(મીલન ઠકરાર) વેરાવળ, તા. ર0
વેરાવળ તાલુકાના માથાસુરિયા ગામે ગઇ કાલે સાંજે લગ્ન પ્રસંગમાં યોજાયેલા જમણવાર બાદ એકાએક 250 થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા આસપાસના આરોગ્ય કેન્દ્રોમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, સમયસર સારવાર મળી ગઈ હોવાથી તમામ લોકો તંદુરસ્ત હોવાનું સામે આવતા સૌ એ રાહતનો શ્વાસ લીધો હતો.
આ બનાવ અંગે માથાસુરિયા ગામના સરપંચ જીવાભાઇ સાથે થયેલ વાતચીતમાં જણાવ્યા મુજબ માથાસુરીયા ગામના મશરીભાઇ મીઠાભાઈ સોલંકીની દીકરીનો લગ્ન પ્રસંગ હોય જેમાં તાલાલા તાલુકાના લાડુડી ગામેથી જાન આવેલ હતી. ગત સાંજના લગ્ન પ્રસંગમાં યોજાયેલા જમણવાર બાદ માંડવીયાઓ અને જાનૈયાઓને એકાએક ઝાડા ઉલટી થવા લાગી હતી. જેથી અસરગ્રસ્ત તમામ લોકોને સારવારમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
જેમાં ફૂડ પોઇઝનિંગના અસરગ્રસ્ત વ્યક્તિઓને નજીકના કોડીદ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને તાલાલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ હતા. ત્યારે એકી સાથે ફુડ પોઇઝનિંગના દર્દીઓ આવી પડતા આરોગ્ય કેન્દ્રોમાં પણ બેડો ખૂટી પડ્યા હતા. જો કે, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બાંકડા ઉપર અને જમીન ઉપર સુવડાવીને અસરગ્રસ્તોને સારવાર આપવાની ફરજ પડી હતી. સદનસીબે સમયસર સારવાર મળી જતા તમામ લોકો ભયમુક્ત બન્યા હતા અને તમામની તબિયત તંદુરસ્ત હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ ઘટના અંગે પ્રાથમિક અનુમાન મુજબ જમણવારમાં છાશમાં કોઈ ઝેરી અસર થઈ હોવાના કારણે તમામ લોકોને અસર થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ બનાવમાં ફુડ વિભાગે પણ જમણવારના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy