભાજપ વિરોધી 10 મુદા-વાક્યો લખવામાં આવ્યા છે. બે સમાજ-જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય સર્જવાના ષડયંત્રના આરોપસર ધરપકડ થઇ હતી.

ભાજપ-કોંગ્રેસે એક બીજા પર આરોપ લગાવ્યા હતા. પાટીદાર યુવકોની ધરપકડથી ખાસ કરીને ખોડલધામના આગેવાનો-કાર્યકરો પણ નારાજ થયા હતા અને આ કારણે કાર્યકરો લેઉવા પટેલ સમાજના મતદારોની મોટી વસતી ધરાવતા રાજકોટ 68, રાજકોટ-70 તથા રાજકોટ-71 વિધાનસભા મત વિસ્તારોમાં એક્ટીવ થયાની ચર્ચા છે.

બીજી તરફ રૂપાલાના વિવાદિત વિધાનો સામે ક્ષત્રિય સમાજ ખુલ્લેઆમ મેદાને પડ્યો જ છે. ભાજપની વિરુધ્ધમાં મતદાન કરવાનું એલાન કર્યું છે. નેટવર્કમાં નબળી કોંગ્રેસના મતદાન મથકોના ટેબલોની જવાબદારી સંભાળવાની પણ તૈયારી બતાવી હતી. આ ઉપરાંત કોઇપણ સ્થળોએ સંભવિત બોગસ મતદાન અટકાવવાનું પણ માઇક્રોપ્લાનીંગ કર્યું હોવાની ચર્ચા છે.

સોશ્યલ મીડીયામાં કટાક્ષ કરતી પોસ્ટ: પક્ષ-નેતાઓ એક દિ’ જમાડશે અને પાંચ વર્ષ આપણા પૈસે ‘જલ્સા’ કરશે!
લોકસભાની ચૂંટણીમાં જાહેર પ્રચાર કરતાં પણ વધુ પ્રચાર સોશ્યલ મીડિયામાં થયો છે. રાજકીય પક્ષો-નેતાઓનો પોત પોતાના પક્ષ-ઉમેદવારોના પ્રચાર કરતો હોય છે પરંતુ સામાન્ય લોકો પણ ધારદાર કટાક્ષ કરતી પોસ્ટ મુકી દેતા હોય છે. આવી જ એક કટાક્ષ કરતી પોસ્ટ જોવા મળી હતી.

રાજકોટ સહિત સર્વત્ર રાજકીય પક્ષોએ જમણવાર યોજ્યાના કિસ્સાઓના અનુસંધાને પોસ્ટમાં એમ લખાયું હતું કે ‘ચેતજો, પક્ષ-નેતાઓ ચૂંટણી ટાણે એક દિવસ જમાડશે, પછી પાંચ વર્ષ આપણા (પ્રજાના) પૈસે જ જલ્સા કરશે’ લોકસભાના સભ્યોને મફત મુસાફરીથી માંડીને મળતી અનેકવિધ સુવિધાઓ વગેરેનો તેમાં ઉલ્લેખ હતો.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj