રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણીમાં ખેલાશે કસોકસનો જંગ: વધુ છ ઉમેદવારીપત્રો ઉપડયા

કાલે નામાંકનપત્ર ભરવાનો અંતીમ દિવસ: વધુ બે નોમીનેશન

Gujarat, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 18 April, 2024 | 04:23 PM
બહુજન સમાજ પાર્ટી અને બહુજન મુકિત પાર્ટીના ઉમેદવારોના નામાંકન: અંતીમ દિવસે બપોરના ત્રણ વાગ્યા સુધી જ ઉમેદવારી ફોર્મ સ્વીકારાશે: ઉમેદવારોની સંખ્યા વધશે તો ટોકન અપાશે-કલેકટર પ્રભવ જોશી
સાંજ સમાચાર

રાજકોટ તા.18
 

રાજકોટ સહિત રાજયની લોકસભાની 26 અને વિધાનસભાની 5 બેઠકોની ચૂંટણીમાં આવતીકાલે નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય નામાંકન પત્ર ભરવા માટે આવતીકાલે ઉમેદવારોનો ધસારો રહેશે. જેમાં રાજકોટ લોકસભાની બેઠક માટે અગાઉ ભાજપ સહિત ત્રણ ઉમેદવારોના નામાંકન પત્ર ભરાયા બાદ આજે બહુજન સમાજ પાર્ટી અને બહુજન મુકિત પાર્ટીના ઉમેદવારોએ તેમના નામાંકન પત્ર જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા ચૂંટણી અધિકારી પ્રભવ જોશી સમક્ષ સબમીટ કર્યા હતા.

 જેમાં બહુજન સમાજ પાર્ટીના ચમનભાઈ સવસાણી તેમજ બહુજન મુકિત પાર્ટીના પ્રકાશભાઈ સીંધવે તેમનું નામાંકન પત્ર ભયુર્ં હતું. જેની સાથે જ રાજકોટ બેઠક ઉપર અત્યાર સુધીમાં ભરાયેલા નામાંકન પત્રની સંખ્યા પાંચને આંબી ગયેલ છે જયારે આવતીકાલે નામાંકન પત્ર ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ તેમની ઉમેદવારી નોંધાવનાર છે.

 અહીં એ ઉલ્લેખનીય છે કે અગાઉ કલેકટર કચેરીમાંથી 319 જેટલા ઉમેદવારી ફોર્મ ઉપડયા બાદ આજે વધુ છ જેટલા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ કલેકટર કચેરીમાંથી ઉપાડયા હતા. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા 180 જેટલા ઉમેદવારી ફોર્મ કલેકટર કચેરીમાંથી ઉપાડવામાં આવ્યા છે પરંતુ ક્ષત્રિય સમાજનું એક પણ ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ ભરાઈને હજુ સબમીટ થવા પામેલ નથી.
 ત્યારે આવતીકાલે રાજકોટ બેઠક ઉપર કેટલા ઉમેદવારી ફોર્મ ભરાય છે તેના ઉપર તંત્રએ મીટ માંડી છે. જોકે આવતીકાલે નામાંકન પત્ર ભરવાનો અંતિમ દિવસ હોય ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ રૂપથી વ્યવસ્થા કરવામાં આવી છે.

 આ અંગે જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આવતીકાલે તા.19ને શુક્રવારના રોજ બપોરના ત્રણ વાગ્યા સુધી જ ઉમેદવારોના નામાંકન પત્ર સ્વીકારવામાં આવશે. નામાંકન પત્ર ભરવા માટે જો ઉમેદવારોની સંખ્યા વધશે તો ઉમેદવારોને ટોકન આપવામાં આવશે. તેઓએ જણાવ્યું હતું કે આવતીકાલે બપોરના ત્રણ વાગ્યા સુધી જ નામાંકન પત્રો સ્વીકારવામાં આવશે જે બાદ તા.20ના ભરાયેલા નામાંકન પત્રોની ચકાસણી કરાશે. ત્યારબાદ તા.22ના નામાંકન પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ નિયત કરવામાં આવી છે.

►ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ18 હજાર પોસ્ટલ બેલેટ છપાશ

સૈનિકો માટે 720 જેટલા બેલેટ ટપાલમાં પરત આવશે

રાજકોટ તા.18
 રાજકોટ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર આગામી તા.22ને સોમવારના સાંજે સ્પષ્ટ થઈ જશે. તેની સાથે જ 18000 જેટલા પોસ્ટર બેલેટ પ્રિન્ટીંગ માટે આપી દેવાશે તેમ જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓ દિવ્યાંગો અને બુઝર્ગ મતદારો માટે આ બેલેટ પેપરો છપાવવામાં આવશે. જયારે 720 જેટલા બેલેટ પેપરો કે જે સૈનિકો માટે છે જે ટપાલમાં પરત આવશે. અહીં એ ઉલ્લેખનીય છે કે પોસ્ટલ બેલેટથી મતદાન માટે આજે અમદાવાદ ખાતે ખાસ એકસચેન્જ મેળો આયોજીત કરવામાં આવેલ. જેમાં રાજકોટથી 7146 ફોર્મ સાથે નોડલ અધિકારીને મોકલવામાં આવેલ છે.

►જનરલ અને પોલીસના ઓબ્ઝર્વર સાંજે રાજકોટમા

ચૂંટણી પ્રક્રિયા પર રખાશે બાજ નજર

રાજકોટ તા.18
 રાજકોટ લોકસભાની ચૂંટણી પ્રક્રિયા માટે જનરલ ઓબ્ઝર્વર માટે ભવાનીસિંહ દેઠા અને પોલીસના ઓબ્ઝર્વર તરીકે ચંદનકુમાર ઝાની નિયુકિત ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી હોય આ બન્ને ઓબ્ઝર્વર આજે સાંજ સુધીમાં જ રાજકોટ આવી પહોંચશે તેમ જીલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું હતું. પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટ બેઠક માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે નિયુકત કરાયેલા ભવાનીસિંહ દેઠા એ રાજસ્થાનના પ્રિન્સીપલ સેક્રેટરી છે. જયારે પોલીસના ઓબ્ઝર્વર તરીકે નિમાયેલા ચંદનકુમાર ઝા એ ઝારખંડના આઈપીએસ અધિકારી છે. આ બન્ને ઉચ્ચ અધિકારીઓ આજે સાંજ સુધીમાં રાજકોટ ખાતે આવી પહોંચશે અને રાજકોટ બેઠકની ચૂંટણી પ્રક્રિયા પર બન્ને ઉચ્ચ અધિકારીઓ બાજ નજર રાખશે.

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj