સમાજ એક નહીં થવા દે તેવા ભયથી પગલું ભર્યું

રાજકોટના પોલીસ મથકમાં નખત્રાણાના પ્રેમી યુગલે ગળા પર બ્લેડ ફેરવી દીધી: યુવતીનું મોત

Local | Rajkot | 04 May, 2024 | 12:00 PM
ગત તા.2 ના નખત્રાણાના મોટી વિરાણી ગામમાં રહેતી પૂજાને ત્યાંના જ વિનોદ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ બંને ભાગીને રાજકોટ આવ્યા’તા: યુવતીના પિતાએ નોંધાવેલ ગુમ નોંધના આધારે પોલીસે તપાસ કરતાં બંને યુનિવર્સિટી રોડ પર હોવાની બાતમી મળી હતી
સાંજ સમાચાર

♦ નખત્રાણા પોલીસે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં યુગલને પ્રેમમંદિર નજીકની હોટલમાંથી પકડી પોલીસ મથકે લવાયા હતા: બાદમાં બંનેએ પોલીસ સ્ટેશનમાં આવેલ નાગરિક સુવિધા કેન્દ્રના રૂમમાં પગલું ભર્યું: યુવકની હાલત ગંભીર

રાજકોટ, તા.4
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકની અંદર આવેલા સુવિધા કેન્દ્રમાં બેસાડાયેલા પ્રેમીયુગલે રૂમનો દરવાજો બંધ કરી પોતાના શરીર પર ગળા સહિતના ભાગે બ્લેડના ઘા ઝીંકી દેતા વધુ પડતું લોહી નીકળી જવાથી યુવતીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે યુવકની હાલત અતિ ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાયેલ અકસ્માત નોંધમાં પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છના નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામમાં રહેતા પૂજા રૂપાભાઈ ભદરુ (ઉ.વ.23) અને વિનોદ ગોવિંદભાઈ સતવારા (ઉ.વ.19) ગત તા.2 મેના રોજ રાત્રિના 9 વાગ્યા આસપાસ ભાગી છૂટ્યા હતા. પુજા ભદરુના પરિવારજનોએ આ અંગે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં પુજાના ગુમ થયા અંગેની જાણ પણ કરી હતી. તેમાં જણાવ્યું હતું કે, પુજા 2 મેના નીકળ્યા બાદ પરત આવી ન હતી. જ્યારે વિનોદ સતવારા અંગે પોલીસને કોઈ જાણકારી ન હતી. પુજા ભદરુ ગુમ થયા બાદ કચ્છ પોલીસે તે અંગેની જાણ રાજ્યના તમામ પોલીસ મથકમાં કરી તેની તપાસ આદરી હતી. દરમિયાન નખત્રાણા પોલીસને પુજાનું લોકેશન રાજકોટમાં ન હોવાની જાણ થતાં રાજકોટના યુનિવર્સિટી પોલીસ  મથકના પીઆઈ આઈ.એન.રાઠોડને જાણ કરાઈ હતી.

જેથી યુનિવર્સિટી પોલીસ અને એલસીબી ઝોન- 2 પીએસઆઈ આર.એચ.ઝાલા ટીમ સાથે યુગલની શોધખોળ હાથ ધરતાં તેઓ પ્રેમમંદિર પાસે આવેલ નોવા હોટલમાં હોવાની જાણ થતાં સ્ટાફે હોટલમાં ચેક કરતાં રૂમ નં.302 માંથી ગુમ થનાર પૂજા ભદ્ર અને વિનોદ સથવારા મળી આવતાં બન્નેને પકડી યુનિવર્સિટી પોલીસ મથક લવાયા હતા અને નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડાયા હતા.

પૂજા અને વિનોદને નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસાડી પોલીસ સ્ટાફ પોતાના કામમાં વ્યસ્ત હતો. ત્યારે બન્નેએ સુવિધા કેન્દ્રનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને થોડીવારમાં જ બંનેએ પોતાની પાસે રહેલ બ્લેડ કાઢી શરીર પર ગળાના ભાગે ફેરવી અસંખ્ય ઘા મારી દિધા હતાં. બાદમાં દેકારો મચી ગયો હતો. જોરજોરથી અવાજ થતાં પીઆઈ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને જોતાં દરવાજો અંદરથી બંધ હતો. તેમજ યુગલ લોહીમાં લથબથ પડ્યું હતું.  પોલીસે સુવિધા કેન્દ્રનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતાં સફળતા મળી ન હતી અને દરવાજો હથોડાથી તોડીને પોલીસ સુવિધા કેન્દ્રમાં અંદર ગઈ ત્યારે પૂજા અને વિનોદ લોહીથી લથબથ હાલતમાં ઢળી પડયા હતા. પુજાનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે 

વિનોદને પણ ગળા સહિતના ભાગે અસંખ્ય ઘા લાગેલ હોય તેને તાકીદે 108 મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. ત્યાં તેનું તાકીદે ઓપરેશન કરવામાં આવ્યું હતું. જ્યાં તેની હાલત અતિ ગંભીર ગણાય રહી છે. 
પોલીસને પ્રાથમિક તબક્કે એવી માહિતી મળી છે કે, પુજા અને વિનોદ એકબીજાને પ્રેમ કરતા હતા અને આથી જ ગામ છોડીને ભાગી છૂટ્યા હતા જો કે, મોબાઈલ ટ્રેસ કરાતા બન્ને રાજકોટમાં પકડાઈ ગયા હતા.

 પોલીસ મથકના નાગરિક સુવિ કેન્દ્રમાં બનેલી આ ઘટના અંગે નખત્રાણા પોલીસને અને તેના પરિવારનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. બનાવ બાદ એડી. પોલીસ કમિશ્નર વિધી ચૌધરી, ડીસીપી ડો. સુધીર દેસાઈ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી રાધીકા ભારાઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી યુનિવર્સિટી પોલીસે દોડી જઈ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. આગળની વધું તપાસ એસીપી રાધિકા ભારાઈ ચલાવી રહ્યા છે.

♦ થોડીવાર રૂમમાં બેસીએ છીએ પીએસઓને કહીં દરવાજો બંધ કરી યુગલ મરણીયું બન્યું
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રેમી યુગલે કરેલા આપઘાતના પ્રયાસમાં યુવતીનું મોત નીપજ્યું છે જ્યારે યુવક અંતિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. જે બનાવ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાતે 8 વાગે બંને યુગલને પોલીસે પકડી પોલીસ મથકે લાવી હતી. બાદમાં તેઓ પીએસઓ પાસે ઉભા હતાં દરમિયાન 30 મિનિટ બાદ બંનેએ બાજુના રૂમમાં બેસવા માટે પીએસઓને કહેતાં તેઓએ નાગરિક સુવિધા કેન્દ્રમાં બેસવાનું કહ્યું હતું. જે બાદ બંને ત્યાં રૂમમાં ગયાં બાદ રૂમ અંદરથી બંધ કરી પગલું ભર્યું હતું.

♦ યુવકે પોતાના પાકીટમાં બ્લેડ રાખી આવ્યો હતો
યુનિવર્સિટી પોલીસ મથકમાં બનેલ બનાવમાં પ્રેમી યુગલને પહેલેથી જ જાણ હોય કે તેઓને સમાજ એક નહીં થવા દે તેવા ભયથી યુવક વિનોદે પોતાના ખિસ્સામાં જ બ્લેડ રાખી હતી અને પોલીસે પકડ્યા બાદ તેનાથી જ ઘાતકી પગલું ભરી લીધું હતું.

♦ યુવક પાસે બ્લેડનું આખું પેકેટ હતું: 
પોતપોતાની રીતે બંન્નેએ બ્લેડ ગળે ફેરવી દીધી

યુનિવર્સિટી પોલીસ મથકમાં ગઈકાલે રાતે નખત્રાણાના પ્રેમી યુગલે કરેલ આત્મધાતી પગલામાં નવો ખુલાસો સામે આવ્યો હતો.જેમાં યુવક વિનોદને પહેલેથી જ સંદેશો હોય તેમ પોતાના પાકીટમાં બ્લેડનું આખુ પાકીટ રાખ્યું હતું.અને બંન્ને પોતે પોલીસ મથકના નાગરીક સુવિધા કેન્દ્રમાં બેઠા બાદ બંન્નેએ પોતપોતાના ગળામાં બ્લેડ ફેરવી દિધી હતી.જેમાં યુવતીનું મોત નિપજયું હતું.જયારે યુવક જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.

♦ કોન્સ્ટેબલ મિતેષભાઈએ બ્લેડ ઝુંટવી લેતાં યુવકનો જીવ બચી ગયો

યુનિવર્સિટી પોલીસ મથકની નાગરીક સુવિધા કેન્દ્રમાં નખત્રાણાના પ્રેમી યુગલે પોતાની હાથે બ્લેડ ગળામાં બ્લેડ ફેરવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ત્યારે કોન્સ્ટેબલ મિતેષભાઈએ દરવાજો ખોલી યુવક વધુ ગળામાં બ્લેડ ફેરવી વધુ ઈજા પહોંચાડે તે પહેલાં જ તેઓએ તેમના હાથમાંથી બ્લેડ છિનવી તાત્કાલીક સારવારમાં ખસેડાતાં યુવકનો જીવ બચી ગયો હતો. કોન્સ્ટેબલ મિતેષભાઈ રૈયાધાર ચોકીમાં ફરજ બજાવે છે.

♦ નાગરીક સુવિધા કેન્દ્રનો દરવાજો ખોલવા આરએનસીના હથોડો લેવો પડયો: દસ મીનીટે તુટયો

યુનિવર્સિટી પોલીસ મથકમાં ગઈકાલે મોડી રાતે નખત્રાણાના યુગલે નાગરીક સુવિધા કેન્દ્રનો રૂમ અંદરથી લોક કરી બ્લેડથી પોતાના ગળા પર ફેરવી દિધા બાદ દેકારો મચાવતા પીઆઈ રાઠોડ સહીતનો સ્ટાફ દોડી ગયો હતો. પરંતુ દરવાજો અંદરથી બંધ હોય જે ખોલવા માટે પોલીસ મથકની બહાર રહેલ આરએનસીની ટીપરવાનમાં રાખેલ હથોડો લઈ દરવાજો તોડવા મથામણ આદરી હતી.દસ મીનીટની મહા મહેનતે દરવાજો તુટયો હતો.

♦ યુવતી ઘર બહાર પણ પગ ન મુકતી યુવક સોશિયલ મીડીયાથી અલીપ્ત હતો

નખત્રાણાના પ્રેેમી યુગલે ભરેલ આત્મધાતી પગલામાં મૃતક યુવતીના પરીવારે જણાવ્યું હતું કે તે ઘરકામ કરતી અને તેના પિતા કડીયાકામ કરે છે.તેણી બે બહેન એકભાઈમાં નાની હતી. તેમનો પરિવાર મુળ ભુજના ટાંકણાસર ગામનો વતની અને અહીં 22 વર્ષથી રહે છે. વધુમાં જણાવ્યું કે યુવતી કયારેય ઘર બહાર પગ પણ મુકતી ન હતી તેમજ તેનો દાવ-ભાવ કયારેય એવો ન હતો કે તેને પ્રેમ-પ્રકરણ હોય શકે.તેમજ યુવકના પરિવાર જનોએ જણાવ્યું કે તે ખેતિકામ કરે છે. અને સાતભાઈ એક બહેનમાં નાનો છે. તેઓ 75 વર્ષથી અહિ રહે છે વધુમાં જણાવ્યું હતું કે તે સોશિયલ મીડીયાથી અલીપ્ત હતો અને કોઈને ફોન કરવો હોય તો પણ તે ભાઈઓને વાત કરતો હતો.

♦ યુવતીએ કોલગેટ લેવા જવાનું અને યુવકે ગામમાં આંટો મારવાનું કહી ઘરેથી નિકળી ગયાં

રાજકોટ,તા.4
નખત્રાણાના મોટી વિરાણી ગામના પ્રેમી યુગલે કરેલા આપઘાતના પ્રયાસમાં મોતને ભેંટનાર પુજા નામની યુવતીના મામીએ જણાવ્યું હતું કે, ગઈ તા.2ના રાતે 8 વાગ્યે પુજાએ તેના ઘરે સામેની દુકાને કોલગેટ લેવા જવ છું કહી ઘરેથી નિકળી હતી.જે બાદ તે મોડે સુધી ઘરે ન આવતા પરીવારે તપાસ હાથ ધરી હતી.પરંતુ કોઈ પતો ન મળતા પોલીસને જાણ કરી હતી.જયારે જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહેલ યુવકના ભાઈ રણજીતભાઈએ જણાવ્યું હતું કે, તે રાતે ગામમાં આંટો મારવા જાય છે તેવું કહી નિકળ્યો બાદ ઘરે પરત ન ફરતાં તેની શોધખોળ હાથ ધરી હતી.

♦ યુવક-યુવતી બે કિલોમીટરના અંતરે રહે છે

પ્રેમી યુગલ બંન્ને નખત્રાણાના મોટી વિરાણી વિસ્તારમાં રહે છે. બંન્નેના ઘર બે કિલોમીટરના અંતરે આવેલા છે. યુવતી દલીત અને યુવક દેવિપૂજક સમાજમાંથી આવતાં હોય જેથી બંન્નેને સમાજ એક નહી થવા દે તેવા ભયથી બંન્ને મરણીયા બન્યા હતાં.જેમાં યુવતીએ જીવ ગુમાવ્યો છે અને યુવક પણ જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.

♦ બનાવ બાદ એડી. પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી, ડીસીપી સુધીર દેસાઈ, ક્રાઇમ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા

 

 

 

 

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj