રાજકોટ, તા.17
રાજકોટમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે સિનિયર નેતા પરેશ ધાનાણીને મુક્યા છે અને તેઓ પ્રચાર શરૂ કરે તે પૂર્વે જ મનામણા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ડો. હેમાંગ વસાવડાના નિવાસસ્થાને નારાજ આગેવાનોની તાબડતોડ બેઠક બોલાવવામાં આવી છે અને સંગઠીત થઇને લડવા માટે તમામને એક જુથ કરવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.
માહિતગાર સુત્રોએ જણાવ્યું છે કે, કેટલાક વખત બાદ કોંગ્રેસમાં ફરી એક વખત આંતરિક જુથવાદ સળગી ઉઠ્યો છે અને પરિણામે પાર્ટીના ઉમેદવાર પરેશ ધાનાણીને તાબડતોડ સમજાવટ બેઠક યોજવાની ફરજ પડી છે. આજે બપોરે ડો. વસાવડાના નિવાસસ્થાને બેઠક યોજવામાં આવી હતી તેમાં ભીખુભાઇ વારોતરીયા, લલીત કગથરા પણ હાજર હતા. ડો. વસાવડા, મહેશ રાજપુત, પ્રવિણ સોરાની, અશોકસિંહ વાઘેલા, રણજીત મુંધવા વગેરેને બોલાવવામાં આવ્યા હતા. નારાજ આગેવાનોને મનામણા કરવાનો એજન્ડા હોવાની ચર્ચા હતી.
એમ કહેવાય છે કે, કોંગ્રેસનું કાર્યાલય પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની જગ્યામાં શરુ કરવામાં આવ્યું હોવાથી એક જુથને વાંધો પડ્યો છે. થોડા દિવસો પૂર્વે પણ ઇન્દ્રનીલની હાજરીમાં કોંગ્રેસ કાર્યાલયે યોજાયેલી મીટીંગમાં આતંરીક સટાસટી થઇ હતી.
પ્રવિણ સોરાણી તથા કેટલાક અન્ય આગેવાનો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે તેઓને ટપાટપી થઇ હતી આ બેઠક વખતે પણ શહેર કોંગ્રેસના અન્ય અનેક નેતાઓ પણ આવ્યા ન હતા. આમંત્રણ ન હોવાનું કારણ આપીને તેઓએ મીટીંગમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.
આ વિવાદ હવે ફરી સપાટી પર આવ્યો હોય તેમ પરેશ ધાનાણીએ સંગઠીત લડાઇ માટે તમામની બેઠક યોજી છે. બેઠકમાં સમજાવટના પ્રયત્નો સફળ થાય છે કે કેમ તેના પર મીટ છે. હાલ તુર્ત તો પરેશ ધાનાણીના પ્રચારના બદલે મનામણામાં કસરત કરવાનો વખત આવ્યો હોવાની ચર્ચા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy