(સાગર સોલંકી / ધર્મેન્દ્ર બાબરીયા)
ધોરાજી, તા. 19
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ્દ નહીં કરાતા ધોરાજી તાલુકા ભાજપના ક્ષત્રિય હોદ્દેદારોએ તેમના હોદ્દા પરથી આજે ધડાધડ રાજીનામા ધરી દીધા હતા. ક્ષત્રિય સમાજના આ હોદ્દેદારોએ તેમના રાજીનામાના પત્રો તાલુકા ભાજપના પ્રમુખ મયુરભાઇને સોંપેલ હતા.
ક્ષત્રિય સમાજના આ હોદ્દેદારોએ આપેલા સામુહિક રાજીનામાથી તાલુકાનું રાજકારણ ધગધગી ગયું છે. તેની સાથે જ આ હોદ્દેદારોએ ભાજપની વિરૂધ્ધમાં મતદાન કરવાની પણ ચેતવણી આપતા નવા સમીકરણો સર્જાયા છે.
ધોરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખ પ્રતાપસિંહ ચુડાસમા, મંત્રી મહાવીરસિંહ સરવૈયા, મહિલા મોરચાના મહામંત્રી (તાલુકા ભાજપ) તારાબા વાઘેલા, ઉપપ્રમુખ ધોરાજી તાલુકા યુવા ભાજપ દિગુભા વાળા, મંત્રી દિવ્યરાજસિંહ વાઘેલા, કારોબારી સભ્ય અનિલસિંહ ચુડાસમા, પ્રમુખ (શકિત કેન્દ્ર) સત્યેન્દ્રસિંહ સરવૈયા, ઉપપ્રમુખ દશરથસિંહ જાડેજા, ઉપપ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, બુથ પ્રમુખો સર્વશ્રી નિરૂભા વાઘેલા, વિજયસિંહ વાઘેલા, રાજેન્દ્રસિંહ વાઘેલા, ક્રિપાલસિંહ સરવૈયા, બકુલસિંહ સરવૈયા, લકકીરાજસિંહ સરવૈયા, યુવરાજસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા સહિતના હોદ્દેદારોએ સામુહિક રાજીનામા આપી દેતા તાલુકાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
તાલુકા ભાજપના આ હોદ્દેદારોએ તેમજ કાર્યકરોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામા ધરી દીધા છે. અહીં એ ઉલ્લેખનીય છે. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી ટીપ્પણીથી ક્ષત્રિય સમાજમાં ઉગ્ર રોષ ભભુકી ઉઠયો છે અને આ બાબતે છેલ્લા કેટલાક સમયથી રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવાઇ રહ્યું છે.
જેમાં રૂપાલાની ટીકીટ રદ્દ કરવાની માંગ ઉઠાવાઇ હોવા છતાં રૂપાલાની ટીકીટ ભાજપ દ્વારા રદ્દ નહીં કરાતા ક્ષત્રિય સમાજ હવે આગબબુલા બની ગયો છે જેના પરિણામ સ્વરૂપ આજે ધોરાજી તાલુકા ભાજપના ક્ષત્રિય હોદ્દેદારોએ આજે સામુહિક રાજીનામા ધરી દેતા તાલુકાના રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy