રાજકોટ તા.26
રાજકોટમાં રીક્ષા ચાલકની પ્રામાણિકતા સામે આવી હતી. મોરબી રોડ પર રહેતા મહિલાના ગુમ થયેલા રૂા.5 લાખના 12 તોલા દાગીના પરત પોલીસને કરી સરાહનીય કામગીરી કરી હતી. જે અંગે પોલીસે પણ રીક્ષાચાલકની પ્રમાણિકતાને બીરદાવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ગઈ તા.21/4ના સવારના આઠેક વાગ્યાની આસપાસ મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતા દક્ષાબેન ઈશ્ર્વરભાઈ બારડ બી ડીવીઝન પોલીસ સ્ટેશને દોડી આવી જણાવ્યું હતું કે તે તેમના જેઠાણી સાથે લગ્ન પ્રસંગેથી પોતાના ઘરે પરત જતા હતા તે દરમ્યાન પોતાની પાસે રહેલ સોનાના દાગીના આશરે બાર તોલા તેમજ ચાંદીના દાગીના મળી કુલ રૂા.5 લાખનો મુદ્દામાલ થેલીમાં રાખેલ હતો.
તેઓ પેડક રોડ, પારૂલ બગીચા પાસેથી એક રીક્ષામાં બેસી મોરબી રોડ જકાતનાકા પાસે ઉતરેલ હતા. જયાં પોતે પોતાની થેલી રીક્ષામાં ભુલી ગયેલ હતા અને રીક્ષા ત્યાં નીકળી ગયેલ હતી. જે રીક્ષાના નંબર કે રીક્ષાચાલક અંગે કોઈ માહિતી ન હોય જેથી આસપાસમાં તપાસ કરતા તે મળી આવેલ ન હતી. જે બાબતની ગંભીરતા લઈ બી ડીવીઝન પોલીસ મથકના એસ.એમ. જાડેજાની રાહબરીમાં કે.ડી. મારૂ સહિતના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી પેડક રોડ, કુવાડવા રોડ, મોરબી રોડ તેમજ આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. ઉપરાંત પેડક રોડ પર સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં રીક્ષા જોવા મળેલ. જે રીક્ષા ભાવનગર રોડ પર ફરતી હોય તેથી થોરાળા પોલીસને પણ જાણ કરી હતી.
દરમિયાન જાણવા મળેલ કે રીક્ષા ચાલક બાબુભાઈ નાથાભાઈ દેત્રોજા (રહે. માંડા ડુંગર) થોરાળા પોલીસને જણાવ્યુ હતું કે તે ગઈકાલે રીક્ષાની સાફ સફાઈ કરતા હતા ત્યારે સીટ નીચેથી એક થેલી મળી આવી હતી. જેમાં જોતા સોના ચાંદીના દાગીના જોવા મળતા તેઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા. બી ડીવીઝન પોલીસે સોના ચાંદીના દાગીના તેના મુળ માલીક મહિલાને પરત કરાવ્યા હતા અને રીક્ષાચાલકની પ્રામાણિકતાને બીરદાવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy