રાજકોટ, તા.26
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં હવે પ્રચારની ગરમી વધી રહી છે અને ખાસ કરીને ક્ષત્રિય આંદોલનમાં જે રીતે ભાજપ તાપ સહન કરી રહ્યો છે તેમાં આગામી દિવસોમાં આ આંદોલનનો પ્રભાવ વધે તેવી શકયતા પણ નકારાતી નથી હાલ ક્ષત્રિય સમુદાય દ્વારા ભાજપના કાર્યક્રમોમાં વિરોધ ઉપરાંત દરેક વિસ્તારમાં ક્ષત્રિય બહેનોના સામુહિક ઉપવાસ અને ધર્મરથ ફરી રહ્યો છે પરંતુ આગામી દિવસોમાં હવે ભાજપ વિરૂધ્ધ માહોલ ઉભો કરવા ક્ષત્રિય સમુદાય રાજયમાં 3 થી 4 મહાસંમેલનો યોજવાની જાહેરાત કરતા જ આ લડાઇ નવા તબકકામાં પ્રવેશ કરશે તેવા સંકેત છે.
ક્ષત્રિય આંદોલનની સંકલન સમિતિ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા, રમજુભા જાડેજા સહિતના અગ્રણીઓએ ચાર મહાસંમેલન યોજવાની જાહેરાત કરતા કહ્યું કે, અમે સૌરાષ્ટ્ર-મધ્ય-ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સંમેલન યોજવા જઇ રહ્યા છીએ આંદોલનના પ્રારંભે રાજકોટમાં મહા ક્ષત્રિય સંમેલન યોજાયુ તે પછી ભાજપે ડેમેજ કંટ્રોલની પ્રક્રિયા ઝડપી બનાવી હતી પરંતુ તેનાથી આંદોલનને કોઇ બ્રેક લાગી હોય તેવા કોઇ સંકેત નથી.
ક્ષત્રિય સમાજ દ્વારા તાલુકા અને વોર્ડ દીઠ બેઠકો યોજવામાં આવે છે તેમજ ધર્મરથ પણ ફરી રહ્યા છે અને હવે ચાર મહાસંમેલનો યોજીને ક્ષત્રિય સમુદાય દરેક વિસ્તારમાં તેમની લડાઇને આગળ વધારશે.તા. 27 એપ્રિલના ઉતર ગુજરાતનું સંમેલન મહેસાણાના વિસનગરમાં યોજાશે. 28ના સાંજે દક્ષિણ ગુજરાતનું સંમેલન બારડોલીમાં યોજાશે. તા. 2ના રોજ જામનગરમાં જે સંમેલન યોજાવાનું હતું તે જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગરની સભા નિશ્ચિત થતા તા. 3ના રોજ જામનગરમાં આ સંમેલન યોજાશે.
આ પૂર્વે તા. 1ના રોજ મધ્ય ગુજરાતનું મહાસંમેલન આણંદમાં યોજાશે અને બાદમાં તા.2 થી 6 સુધી ક્ષત્રિય સમાજ રાજકોટ ઉપર ફોકસ કરશે અને ખાસ કરીને પરસોતમ રૂપાલા વિરૂધ્ધ મતદાન માટે ક્ષત્રિયોની ફૌજ ઉતારવાની યોજના હોવાનું કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું.
ગુજરાતના 108 ક્ષત્રિય આગેવાનો ‘સામે ચાલીને’ મળવા આવ્યા હોવાનો ભાજપ પ્રદેશ પ્રમુખનો દાવો
ક્ષત્રિય સમાજનો રોષ ભાજપ નહીં ફકત રૂપાલા તરફ ડાયવર્ટ કરવા પાટીલના પ્રયાસો!
►રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી ઘવાઇ છે તેમાં બેમત નથી : પ્રદેશ પ્રમુખની વધુ એક કબુલાત પણ આ સમાજનો ઇતિહાસ ક્ષમાનો રહ્યો છે : પાટીલે ફરી એક વખત મોટુ મન રાખવા સમાજને વિનંતી કરી
► નવસારીમાં સી.આર.પાટીલના કાર્યાલયે 108 ક્ષત્રિય આગેવાનો સાથે મુલાકાત સૂચક : તેઓનો રોષ રૂપાલા સામે છે ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે નહીં પ્રદેશ પ્રમુખનું વિધાન : આ આગેવાનો પીએમ મોદીના સન્માન અને સમર્થન માટે આવ્યા હતા
રાજકોટ, તા. 26
લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠકો માટે હેટ્રીકના ઇરાદા સાથે ભાજપે શરૂ કરેલા અભિયાનમાં એક તરફ સુરત બેઠક બિનહરીફ કરાવીને આ ચૂંટણી યુધ્ધમાં કોંગ્રેસ સામે મોટી સાયકોલોજીકલ વોર જીતી છે પરંતુ બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમુદાય વિરૂધ્ધ કરેલા વિધાનોથી જે જુવાળ આ સમુદાયમાં સર્જાયો છે તેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હવે ક્ષત્રિય સમાજનું તોપનું નાળચુ ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પરસોતમ રૂપાલા તરફ હોવાનો તર્ક રજુ કરીને ડેમેજ કંટ્રોલ કરવા પ્રયત્ન કર્યો છે.
ગઇકાલે જ નવસારીમાં પાટીલના કાર્યાલય ખાતે ક્ષત્રિય આગેવાનોની બેઠક પાટીલે બોલાવી હતી. જોકે દાવો એવો થાય છે કે ગુજરાતના 108 ક્ષત્રિય આગેવાનો તેમને સામેથી મળવા આવ્યા હતા અને તેમની સામે ચર્ચા કરી હતી. પાટીલે કહ્યું કે, ક્ષત્રિય સમુદાયનો રોષ અમે સમજી શકીએ છીએ.
રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની લાગણી ઘવાય છે તેમાં બે મત નથી પરંતુ મને આ ક્ષત્રિય આગેવાનોએ એવું જણાવ્યું કે, તેઓ ભાજપ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂધ્ધ નથી તેમનો રોષ રૂપાલા સામે છે અને તેઓ મોદીના સન્માન અને ભાજપના સમર્થન માટે આવ્યા હતા.
તેઓ ગુજરાત અને વડાપ્રધાન મોદીનું યોગદાન છે તેને ભુલી શકાય નહીં પાટીલે ફરી એક વખત કહ્યું કે ક્ષત્રિય સમાજનો ઇતિહાસ ક્ષમા આપવામાં મોટી ભૂમિકા અને મોટુ દિલ દર્શાવ્યું છે તેમના શરણે આવનારને માફી આપનાર અને તેમની રક્ષા કરવા માટે પણ આહુતિ આપી હોય તેવા દાખલા છે.
આમ ક્ષત્રિય સમાજનો રોષ સમગ્ર ગુજરાત નહીં ફકત રૂપાલા બાજુ જ ડાયવર્ટ થાય તેવા પ્રયત્નો હવે ભાજપે શરૂ કર્યા હોવાનું માનવામાં આવે છે અને પાટીલના વિધાનો તે પણ સંકેત આપે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy