જામનગર તા.25: જામનગર લોકસભા બેઠક વિસ્તારમાં પણ ક્ષત્રિય સમાજના ભાજપ વિરોધી આંદોલનને પગલે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે જામનગર આવી રહ્યા છે. 2 મે ના રોજ જામનગરમાં વિશાળ જનસભાને સંબોધશે. આ માટે ભાજપે તૈયારી હાથ ધરી છે.
જામનગર લોકસભા બેઠક વિસ્તારના અનેક સ્થળોએ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરાયેલ વિવાદીત નિવેદન બાદ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે અનેક સ્થળે ભાજપની સામે સીધો મોરચો મંડાઇ રહ્યો છે. આ સ્થિતિમાં ભાજપ માટે ડેમેજ કંટ્રોલની વ્યૂરચના અમલમાં મુકવાનો સમય પાકી ગયો છે.
ગૃહરાજયમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રી ગત રવિવારે જામનગર આવ્યા હતા અને ભાજપ સાથે જોડાયેલ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી ભાજપ તરફી આંદોલનકારીઓને સમજાવવા અપીલ કરી હતી.
ગૃહરાજયમંત્રી અને પ્રદેશ ભાજપ મહામંત્રીની આ બેઠકના ત્રણ દિવસમાં કોઇ હકારાત્મક પરિણામ ભાજપની તરફેણમાં ન દેખાતા હવે ભાજપના હાઇપ્રોફાઇલ નેતાઓને પણ જામનગર બેઠક માટે કામે લગાડાશે. અત્યાર સુધી એમ કહેવાતું હતું કે, સુદર્શન સેતુના લોકાપર્ણ પ્રસંગે દ્વારકા પંથકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા યોજાઇ હતી તેથી કદાચ જામનગર તેઓ ચૂંટણી સભા કરવા નહીં આવે.
પરંતુ વર્તમાન સંજોગોને ગંભીરતાથી ધ્યાને લેવાઇ રહ્યા છે અને જામનગરની બેઠક સન્માનજનક રીતે જીતવાના હેતુથી ભાજપ હવે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે જામનગરની રાજકીય પીચ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને બેટીંગ કરવા ઉતારશે.
ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર તા.2 મે ના રોજ સાંજે જામનગરના પ્રદર્શન મેદાન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભાનું આયોજન થઇ રહ્યું છે. આ માટે જામનગર શહેર ભાજપના પ્રમુખ ડો.વિમલ કગથરા, જિલ્લા
ભાજપ પ્રમુખ રમેશ મુંગરા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવીએ આ સભામાં જંગી જનમેદની ઉમટે તે માટેના પ્રયાસ પણ શરૂ કરી દીધા છે.
અમિત શાહ અને મુખ્યમંત્રી આવશે?
જામનગર લોકસભા બેઠકની ચૂંટણીના પ્રચાર માટે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે આવે તે માટેનું આયોજન થઇ રહ્યું છે. વડાપ્રધાનની સભા પહેલા અને સંભવત શનિવારે આ નેતાઓ જામનગર આવે તેવી શકયતા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy