રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ: CM સાથેની બેઠક નિષ્ફળ

Gujarat, Saurashtra | Rajkot | 16 April, 2024 | 11:38 AM
રૂપાલા સામેના આંદોલનમાં ફેર વિચારણા કરી વચલો રસ્તો કાઢવા સરકારના પ્રસ્તાવને કોર કમીટીએ ફગાવ્યો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર. પાટીલ તથા હર્ષ સંઘવી સાથેની બેઠકમાં કોઈ પરિણામ ન આવ્યું: 19 સુધી જુદા જુદા શહેરોમાં રેલી, સંમેલન યોજાશે ત્યાર બાદ કોર કમીટી નવા કાર્યક્રમ જાહેર કરશે: રમજુભા જાડેજાની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત
સાંજ સમાચાર

રાજકોટ,તા.16
રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાના વિવાદાસ્પદ વિધાનો સામે મેદાને પડેલા ક્ષત્રિય સમાજને છેલ્લી ઘડીની સમજાવટ માટે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મીટીંગ યોજી હતી પરંતુ તેમાં પણ કોઈ પરિણામ આવ્યું નથી. રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણીમાં ક્ષત્રિય સમાજ અડગ જ રહ્યો હતો અને ગાંધીનગરમાં યોજાયેલી મીટીંગ નિષ્ફળ નિવડી હતી.

ક્ષત્રિંય સમાજની સંકલન સમીતીના કન્વીનર રમજુભા જાડેજાએ આજે સવારે ‘સાંજ સમાચાર’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું કે ગઈરાત્રે સરકાર તરફથી મીટીંગ માટે તેડુ આવ્યું હતું. ખુદ મુખ્યમંત્રી મીટીંગમાં હાજર રહેવાના હોવાથી કોર કમીટીના તમામ 15 સભ્યો તે માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી તથા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બેઠકમાં હાજર હતા.

ક્ષત્રિય સમાજ વતી કોર કમીટીના સભ્યો મોજુદ હતા. સરકાર દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે ક્ષત્રિય સમાજ કોઈ જ વચલો રસ્તો કાઢે અને સમાધાન વિશે વિચારણા કરે પરંતુ સમાજ દ્વારા એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે કોઈ મધ્યમ માર્ગ નીકળે તેમ નથી. ક્ષત્રિય સમાજની રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની જ એક માત્ર માંગ છે અને આ માંગ પર સમાજ અડગ છે.

એકાદ કલાક સુધી ચાલેલી મીટીંગમાં સરકાર દ્વારા સમાધાન માટે વિકલ્પ વિચારવા આગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ સમાજ અડગ જ રહ્યો હતો. પખવાડીયા કરતા વધુ સમયથી રૂપાલાને હટાવવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ આંદોલન કરી રહ્યો છે અને તેમાં કોઈ પીછેહઠ કરવાનો સવાલ ઉભો થતો નથી.

રાજકોટની બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા આજે ઉમેદવારી નોંધાવે તેની આગલી રાત્રે જ સરકાર દ્વારા બેઠક બોલાવવામાં આવી હોવાથી ભાજપ સહિત તમામ વર્ગોમાં જોરદાર ઉત્તેજના શરૂ થઈ હતી. રૂપાલા ફોર્મ ભરે તે પૂર્વે જ તેમની ટીકીટ રદ્દ કરવાનો નિર્ણય લેવાશે કે કેમ તે વિશે પણ અટકળોનો દોર શરૂ થયો હતો.

બેઠક પૂર્ણ થયા બાદ સમાધાનની કોઈ જાહેરાત ન થતા મીટીંગનું કોઈ પરિણામ ન આવ્યાનું સ્પષ્ટ બની ગયું હતું. આજે હવે રૂપાલા દ્વારા શકિત પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવવામાં આવી છે ત્યારે હવે સમાધાનની શકયતા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ક્ષત્રિય સમાજના કન્વીનર રમજુભાએ વાતચિતમાં કહ્યું કે, સરકાર દ્વારા માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો નથી ત્યારે આંદોલનના કાર્યક્રમો ચાલુ જ રાખવામાં આવશે. 19મી સુધી વિવિધ શહેરોમાં રેલી, સંમેલન જેવા કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે. 19મીએ ફરી વખત કોર કમીટીની મીટીંગ મળશે અને તેમાં નવા કાર્યક્રમનું એલાન કરવામાં આવશે.

રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ પર સમાજ અડગ છે અને માત્ર રાજકોટ કે ગુજરાત નહીં દેશભરમાં આંદોલનને વિસ્તારવાની તથા ભાજપનો વિરોધ કરવાની ચેતવણી રાજકોટ મહા સંમેલનમાં આપી દેવામાં આવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj