રાજકોટ. તા.18
જામનગર રોડ પર રહેતી વિધવા મહિલાને ભિસ્તીવાડના કુખ્યાત યાસીન ઉર્ફે ભુરાએ પોતાનું રાહુલ પ્રજાપતિ નામ ધારણ કરી મહિલાને ફસાવી લિવઈન રિલેશનશિપમાં રાખી અવારનવાર દુષ્કર્મ આચરી મારકુટ કરતાં મહિલા પોલીસ મથકે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાતા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે જામનગર રોડ પર રહેતી એક પુત્રની વિધવા માતાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે યાસીન ઉર્ફે ભુરો ઓસમાણ કયડાનું નામ આપતાં મહિલા પોલીસે વિરૂદ્ધ દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ભોગ બનનાર મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 18 વર્ષ પહેલા તેણે લવ મેરેજ કર્યા હતા. સંતાનમાં એક પુત્રની પ્રાપ્તી થઈ હતી. પુત્ર જયારે દોઢ વર્ષનો હતો ત્યારે પતિએ આપઘાત કરી લીધો હતો. ત્યારથી પુત્ર સાથે પિયરમાં રહેવા જતી રહી હતી. આઠેક વર્ષ પહેલાં મોબાઈલ રીચાર્જ કરાવવા ગઈ ત્યારે યાસીન ઉર્ફે ભુરાનો પરિચય થતાં મોબાઈલ નંબરની આપ-લે થઈ હતી. જેથી અવાર-નવાર તેની સાથે વાતચીત કરતી હતી. એકબીજાને રૂબરૂ પણ મળતા હતા.
તેનો પુત્ર પણ મળતો હતો. એક દિવસ પુત્રએ કહ્યું કે, મમ્મી હું આને ડેડી કહીને બોલાવું. જેને કારણે તેને પણ યાસીન ઉર્ફે ભુરા પ્રત્યે લાગણી થતાં તેનું નામ પૂછતાં રાહુલ કહ્યું હતું. એટલું જ નહીં પોતે હિન્દુ હોવાનું અને છુટાછેડા થઈ ગયાનું કહ્યું હતું. સાથો-સાથ પોતાના પરિવારના સભ્યો સાથે પણ મુલાકાત કરાવી હતી. બાદમાં કહ્યું કે, આપણે રીલેશનશીપમાં રહી બાદમાં લગ્ન કરી લેશું. દરમિયાન તેને લગ્નની લાલચ આપી મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધતો હતો.
ત્યારબાદ યાસીન ઉર્ફે ભુરાની ગુજસીટોકમાં અટકાયત થઈ હતી. જેમાં સાડા ત્રણ વર્ષ સુધી જેલમાં રહ્યો હતો. થોડા સમય પહેલાં જેલમાંથી છુટી ઘરે આવ્યો ત્યારે પરિવારના સભ્યોએ તેના વિશે મોબાઈલ ફોનમાં કોઈની સાથે વાતચીત કરતી હોવાની ચડામણી કરતાં તેની ઉપર શંકા-કૂશંકા કરી
મારકૂટ શરૂ કરી દીધી હતી. તે નાના મોટા કામ કરી જે પણ કમાતી તે યાસીન ઉર્ફે ભુરો બળજબરીથી લઈ વાપરી નાખતો હતો.લગ્નનું કહેતાં બહાના બતાવતો હતો. ફરીથી તેને લગ્ન કરવાનું કહેતાં ગાળો ભાંડી, મારકૂટ કરી હતી. એટલું જ નહીં જે મકાનમાં રહે છે તેના કાગળો જબરજસ્તીથી લઈ ફાડી અને સળગાવી નાખ્યા હતા. જેથી કંટાળીને તેના વિરૂધ્ધ આખરે ફરિયાદ નોંધાવી હતી.
►યાસીન ઉર્ફે ભુરો ભીસ્તીવાડના હિસ્ટ્રીસીટર એઝાઝ ઉર્ફે ટકાની ગેંગનો સાગરિત
રાજકોટ. તા.18
દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ યાસીન ઉર્ફે ભુરો ભીસ્તીવાડના હિસ્ટ્રીસીટર એઝાઝ ઉર્ફે ટકાની ગેંગનો સાગરીત છે. એક સમયે ભીસ્તીવાડમાં એઝાઝ ઉર્ફે ટકો અને તેના સાગરીતોએ વિસ્તારમાં હાહાકાર મચાવ્યો હતો. બાદમાં ઇમરાન મેણુંની ગેંગ સામે ટકરાવ પણ થતાં રહેતાં હતાં. બાદમાં રાજ્ય સરકારે લાવેલ ગુજસીટોક કાયદામાં એઝાઝ ઉર્ફે ટકો અને તેની ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા યાસીન ઉર્ફે ભુરો સાડા ત્રણ વર્ષ જેલમાં રહ્યો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy