♦ 24મીથી ‘ધર્મરથ’ નીકળશે; દરેક વિસ્તારો તથા ગામડાઓમાં ફરશે; રૂટ તૈયાર: સમગ્ર ગુજરાતમાં સાત રૂટ ફરશે
♦ આંદોલનમાં ક્યાંય હિંસા નહીં થાય; યુવાનોને ‘માઁ ભવાની’ના શપથ લેવડાવ્યા છે: કોઇનો દોરીસંચાર નથી
♦ ઉપવાસ પર 21ને બદલે સ્વયંભૂ રીતે 100 બહેન-દીકરીઓ બેઠી: ક્ષત્રિય સમાજના પી.ટી. જાડેજા
રાજકોટ, તા.22
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રીય રાજપૂત સમાજની લાગણી દુભાય તેવી ટીપ્પણી કરતા સમગ્ર રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે. પરસોતમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં રાજપૂત ક્ષત્રિય સમાજે બહેન-દીકરીઓ વિશેની ટીપ્પણી માફીને યોગ્ય નથી તેમ જણાવી રૂપાલાની ટિકિટ રદ કરવા પાર્ટ-1માં પરસોતમ રૂપાલા ઓપરેશનનું આંદોલન ચલાવ્યા બાદ ભાજપ સરકારે ક્ષત્રિય સમાજની માંગણીની અવગણના કરતાં એ પાર્ટ-2 ભાજપ વિરૂધ્ધ પ્રચાર-પ્રસારનું આંદોલન છેડવામાં આવ્યું છે. જેના ભાગરૂપે રાજકોટ ખાતે એ.જી. ચોક ખાતે ક્ષત્રિય સમાજનાં કાર્યાલયનો પ્રારંભ થયો છે. સાથે અસ્મિતાની લડાઇમાં આજથી ક્ષત્રિય સમાજના 100 બહેનોએ પ્રતિક ઉપવાસ આંદોલનનો પણ પ્રારંભ કર્યો છે.
રાજપૂત ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની ભાજપ સરકાર સાથે વખતો-વખતની બેઠકમાં પરસોતમ રૂપાલાની ટીકીટ પરત ખેંચવામાં નહીં આવતા પાર્ટ-1માં ઓપરેશન રૂપાલા હાથ ધરી સંમેલનો યોજાયા હતા તેમ છતાં પરસોતમ રૂપાલાએ વટભેર ઉમેદવારી ફોર્મ ભરતા ક્ષત્રિય સમાજની લડત વધુ ઉગ્ર બની છે.
સંકલન સમિતિ અને રાજપૂત સમાજનાં આગેવાન પી.ટી. જાડેજાએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ પોતાનું ફોર્મ પરત નહીં ખેંચતા હવે ક્ષત્રિય સમાજનું પાર્ટ-2 આંદોલન શરૂ થયું છે.
જેમાં આજે એ.જી. ચોક ખાતે કાર્યાલય ખોલવામાં આવ્યું છે. સાથે 21 બહેનોના બદલે 100 જેટલા બહેનોએ પ્રતિક ઉપવાસ સાથે રામધૂન શરૂ કરી છે. હવે આગામી બે દિવસમાં તમામ 18 વોર્ડમાં કાર્યાલય ખુલશે સાથે દરેક વોર્ડ વાઇઝ પ્રમુખ સહિતના હોદેદારોની કમીટી બનશે. આઝાદી બાદ સૌ પ્રથમવાર બહેનો-મહિલાઓને રોડ-રસ્તા ઉપર ઉતરવું પડ્યું હોય તેવો આ બનાવની ભાજપ સરકારે ગંભીરતાથી નોંધ લીધી નથી જેથી હવે ક્ષત્રિય સમાજ રાજ્યમાં 7 ધર્મ રથ થકી હવે ભાજપ સરકાર વિરુધ્ધ પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.
રાજકોટમાં બે દિવસ બાદ એટલે કે તા.24મીથી ધર્મરથનો પ્રારંભ થશે. આ ધર્મરથને કોઇ રોકી નહીં શકે તમામ તાલુકા અને ગામડે-ગામડે સમિતિ બનાવવામાં આવશે જેના માધ્યમથી ભાજપના ઉમેદવારોને કારમી હાર અપાવવા પ્રચાર-પ્રસાર કરશે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતા હેઠળ હવે ‘ધર્મ યુધ્ધ એ જ કલ્યાણ’ હેઠળ હવે આ વાત ચુલા સુધી પહોંચી એક ઘર બાકી નથી જ્યાં આક્રોશ નથી.
હવે ગામડે-ગામડે 18 વર્ષને સાથે રાખી કાયદાનું ઉલ્લંઘન કર્યા વિના ભાજપના ઉમેદવારોને હરાવવા ક્ષત્રિય સમાજના યુવાનો ભાઇઓ-બહેનો, માતાઓ કામે લાગી જશે તેમ અંતમાં પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું.પી.ટી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે અમારા આ આંદોલનમાં કોઇ ડેમેજ કંટ્રોલ થયું નથી. ક્ષત્રિય સંકલન સમિતિમાં 92ના બદલે 500 જેટલી સંસ્થાઓ જોડાઇ છે. ક્ષત્રિય સમાજમાં કોઇ ભાગલા પડ્યા નથી. બહેનો પણ પ્રતિક ઉપવાસ કરી આંદોલન કરી સંકલન સમિતિને પ્રેરકબળ પુરું પાડે છે. સમાજમાં કોઇ બે ભાગલા પડ્યા નથી.
રાજકોટમાં હર્ષ સંઘવીની બેઠકમાં ભાજપના ક્ષત્રિય નેતાઓ સિવાય સમાજનું કોઈ ન હતું
ભાજપના ક્ષત્રિય નેતાઓનું કામ નથી
રાજકોટ તા.22
રાજકોટ બેઠકનાં ભાજપ ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા હટાવવા સામે ક્ષત્રિય સમાજના આગેવાનોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે છેલ્લા 22 દિવસથી ચાલતા આ આંદોલનમાં હવે પાર્ટ-2 શરૂ છે. ત્યારે સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજના આગેવાનો પી.ટી. જાડેજાએ જણાવ્યું છે કે ભાજપ સરકારે ક્ષત્રિય સમાજની વાત માની નથી અને રૂપાલાને યથાવત રાખ્યા છે. ત્યારે હવે ભાજપને હટાવવા ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતર્યો છે.
ગઈકાલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીની બેઠકમાં ક્ષત્રિય સમાજના કોઈ આગેવાનો ન હતા ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનો જ ઉપસ્થિત રહ્યા હશે જો ક્ષત્રિય સમાજ માની જશે સૌ પ્રથમ રાજીનામુ હું આપીશ તેમ અંતમાં પી.ટી. જાડેજાએ જણાવ્યું હતું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy