રાજકોટ, તા.18
લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે હજુ સુધી માત્ર પાંચ ફોર્મ ભરાયા છે. 100થી વધુ ઉમેદવાર ઉભા રાખવાનું એલાન કરનાર ક્ષત્રિય સમાજના હજુ એકપણ ફોર્મ ભરાયા નથી ત્યારે આવતીકાલે છેલ્લા દિવસે ઉમેદવારીનો ઢગલો થશે કે કેમ? તે વિશે અટકળો વ્યકત થવા લાગી છે.
ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામેના વિરોધ-આંદોલનના ભાગરૂપે રાજકોટની બેઠક પરથી ક્ષત્રિય સમાજ 100થી વધુ ઉમેદવાર ઉભા રાખશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે અંદાજીત 180 ઉમેદવારીપત્રકો ઉપાડવામાં આવ્યા હતા પરંતુ હવે ફોર્મ ભરવાના આડે માંડ એક દિવસ બાકી છે ત્યારે એક પણ ઉમેદવારી થઇ નથી જ્યારે તે સ્ટ્રેટજીના ભાગરૂપે છે કે રણનીતિ બદલવામાં આવી છે તે વિશે અટકળો થવા લાગી છે.સૂત્રોએ એમ જણાવ્યું કે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉભા રાખીને ઇવીએમને બદલે બેલેટ પેપરથી ચૂંટણી કરવી પડે તેવી સ્થિતિ સર્જવાનો આ વ્યૂહ પાછળનો ઇરાદો હતો પરંતુ ચૂંટણીપંચે એવું જાહેર કરી દીધું હતું કે 385 ઉમેદવારો સુધી ઇવીએમનો જ ઉપયોગ કરવામાં આવશે. આ સ્થિતિમાં ક્ષત્રિય સમાજનો મુળ ઇરાદો સફળ થાય તેમ નહતો. આ સિવાય તમામ ફોર્મ બહેનોના નામે ભરવાના હતા પરંતુ 16 પાનાના ફોર્મના પેપરવર્કમાં ઘણી વિગતો ભરવાની થતી હોય છે. બહેનોના નામના પેપરવર્કમાં ઘણો સમય થતો હોય છે. જરૂરી કાગળો-દસ્તાવેજો હાથ પર હોતા પણ નથી. આ સંજોગોમાં ફોર્મ તૈયાર કરવામાં ઢીલ થઇ છે
. એડવોકેટ-લીગલ ટીમ મારફત મહત્તમ ફોર્મ તૈયાર કરવામાં આવી જ રહ્યા છે છતાં કેટલા તૈયાર થાય છે તે જોવાનું રહે છે. બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાનો મૂળ ઇરાદો પણ શક્ય બને તેમ નથી ત્યારે હવે અંતિમ ઘડીના વ્યૂહ પર વિચારણા ચાલી રહી છે. ઘણા ફોર્મ તૈયાર થઇ ગયા છે પરંતુ ટારગેટ કરતા ઓછા ફોર્મ ભરવા કે કેમ તે વિશે હવે નિર્ણય લેવાશે. ફોર્મ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલુ જ છે.સૂત્રોએ જણાવ્યું કે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે એટલે કાલે ચિત્ર સ્પષ્ટ થઇ જશે. રાજકોટમાં કુલ કેટલા ઉમેદવારો થાય છે તે પણ કાલે જ સ્પષ્ટ થશે.
ક્ષત્રિય સમાજ દ્વારા નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે કે કેમ તે વિશે પણ અનેકવિધ ચર્ચા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy