રાજકોટ,તા.27
અખંડ 1008 આયંબિલ તપ આરાધિકા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પૂજ્ય પરમ સૌમ્યાજી મહાસતીજીના પારણા અવસર - મહાતપોત્સવ તેમજ સમગ્ર સંસાર ત્યજીને દીક્ષા અંગિકાર કરવા થનગની રહેલાં દીક્ષાર્થી મુમુક્ષુ યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુનો દીક્ષા મહોત્સવ આવતીકાલ 28મી એપ્રિલ,2024 રવિવાર સવારના 8:30 કલાકે મુંબઈના વિલેપાર્લે સ્થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ, ઋતંભરા કેમ્પસ, જે.વી.પી.ડી. સ્કીમ ખાતે યોજાશે.
સમગ્ર સ્થાનકવાસી સમાજમાં પ્રથમવાર આવી ઉગ્ર તપસાધના કરનારા મહાતપસ્વી મહાસતીજીના તપનું સન્માન કરતી "તપ સન્માનયાત્રા" તેમજ દીક્ષાર્થીની "મહાભિનિષ્ક્રમણ યાત્રા" આવતીકાલ સવારે 7 કલાકે વાડીલાલભાઈ મોહનલાલ શાહ (પેરેડાઇઝ પરિવાર)હસ્તે શીલાબેન ચંદ્રકાંતભાઈ શાહના નિવાસસ્થાન પેરેડાઇઝ ટાવર,જુહુ સ્કીમ ખાતેથી પ્રારંભ થઈને ત્યાગનો જયકાર કરતી, ગાજતી- ગુંજ્તી ઋતંભરા કેમ્પસ ખાતે પધારશે, જ્યાંઅનેક સંપ્રદાયના સંત- સતીજીઓ, સમગ્ર મુંબઈ, ગુજરાત, સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત આદિ અનેક ક્ષેત્રોના સંઘો, શ્રેષ્ઠિવર્યો, રાજકીય મહાનુભાવો, મહિલા મંડળો, યુવક મંડળો અને હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં તેમજ લાઈવના માધ્યમે જોડાયેલાં દેશ - વિદેશના લાખો ભાવિકોની સાક્ષીએ મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાશે.
આ અવસરે મુમુક્ષુ આત્મા પોતાના સંસાર જીવનનું અંતિમ વક્તવ્ય આપીને પોતાના અંતરની સંયમ ભાવનાને અભિવ્યક્તિ કરીને, માતા-પિતા ગુરુવર્યો આદિ ઉપકારી તત્ત્વો પ્રત્યે ઉપકાર વેદન કર્યા બાદ વેશ પરીવર્તન કરશે. સંસારી રંગીન વસ્ત્રોનો ત્યાગ કરીને, શ્વેત વસ્ત્ર પરિધાન કરીને મુંડિત મસ્તકે પધારનાર મુમુક્ષુ આત્માને પરમ ગુરુદેવના શ્રીમુખેથી દીક્ષા મંત્ર અને રજોહરણના દિવ્ય દાનની અર્પણતા સાથે એમનો સંયમ જીવનમાં મંગલ પ્રવેશ કરાવવામાં આવશે.
અને બીજી તરફ, અખંડ 1008 દિવસ સુધી માત્ર લૂખા - સૂકા આહાર સાથેની આયંબિલ તપની અજોડ આરાધના કરનારા મહાતપસ્વી પૂજ્ય મહાસતીજીને લાખો ઘરોમાંથી અર્પણ કરવામાં આવેલી સાકરના જળથી ગુરુ ભગવંતના શ્રીહસ્તે, હજારો ભાવિકોની અનુમોદનાના પ્રસરતા ભાવો વચ્ચે પારણા કરાવીને એમની તપ સાધનાને વિરામ આપવામાં આવશે.
તપધર્મ અને સંયમ ધર્મની, અનુમોદનાના અવસરે પધારીને જીવનને ધન્ય ધન્ય બનાવવા દરેક ધર્મપ્રેમી ભાવિકોને પધારવા શ્રી વિલેપાર્લે સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy