રાજકોટ,તા.6
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ગઈકાલે એકાએક રાહત મળવા સાથે રાજકોટ સહીત અમુક શહેરોમાં છાંટા વરસ્યા હતા.પરંતુ આવતીકાલથી ફરી આકાશ ધરતી ધગધગશે અને મંગળવારથી ગુરૂવાર દરમ્યાન અમુક સેન્ટરોમાં તાપમાન 43 ડીગ્રીને પણ પાર કરી જવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તેઓએ આજે વાતચીતમાં કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર-ગુજરાતમાં રવિવારે એકાએક વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું. પરીણામે તાપમાનનો પારો નોર્મલ કરતા નીચે ઉતરી ગયો હતો. હાલ નોર્મલ મહતમ તાપમાન 41 થી 42 ડીગ્રી ગણાય છે. તેના બદલે એકથી ચાર ડીગ્રી નીચુ હતું.
ગઈકાલે અમદાવાદનું તાપમાન 39.2 ડીગ્રી હતું તે નોર્મલ કરતા 3 ડીગ્રી નીચે હતું.રાજકોટનું 37 ડીગ્રી નોર્મલથી જ ડીગ્રી નીચે હતું.ભુજમાં 33.4 ડીગ્રી નોર્મલથી 3 ડીગ્રી તથા ભુજમાં 40.8 ડીગ્રી નોર્મલ કરતા એક ડીગ્રી નીચે હતું.
તા.6 થી 12 મેની આસપાસ તેઓએ જણાવ્યું હતું કે એક સપ્તાહ સુધીમાં ગરમીનો રાઉન્ડ અને ગરમીનો જ માહોલ રહેવાની સંભાવના છે. આ દરમ્યાન મહતમ તાપમાન 41 થી 43 ડીગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે.ખાસ કરીને તા.7 થી 9 મે અર્થાત આવતીકાલથી ગુરૂવાર સુધી અમુક સેન્ટરોમાં તાપમાનનો પારો 43 ડીગ્રીને પણ વટાવી જવાની સંભાવના છે.
આગાહીનાં આ સમયગાળામાં પવન પશ્ચિમ, ઉતર પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમનાં ફુંકાવાની સંભાવના છે. તેની સ્પીડ 15 થી 20 કીમીની રહી શકે છે. સાંજે તથા રાત્રે ઝાટકાના પવનોનું જોર વધીને 20 થી 30 કીમી થઈ શકે છે.
ગુજરાતમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે. ત્યારે જ આકરી ગરમીની શકયતાને પગલે મતદાન પર અસર થવાની આશંકા વ્યકત થઈ જ રહી છે. રાજકીય પક્ષોએ વહેલા મતદાન કરાવવા માટે રણનીતિ ઘડી હોવાનું પણ ઉલ્લેખનીય છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy