હવે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખે ‘પટરાણી’ અંગે વિવાદી વિધાન કર્યા અને પછી રૂપાલા સ્ટાઈલથી માફી માંગી

Gujarat, Saurashtra, Politics | Rajkot | 23 April, 2024 | 11:39 AM
વિસાવદરની સભામાં ઉમેદવાર રાજેશ ચુડાસમાની હાજરીમાં ‘રાજા’ કેમ બને છે તે અંગે કરેલા વિધાનોથી ક્ષત્રિય સમાજના આંદોલનમાં ઉગ્રતા આવી શકે
સાંજ સમાચાર

રાજકોટ: ગુજરાતની લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનોનો વિવાદ જોર પકડી રહ્યો છે અને ભાજપને તેમાં ડેમેજ કંટ્રોલ માટે સતત દોડધામ કરવી પડી રહી છે. તે સમયે જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે વિસાવદરમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાની હાજરીમાં હવે રાજાની ‘પટરાણી’ અંગે વિવાદાસ્પદ વિધાનો કરતા હાલ તો માહોલ વધુ ‘ગરમ’ થયો છે.

તેઓએ વિસાવદરમાં અગાઉ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કાર્યાલયના ઉદઘાટનમાં ભાષણ આવતા એવા વિધાનો કર્યા હતા કે અગાઉના સમયમાં રાજાની પટરાણીના કોખે જે દિકરો જન્મે તે રાજા બનતો હતો પછી ભલે પટરાણી લુલી હોય, લંગડી હોય, બોબડી હોય પણ તેના દિકરાને રાજા બનાવાતો હતો.

હવે મતપેટી મારફત ‘રાજા’ બને છે. હજું રોટી-બેટીના વ્યવહાર અંગે રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને ક્ષત્રિય મહિલાઓમાં ભારે રોષ છે તે સમયે હવે ભાજપના વધુ એક નેતાએ આ રીતે ‘પટરાણી’ અંગે કરેલા વિધાનો વાયરલ થતા જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને મોડીરાત્રીના રૂપાલા સ્ટાઈલથી માફી માંગતો વિડીયો પણ પોષ્ટ કર્યો હતો.

એક તરફ ભાજપે તેમના તમામ નેતાઓને આ પ્રકારના વિવાદી વિધાનોથી દુર રહેવા તાકીદ કરી છે અને સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી દરેક બેઠક પર પક્ષના ક્ષત્રિય અગ્રણીઓને સાથે રૂપાલા વિવાદથી સર્જાયેલા વિવાદમાં કઈ રીતે સંયમ જાળવવો તે સલાહ આપી રહ્યા છે તે સમયે જ ભાજપના ઉમેદવારની હાજરીમાં જ જીલ્લા ભાજપ પ્રમુખે ‘પટરાણી’ અંગે કરેલા વિધાનોથી હવે જુનાગઢ જીલ્લામાં પણ આ વિષે ઉગ્ર વિરોધ થાય તેવા સંકેત છે.

રૂપાલા નિવેદન સામે રોષ છે જ: ભાજપના ક્ષત્રિય નેતાએ સ્વીકાર્યુ
રાજકોટ: ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠક પર ચુંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કરેલા વિધાનોમાં હવે ભાજપને ડેમેજ કંટ્રોલ કરવું અઘરુ થઈ રહ્યું છે તો અત્યાર સુધીના વિવાદ મુદે મૌન ધારણ કરી ‘પક્ષની શિસ્ત’માં રહેલા ભાજપના ક્ષત્રિય અગ્રણીઓ પણ સ્વીકારવા લાગ્યા છે કે ખોટુ થયુ છે અને માફી એ પુરતી નથી તે સમયે અબડાસામાં ભાજપના ક્ષત્રિય ધારાસભ્યએ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ હોવાનું સ્વીકાર્યુ હતું.

આ નિવેદનથી ભાજપના ક્ષત્રિય અગ્રણીઓએ બોલવાની ‘હિમ્મત’ આવી કે પક્ષની સ્ટ્રેટેજી છે તેના પર ચર્ચા છે. હાલમાં જ સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલા ભાજપના સંગઠન મહામંત્રીએ પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય અગ્રણીઓને તેમના સમુદાય સાથે સંપર્ક જાળવી રાખવા અપીલ કરી હતી અને તેઓ આપણા જ છે તેવા વિધાનો કરીને આ સમાજનો રોષ શાંત પાડવાની કોશીશ કરવા પણ સલાહ આપી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj