સાળંગપુર તા.19 બીએપીએસ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ અમેરિકા રોબીન્સસ્વિલેમાં ભવ્ય અક્ષરધામ અને અબુધાબી ખાતે બીએપીએસ હિન્દુ મંદિરની પ્રતિષ્ઠા કરીને સારંગપુર પધાર્યા છે. આ પવિત્ર પર્વનો શુભારંભ તેઓના પૂજાદર્શનથી સવારે 6-30 થયો, જેમાં અનેક ભકતો ભાવિકો દર્શન માટે પધાર્યા હતા. પ્રાત:પૂજા બાદ ભકતોને આશીર્વાદ અર્પતા જણાવ્યું કે 14 લોકનું એક બ્રહ્માંડ તેવા અનંત કોટી બ્રહ્માંડ છે. તેમાંથી ભગવાન આ બ્રહ્માંડમાં આવ્યા. અતિ કૃપાએ કરીને તેઓ આપણા જેવા થઈને આપણી સાથે રહ્યા. પ્રત્યેક જીવને કલ્યાણના માર્ગે આગળ વધારવા માટે અહીં આવ્યા છે. આ કોઈ કલ્પના નથી પરંતુ હકીકત છે. પૂજા દર્શનના અંતે નિવૃત આઈએએસ અધિકારી ડો. કિરીટભાઈ શેતલ દ્વારા લખાયેલ પુસ્તક ‘મહાન ઋષિ મહંતસ્વામી મહારાજ’ પુસ્તકનું વિમોચન પૂ. વિવેકસાગર સ્વામીના હસ્તે કરવામાં આવ્યું. બપોરે 12 વાગે ભગવાન શ્રીરામ જન્મોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવવામાં આવ્યો. જેમાં પ્રભુ શ્રી રામજીની આરતી ઉતારી તેમને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું. સાથે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ આગળ વિશેષ અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સાથે ભગવાન સ્વામિનારાયણના જન્મોત્સવની મુખ્ય સભા સાંજે 8થી રાત્રે 10-30 સુધી ભવ્યતા દિવ્યતાથી ઉજવવામાં આવી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુરૂહરિ શ્રી મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિત્ય ગવાતી ઐતિહાસિક આરતીની પંકિતઓ પર વિશેષ પ્રવચનોની શૃંખલા રચવામાં આવી હતી. જેમાં સંસ્થાના સંત પૂ.ડોકટર સ્વામી, પૂ.ભકિતપ્રિય સ્વામી તથા પુ. વિવેકસાગર સ્વામી, સાથે સંસ્થાના વરિષ્ઠ સંતો પૂ. નારાયણમુનિ સ્વામી પુ. ભદ્રેશ સ્વામી, પૂ. ભકિતસાગર સ્વામી, પૂ. આત્મતૃપ્ત સ્વામી તથા પુ. આદર્શજીવન સ્વામી આદિ સંતોએ આરતી ઉપર સુંદર મનનીય પ્રવચન કર્યા. સ્વયં પરમ પૂ. મહંત સ્વામી મહારાજે પણ આશિષ અર્પ્યા. જેમાં તેઓએ ભગવાનના વિશેષ મહિમાગાન દ્વારા ભગવાન શ્રી રામ તથા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં ભકિત અર્ધ્ય અર્પણ કયુર્ં હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પ.પૂ.મહંત સ્વામી મહારાજના હસ્તે લખાયેલ ગ્રંથ સત્સંગ દીક્ષાનું વિશ્ર્વની ઘણી ભાષાઓમાં અનુવાદ થયેલ છે તેમાં એક અધિક પૃષ્ઠ ઉમેરાયું. જેમાં પોલેન્ડની પોલીશ ભાષામાં અનુવાદ થયું અને તેનું વિમોચન કરવામાં આવ્યું. અંતે સૌ સંતો ભકતોએ હારતોરા દ્વારા સ્વામીને વધાવ્યા અને 10 વાગ્યે ભગવાન સ્વામિનારાયણ જન્મોત્સવના કીર્તનોની રમઝટ શરૂ થવા લાગી. 7000થી વધુ ભકતો અને 450થી વધુ સંતોએ આ મહોત્સવનો લાભ લીધો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy