રાજકોટ, તા.8
રાજકોટની ભાગોળે પારડી ગામ વાડી વિસ્તારમાં વૃક્ષમાંથી લીંબુ તોડતી વખતે કુવામાં પડી જતા પારડીના જયાબેન શંભુભાઈ ઘરડુંસીયા(ઉ.વ.68)નું મોત થયું હતું. 68 વર્ષીય વૃદ્ધા પોતાની વાડીએ હતા ત્યારે બનાવ બન્યો હતો. રાજકોટથી દોડી ગયેલી ફાયર બ્રિગેડની ટીમે મૃતદેહ કુવામાંથી બહાર કાઢ્યો હતો.
બનાવની વિગત મુજબ, પારડી ગામ વાડી વિસ્તારના એક કૂવામાં એક વૃદ્ધા પડી ગયા હોવાની જાણ થતાં રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત મવડી ફાયર સ્ટેશનેથી સ્ટેશન ઓફિસર યોગેશ જાની તેમજ જયેશભાઈ ડાભી, કિશોરભાઈ વડેખણીયા, અજયભાઈ મકવાણા, કીશોરસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. કુંવામાંથી વૃદ્ધાને બેભાન હાલતમાં બહાર કાઢતા હાજર 108 એમ્બ્યુલન્સના ઇએમટીએ જયાબેન ઘરડુંસિયાને મૃત જાહેર કર્યા હતા. શાપર પોલીસને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ડાભી સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. પૂછપરછમાં જાણવા મળેલ કે, મૃતક અને તેનો પુત્ર બંને આજે સવારે પોતાની વાડીએ ગયા હતા. પુત્ર અત્રે વાડીના કામમાં લાગી ગયો હતો. જ્યારે માતા જયાબેન કૂંવા પાસે આવેલી લીંબુડીમાંથી લીંબુ તોડતા હતા. લીંબુ તોડતી વખતે અચાનક પગ લપસતા કે અન્ય કોઈ આકસ્મિક રીતે જયાબેન કૂંવામાં પડી ગયા હતા. પુત્રને જાણ થતાં તુરંત આસપાસના લોકો અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે, કૂંવામાંથી વૃદ્ધાનો મૃતદેહ જ નીકળ્યો હતો. શાપર પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy