રાજકોટ, તા.9
હાલમાં જ લોકસભાની ચૂંટણીઓ પૂરી થઇ છે. આ સાથે જ જુદા-જુદા સરકારી ખાતાઓ પણ સક્રિય બન્યા છે. ખાસ કરીને જી.એસ.ટી. તંત્ર જે છેલ્લા એકથી દોઢ માસથી લગભગ નિષ્ક્રીય થઇ ગયું હતું. તે ફરી સક્રિય બન્યું છે અને ચૂંટણીઓ પૂરી થતાં જ વેપારીઓ સામે દંડનાં ધોકા ઉગામ્યા છે. આમ ચૂંટણીઓ પૂરી થતાની જ સાથે વેપારીઓનો મરો થવાની શરૂઆત થઇ ગઇ છે.
આ અંગેની વેપારી વર્તુળ અને જી.એસ.ટી. વિભાગનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ તાજેતરમાં જ જી.એસ.ટી. તંત્રએ વર્ષ 2017-18 અને 18-19નાં કેસોમાં લાખો રૂપિયાનાં વેરાની ડિમાન્ડ ઉભી કરી અને વેપારીઓને નોટીસો ફટકારી હતી અને વેરાની પઠાણી ઉઘરાણી કરી હતી. જો કે તંત્રએ આ કેસોમાં વેપારીઓને સાંભળવાની પૂરી તક આપ્યા વિના જ સિધા વેપારીઓનાં બેન્ક ખાતા ટાંચમાં લઇ લેતા વેપારી વર્ગમાં જબરો દેકારો થઇ ગયો છે.
સૂત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ રાજકોટ જી.એસ.ટી. વિભાગે એક હજારથી વધુ વેપારીઓનાં બેંક ખાતાઓ ઉપર ટાંચ મુકી દીધી છે. એવી વિગતો પણ સાંપડે છે કે સંબંધીત વેપારીઓને નોટીસો ફટકાર્યા બાદ જે વેપારીએ 90 દિવસની મુદતમાં ડિમાન્ડની 10 ટકા રકમ ભરી અપીલ દાખલ કરી ન હોય તેવા વેપારીઓનાં કેસોમાં તંત્રએ એક તરફી આદેશો કરી અને એક હજારથી વધુ વેપારીઓનાં બેન્ક ખાતા ઉપર સીધી ટાંચ મુકી દીધી છે.
વેપારીઓને પૂરી તક આપ્યા વિના જ તંત્રએ બેન્ક ખાતાઓ ટાંચમાં લઇ લેતા વેપારીઓના લાખો રૂપિયાનો રોજીંદો નાણાંકીય વ્યવહાર ખોરવાઇ ગયો છે અને વેપારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાઇ ગયો છે. વેપારી વર્ગ એવી હૈયા વરાળ ઠાલવે છે કે ચૂંટણીઓ પૂરી થાં જ તંત્રએ પોત પ્રકાશ્યું છે અને વેપારીઓને ફરી એકવાર ઝપટે લીધા છે.
જી.એસ.ટી. વિભાગે લીધેલા આ કડક અને એક તરફી પગલા સામે હજારો વેપારીઓમાં ભારે રોષની લાગણી છવાઇ છે. વેપારીઓ હૈયા વરાળ ઠાલવતા એવું જણાવે છે કે, નાણાંકીય વર્ષ 17-18 અને 18-19ના થયેલા એક તરફી આદેશોમાં વેપારીઓ દ્વારા 90 દિવસની અંદર ડિમાન્ડની 10 ટકા રકમ ભરી અપીલ ન દાખલ કરેલ હોવાથી જીએસટી વિભાગ દ્વારા બેન્ક ખાતા ઉપર ટાંચ મુકી દેવાઇ છે અને ચૂંટણી પૂરી થતાં તંત્ર વેપારીઓ અને જનતાનો સ્વાર્થ પૂરો થતાં જ ફરી હરકતમાં આવેલ છે.
અનેક વેપારીઓને આદેશ મળેલ નથી તથા આદેશને અધિકારીઓ દ્વારા ઓનલાઇન પોર્ટલ ઉપર મુકેલું હોય જે અજ્ઞાનતાના કારણે વેપારીઓને આદેશ મળેલ નથી. અમુક વેપારીઓને તો નોટિસ પણ મળેલ નથી, ઓનલાઇન પોર્ટલ ઉપર આવી કોઇ નોટીસ મુકવામાં આવેલ હોય તેની જાણ વેપારીઓને નથી અને અધિકારીઓ દ્વારા એક તરફ આદેશ પસાર કરેલ છે તથા આદેશ પસાર કરીને પણ વેપારીઓને જાણ કરેલ નથી તો વેપારીઓ 90 દિવસની અંદર અપીલ દાખલ કઇ રીતે કરે?
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy