વલસાડના ધરમપુરમાં જનસભામાં કોંગ્રેસ મહા સચિવના તાતાતીર

મોદી ચપટીમાં ધારે તે કરી શકે તો મોંઘવારી કેમ દૂર કરી શકતા નથી: પ્રિયંકા ગાંધી

Gujarat, Politics, Lok Sabha Election 2024 | 27 April, 2024 | 05:50 PM
જ્યારે અમારી સરકાર હતી ત્યારે મીડિયા દરરોજ સવાલ ઉઠાવતું, આજે મીડિયા વેચાઇ ગયું છે: જો મોદી ફરી આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો: પ્રિયંકા ગાંધી
સાંજ સમાચાર

વલસાડ, તા.27
લોકસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વડેરા આજે વલસાના ઉમેદવાર અનંત પટેલના પ્રચારમાં આવ્યા હતા. ધરમપુરના દરબાર ગઢ ગ્રાઉન્ડમાં પ્રિયંકાએ ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ  એમ કહે છે કે મોદીજીમાં એટલી તાકાત છે કે આખું વિશ્ર્વ એમને બોલાવે છે એ જે ધારે એ ચપટીમાં કરે છે.

તો ચપટીમાં મોંઘવારી કેમ ઓછી નથી કરતા? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યું. મોંઘવારી એટલી વધી ગઇ છે કે 10 હજાર માટે ખેડૂતને આત્મહત્યા કરવી પડે છે અને મોદીજીએ એમના ઉદ્યોગપતિ મિત્રનું 16 લાખ કરોડ રુપિયાનું દેવું માફ કરી દીધું. દેશની સંપત્તિ શું ઉદ્યોગપતિઓને જ આપી દેવાની છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસીઓને કમજોર કરવાનું કામ કર્યું છે. આ તકે પ્રિયંકાએ મોદીનો પ્રચાર કરતા મીડિયાને આડેહાથ લેતા કહ્યું હતું કે જ્યારે અમારી સરકાર હતી ત્યારે મીડિયા દરરોજ સવાલો ઉઠાવતી હતી. જે લોકતંત્ર માટે સારી વાત હતી આજે પરિસ્થિતિ એ છે કે સમગ્ર મીડિયા વેચાઇ ગયું છે.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન જ્યારે જ્યારે મંચ પર આવે ત્યારે સાચુ બોલે. આ જ જવાબદારી વડાપ્રધાનની હોય છે. પ્રિયંકાએ કહ્યું હતું કે ઇન્દિરાજી દેશ માટે શહીદ થયા હતા. રાજીવજી શહીદ થયા હતા. મનમોહનની ક્રાંતિ લાવ્યા હતા, અરે કોંગ્રેસ છોડો, વાજપેયજી પણ વડાપ્રધાન હતા, જેઓ સભ્ય વ્યકિત હતા, આ પીએમ (મોદી)ના દિલમાં કોઇ ભાવના જ નથી.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે પીએમ બંધારણ બદલવાની વાત કરી રહ્યા છે, પણ કામની એકપણ વાત નથી કરતા. પ્રિયંકાએ ભાજપ પર સનસનીખેજ આક્ષેપ લગાવ્યો હતો કે સરકાર વિપક્ષને તોડવા ધનનો ઉપયોગ કરે છે. ભાજપની સરકારમાં છેલ્લા 10 વર્ષથી લોકોની સ્થિતિ સુધરવાને બદલે બગડી છે. જો ફરી આ સરકાર આવશે તો તમે જ્યાં છો ત્યાં જ રહેશો, પણ અમારી સરકાર આવશે તો તમે થોડા સમયમાં જ તમારા પગ પર ઉભા રહી શકશો. ધરમપુરમાં પ્રિયંકાની જન સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં.

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj